Home National 17 June History Rani Lakshmibai Shaheed Din Important Events

આજે 17 જૂન : ઝાંસીના રાણી લક્ષ્મીબાઇનો શહીદદિન, જાણો આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ

17 June History, Rani Lakshmibai
Published by: Vishal Dave
Last Updated: Jun 17, 2026, 02:30 AM IST

દરેક તારીખ ઇતિહાસના પાનાંઓમાં કંઈક ખાસ છોડી જાય છે. 17 જૂનનો દિવસ ભારત સહિત વિશ્વના ઇતિહાસમાં અનેક મહત્વપૂર્ણ ઘટનાઓ માટે યાદ કરવામાં આવે છે. આ જ દિવસે 1857ના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામની અગ્રણી વિરાંગના ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ દેશ માટે લડતાં લડતાં વીરગતિ પ્રાપ્ત કરી હતી. ઉપરાંત સ્ટેચ્યુ ઓફ લિબર્ટીનું અમેરિકામાં આગમન, આઇસલેન્ડની આઝાદી અને ભારતીય રમતગમત જગતની અનેક સિદ્ધિઓ પણ આજની તારીખ સાથે જોડાયેલી છે. ચાલો જાણીએ 17 જૂનના દિવસનો સંપૂર્ણ ઇતિહાસ.

17 જૂનની મહત્વપૂર્ણ ઐતિહાસિક ઘટનાઓ

17 જૂનની તારીખ વિશ્વ ઇતિહાસમાં અનેક મહત્વપૂર્ણ ઘટનાઓ માટે જાણીતી છે.

વર્ષ 1775માં અમેરિકન સ્વતંત્રતા યુદ્ધ દરમિયાન બંકર હિલનું યુદ્ધ લડાયું હતું. આ યુદ્ધમાં બ્રિટિશ સેનાએ અમેરિકાની કોન્ટિનેન્ટલ આર્મીને હરાવી હતી, પરંતુ તેને ભારે જાનહાનિ અને નુકસાનનો સામનો કરવો પડ્યો હતો.

વર્ષ 1885માં ફ્રાન્સ તરફથી અમેરિકાને ભેટરૂપે આપવામાં આવેલી વિશ્વપ્રસિદ્ધ Statue of Liberty ન્યૂયોર્ક બંદરે પહોંચી હતી. આજે આ પ્રતિમા અમેરિકાની સ્વતંત્રતા અને લોકશાહીના પ્રતિક તરીકે ઓળખાય છે.

1938માં જાપાને ચીન સામે સત્તાવાર યુદ્ધની ઘોષણા કરી હતી, જે એશિયાના ઇતિહાસમાં મહત્વપૂર્ણ ઘટનામાંથી એક માનવામાં આવે છે.

1944માં આઇસલેન્ડને ડેનમાર્કથી સંપૂર્ણ સ્વતંત્રતા મળી હતી અને તે એક સ્વતંત્ર ગણરાજ્ય તરીકે ઉભરી આવ્યું હતું.

1994માં ઉત્તર કોરિયાએ આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (IAEA) સાથે સહકાર આપવા સંમતિ વ્યક્ત કરી હતી, જેને વૈશ્વિક રાજનીતિમાં મહત્વપૂર્ણ વિકાસ માનવામાં આવ્યો હતો.

1999માં દક્ષિણ આફ્રિકામાં થાબો એમબેકીના નેતૃત્વ હેઠળ નવી રાજકીય વ્યવસ્થા મજબૂત બની હતી. આ જ સમયગાળા દરમિયાન કારગિલ યુદ્ધ ચાલી રહ્યું હતું અને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI દ્વારા કારગિલ જેહાદ ફંડ સ્થાપવાના અહેવાલો સામે આવ્યા હતા.

2002માં કરાચીમાં અમેરિકન કોન્સ્યુલેટ ફરીથી શરૂ કરવામાં આવ્યું હતું.

2003માં ફ્રાન્સમાં 165 ઈરાની મૂળના શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી.

2004માં મંગળ ગ્રહ પર પૃથ્વીના ખડકો જેવા પથ્થરો મળ્યાની મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક માહિતી સામે આવી હતી. આ જ વર્ષે બગદાદમાં સૈન્ય ભરતી કેન્દ્રમાં થયેલા વિસ્ફોટમાં 42 લોકોનાં મોત થયા હતા અને 127 લોકો ઘાયલ થયા હતા.

2008માં ભારતે સ્વદેશી રીતે વિકસાવેલા લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ Tejasનું બેંગલુરુમાં સફળ પરીક્ષણ કર્યું હતું, જે ભારતીય સંરક્ષણ ક્ષેત્ર માટે ગૌરવની ક્ષણ હતી.

2012માં ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી સાઇના નેહવાલે ત્રીજી વખત ઇન્ડોનેશિયા ઓપન ચેમ્પિયનશિપ જીતીને નવો ઇતિહાસ રચ્યો હતો.

ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો શહીદદિન

17 જૂનનો દિવસ ખાસ કરીને ભારતના સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસમાં અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ અંગ્રેજો સામે લડતાં લડતાં પોતાના પ્રાણો દેશ માટે અર્પણ કર્યા હતા.

રાણી લક્ષ્મીબાઈનો જન્મ 19 નવેમ્બર 1835ના રોજ વારાણસીમાં થયો હતો. તેમનું બાળપણનું નામ મણિકર્ણિકા હતું અને પરિવાર તથા નજીકના લોકો તેમને પ્રેમથી "મનુ" કહીને બોલાવતા હતા.

નાની ઉંમરમાં જ માતાનું અવસાન થતાં તેમનો ઉછેર તેમના પિતા મોરોપંત તાંબેએ કર્યો હતો. બાળપણથી જ તેમને શાસ્ત્રો સાથે શસ્ત્રોની પણ તાલીમ આપવામાં આવી હતી. ઘોડેસવારી, તલવારબાજી અને યુદ્ધકલામાં તેઓ પારંગત બન્યા હતા.

વર્ષ 1842માં તેમનો વિવાહ ઝાંસીના રાજા ગંગાધર રાવ સાથે થયો અને ત્યારબાદ તેમનું નામ લક્ષ્મીબાઈ રાખવામાં આવ્યું. રાજા ગંગાધર રાવના અવસાન બાદ તેમણે દત્તક પુત્ર દામોદર રાવને ઉત્તરાધિકારી જાહેર કર્યો હતો, પરંતુ બ્રિટિશ શાસકોએ ‘Doctrine of Lapse’ હેઠળ આ દત્તક વારસાને માન્યતા આપવાનો ઇનકાર કર્યો હતો.

1857ના સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન રાણી લક્ષ્મીબાઈએ અંગ્રેજો સામે મક્કમ લડત આપી હતી. ગ્વાલિયરના યુદ્ધ દરમિયાન 17 જૂન 1858ના રોજ તેઓ વીરગતિને પામ્યા હતા. તેમની બહાદુરી આજે પણ દેશભક્તિ અને મહિલા સશક્તિકરણનું પ્રતિક માનવામાં આવે છે.

17 જૂને જન્મેલા જાણીતા વ્યક્તિત્વો

17 જૂનના દિવસે અનેક પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મ પણ થયો હતો.

  • લિએન્ડર પેસ (1973) – ભારતના દિગ્ગજ ટેનિસ ખેલાડી

  • અમૃતા રાવ (1981) – જાણીતી હિન્દી ફિલ્મ અભિનેત્રી

  • નિશિકાંત કામત (1970) – ફિલ્મ નિર્દેશક અને અભિનેતા

  • પી.ડી.ટી. આચાર્ય (1945) – લોકસભાના ભૂતપૂર્વ મહાસચિવ

  • ભગતસિંહ કોશ્યારી (1942) – ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ રાજ્યપાલ

  • જ્યોતિ પ્રસાદ અગ્રવાલ (1903) – આસામના સાહિત્યકાર, સ્વાતંત્ર્ય સેનાની અને ફિલ્મ નિર્માતા

  • કૈલાશ નાથ કાત્જુ (1887) – સ્વાતંત્ર્ય સેનાની અને મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now