અભિનેતા પરેશ રાવલ અભિનીત વિવાદાસ્પદ ફિલ્મ 'The Taj Story'ને દિલ્હી હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. કોર્ટે ફિલ્મની રિલીઝ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની અરજી પર ત્વરિત સુનાવણી કરવાનો સીધો ઇનકાર કરી દીધો છે. આ જાહેર હિતની અરજી (PIL)માં ફિલ્મ પર ઐતિહાસિક તથ્યોના વિકૃતીકરણ અને સાંપ્રદાયિક તણાવ ભડકાવવાના આરોપો લગાવવામાં આવ્યા હતા. વકીલ શકીલ અબ્બાસ દ્વારા દાખલ કરાયેલી અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે 31 ઓક્ટોબરે દેશભરમાં રિલીઝ થનારી આ ફિલ્મ ખોટા તથ્યો પર આધારિત છે અને તેનો ઉદ્દેશ્ય વિવિધ સમુદાયો વચ્ચે અશાંતિ ફેલાવવાનો છે.
ગુંબજ હેઠળ ભગવાન શિવની આકૃતિ
ખાસ કરીને, ફિલ્મના ટીઝર અને પોસ્ટર્સમાં તાજમહેલના ગુંબજ હેઠળ ભગવાન શિવની આકૃતિ ઉભરતી દેખાડવામાં આવી છે, જેને લીધે ધાર્મિક અને ઐતિહાસિક વિવાદો ઉભરી આવ્યા છે.તુષાર અમરીશ ગોયલ દ્વારા લખિત-દિગ્દર્શિત અને સુરેશ ઝા દ્વારા નિર્મિત આ ફિલ્મમાં પરેશ રાવલ ઉપરાંત ઝાકિર હુસૈન, અમૃતા ખાનવિલકર, નમિત દાસ અને સ્નેહા વાઘ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ તાજમહેલના નિર્માણને લઈને ચાલી આવતા વિવાદોની તપાસ કરે છે અને પરંપરાગત ઇતિહાસને પડકાર ફેંકે છે. કોર્ટના આ નિર્ણયથી ફિલ્મની રિલીઝ હવે અવરોધ વગર આગળ વધી શકશે!




















