ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝની પહેલી મેચ 20થી 24 જૂન દરમિયાન લીડ્સના હેડિંગ્લે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમને 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન અંડર-19 ભારતીય ટીમે ઈંગ્લેન્ડ યંગ લાયન્સ સામે 231 રનથી જીત મેળવી હતી. આ ઐતિહાસિક જીતનો હીરો મૂળ ગુજરાતના વિકેટકીપર અને બેટર હરવંશ પંગલિયા હતો.
હરવંશની તોફાની બેટિંગ
ઈંગ્લેન્ડના લફબરોમાં ભારતીય અંડર 19 અને ઈંગ્લેન્ડ યંગ લાયન્સ વચ્ચે ODI મેચ રમાઈ હતી. જેમાં ભારતે પહેલા બેટિંગ કરીને ઈંગ્લેન્ડ લાયન્સ સામે 60 ઓવરમાં 442 રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો હતો. કેપ્ટન આયુષ મ્હાત્રે 1 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. જ્યારે તાજેતરમાં IPLમાં ધમાલ મચાવનાર 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી 17 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારે તે જ મેચમાં હરવંશ પંગલિયાએ 52 બોલમાં અણનમ 8 ચોગ્ગા અને 9 છગ્ગાની મદદથી 103 રન બનાવ્યા હતા.





















