UP News: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંગળવારે રાષ્ટ્રવિરોધી તત્વોને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, જે લોકોને દેશમાં શ્રદ્ધા નથી અથવા તેની પરંપરાઓ પ્રત્યે સન્માન નથી, તેવા લોકો માટે આ રાષ્ટ્ર "ધર્મશાળા" બની શકે નહીં. લખનૌમાં જગદગુરુ રામાનંદાચાર્ય સ્વામી રામભદ્રાચાર્ય દ્વારા આયોજિત નવ દિવસીય 'શ્રી રામ કથા મહોત્સવ'ના સમાપન સમારોહમાં બોલતા, આદિત્યનાથે 'લવ જેહાદ' અને 'લેન્ડ જેહાદ' સામે જાગૃત રહેવા આહવાન કર્યું હતું.
લખનૌમાં સીએમ યોગી ગર્જ્યા, લેન્ડ જેહાદવાળાઓને રાક્ષસ અને ખર-દૂષણ ગણાવ્યા
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનૌમાં નવ દિવસીય શ્રી રામ કથા મહોત્સવના સમાપન કાર્યક્રમને સંબોધિત કરતા નકારાત્મક શક્તિઓ સામે સમાજને એકજૂથ થવા આહ્વાન કર્યું હતું. સીએમ યોગીએ જણાવ્યું કે ભગવાન રામ દરેકને જોડે છે અને રામ ભક્તોએ અયોધ્યામાં રામ મંદિર માટે 500 વર્ષ સુધી આકરો સંઘર્ષ કર્યો છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જે લોકો ભારત પ્રત્યે આસ્થા અને નિષ્ઠા નથી ધરાવતા અને અહીંના સંસ્કારોનું સન્માન નથી કરી શકતા, તેમના માટે ભારતની ધરતી કોઈ ધર્મશાળા હોઈ શકે નહીં.
વસ્તી વિષયક ફેરફારનું ષડયંત્ર
મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે "લવ જેહાદ" એ દેશની ધાર્મિક વસ્તી ગણતરી (ડેમોગ્રાફી) બદલવાના મોટા ષડયંત્રનો એક ભાગ છે. તેમણે ઉમેર્યું હાઈકોર્ટે 2009 અને 2011માં આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી. આ ધાર્મિક વસ્તી વિષયક માળખું બદલવાનું ષડયંત્ર છે. ઉત્તર પ્રદેશ સરકારે 2020માં ગેરકાયદેસર ધર્માંતરણ વિરોધી કાયદો બનાવ્યો છે, પરંતુ હજુ પણ વ્યાપક જનજાગૃતિની જરૂર છે. આપણે સતર્ક રહેવું જોઈએ. નકારાત્મક શક્તિઓ દરેક યુગમાં ઉભરી આવે છે, પરંતુ સમાજે એક થઈને તૈયાર રહેવું જોઈએ."
'લેન્ડ જેહાદ' અને રાષ્ટ્ર પ્રત્યે વફાદારી
તેમણે "લેન્ડ જેહાદ" વિરુદ્ધ પણ અવાજ ઉઠાવ્યો અને કહ્યું કે આવી પ્રવૃત્તિઓનો મક્કમપણે સામનો કરવો જોઈએ. યોગી આદિત્યનાથે સ્પષ્ટ કર્યું કે ભારત એવા લોકો માટે આશ્રયસ્થાન બની શકે નહીં જેઓ રાષ્ટ્ર પ્રત્યે પ્રતિબદ્ધતા ધરાવતા નથી. તેમણે કહ્યું, "ભારતની ધરતી આક્રમણખોરો માટે અથવા જેમને દેશના મૂલ્યો અને પરંપરાઓ પ્રત્યે શ્રદ્ધા, વફાદારી કે સન્માન નથી, તેમના માટે ધર્મશાળા બની શકે નહીં. તે બિલકુલ સ્વીકાર્ય નથી."
એકતા માટે આહવાન
સીએમ યોગીએ સંતો અને રચનાત્મક સામાજિક શક્તિઓને રાષ્ટ્રને મજબૂત કરવા માટે એક થવા વિનંતી કરી હતી. તેમણે જ્ઞાતિ, પ્રદેશ કે ભાષાના નામે સમાજને વિભાજિત કરવાનો પ્રયાસ કરનારાઓથી સાવધ રહેવા ચેતવણી આપી કેટલાક લોકો જ્ઞાતિના નામે, કેટલાક પ્રદેશના નામે અને અન્ય ભાષાના નામે સમાજને વહેંચવાનો પ્રયાસ કરશે. આપણે રામકથાના સારને સમજવો જોઈએ અને સંગઠિત રહેવું જોઈએ.






