દેવોના દેવ મહાદેવના ભક્તો માટે મહાશિવરાત્રીનો પર્વ અત્યંત વિશેષ હોય છે. ભારતના ખૂણેખૂણે શિવજીના ભવ્ય અને પ્રાચીન મંદિરો આવેલા છે, પરંતુ શું તમે જાણો છો કે વિશ્વનું સૌથી ઊંચું શિવ મંદિર ક્યાં છે? હિમાલયની ગોદમાં, વાદળોની ઉપર અને બરફથી ઢંકાયેલા પહાડો વચ્ચે બિરાજમાન છે 'તુંગનાથ મહાદેવ'. ઉત્તરાખંડના ચંદ્રનાથ પર્વત પર સ્થિત આ મંદિર માત્ર તેની ઊંચાઈ માટે જ નહીં, પણ તેના પૌરાણિક ઈતિહાસ અને પાંડવો સાથેના ગાઢ જોડાણને કારણે પણ વિશ્વભરમાં જાણીતું છે. આગામી મહાશિવરાત્રીના પવિત્ર અવસરે, ચાલો જાણીએ આ રહસ્યમય અને પવિત્ર 'તૃતીય કેદાર' તુંગનાથ મંદિરની રસપ્રદ કથા અને તેની વિશેષતાઓ વિશે.
12,000 ફૂટથી વધુની ઊંચાઈ પર 'પર્વતોના ભગવાન'
તુંગનાથ મંદિર સમુદ્ર સપાટીથી આશરે 3,680 મીટર (12,073 ફૂટ)ની ઊંચાઈ પર આવેલું છે. આ મંદિર ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં સ્થિત છે. 'તુંગનાથ' શબ્દનો શાબ્દિક અર્થ 'પર્વતોના ભગવાન' એવો થાય છે. અહીં પહોંચવા માટે ચોપટાથી અંદાજે 4 કિલોમીટરનું ચઢાણ કરવું પડે છે, જે કુદરતી સૌંદર્યથી ભરપૂર છે.

પાંડવો અને પંચ કેદારની પૌરાણિક કથા
મહાભારતના યુદ્ધ બાદ પાંડવો પોતાના જ ભાઈઓ અને ગુરુઓની હત્યાના પાપમાંથી મુક્તિ મેળવવા માંગતા હતા. ઋષિ વ્યાસની સલાહ પર તેઓ ભગવાન શિવને શોધવા હિમાલય પહોંચ્યા. જોકે, શિવજી પાંડવોથી નારાજ હતા અને તેમણે ભેંસનું રૂપ ધારણ કરી પૃથ્વીમાં સમાઈ જવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન શિવજીના શરીરના અંગો પાંચ અલગ-અલગ જગ્યાએ પ્રગટ થયા, જેને આજે 'પંચ કેદાર' તરીકે પૂજવામાં આવે છે:
કેદારનાથ: જ્યાં ભગવાનનો ખૂંધ (પીઠનો ભાગ) દેખાયો.
મધ્યમહેશ્વર: જ્યાં શિવજીની નાભિ પ્રગટ થઈ.
તુંગનાથ: જ્યાં મહાદેવના 'બાહુ' એટલે કે હાથ દેખાયા.
રુદ્રનાથ: જ્યાં ભગવાનનું મુખ પ્રગટ થયું.
કલ્પેશ્વર: જ્યાં ભગવાનની જટાઓ દેખાઈ.
પાંડુ પુત્ર અર્જુન સાથે છે ખાસ કનેક્શન
શાસ્ત્રો અને લોકવાયકા મુજબ, તુંગનાથ મંદિરનો પાયો પાંડવોમાં ત્રીજા ભાઈ અને મહાન ધનુર્ધર અર્જુને નાખ્યો હતો. પાંડવોએ જ આ ભવ્ય મંદિરનું નિર્માણ કરીને ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા. 'તુંગ' એટલે હાથ અને 'નાથ' એટલે ભગવાન, આમ અહીં શિવજીના હાથની પૂજા થાય છે.

ભગવાન શ્રી રામ અને ચંદ્રશિલાનું રહસ્ય
માત્ર પાંડવો જ નહીં, પણ આ સ્થાનનો સંબંધ પ્રભુ શ્રી રામ સાથે પણ છે. તુંગનાથથી આશરે 1.5 કિલોમીટર ઉપર 'ચંદ્રશિલા' નામનું શિખર છે. માનવામાં આવે છે કે રાવણના વધ બાદ બ્રહ્મહત્યાના પાપમાંથી મુક્તિ મેળવવા માટે શ્રી રામે આ ચંદ્રશિલા પર્વત પર તપસ્યા કરી હતી. આ શિખર 14,000 ફૂટની ઊંચાઈ પર આવેલું છે.
શિયાળામાં 'મુક્કુમઠ' ખાતે થાય છે પૂજા
તુંગનાથમાં ભારે હિમવર્ષાને કારણે શિયાળામાં મંદિરના દ્વાર બંધ કરી દેવામાં આવે છે. આ છ મહિના દરમિયાન ભગવાનની પ્રતિકાત્મક મૂર્તિને 'મુક્કુમઠ' ગામમાં લાવવામાં આવે છે, જે તુંગનાથથી 19 કિમી દૂર છે. ઉનાળો આવતા જ એપ્રિલ મહિનામાં ફરીથી વાજતે-ગાજતે ભગવાનને મુખ્ય મંદિરમાં સ્થાપિત કરવામાં આવે છે. શ્રદ્ધાળુઓ એપ્રિલથી નવેમ્બર વચ્ચે આ પવિત્ર ધામના દર્શન કરી શકે છે.




















