MS Dhoni IPL Future: IPL 2026 ની શરૂઆત આડે હવે માત્ર બે અઠવાડિયાનો સમય બાકી રહ્યો છે. વર્ષનો આ એ સમય છે જ્યારે ચાહકોના પ્રિય ક્રિકેટર એમએસ ધોની મેદાન પર રમતા જોવા મળે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ ધોની હવે વર્ષમાં માત્ર IPL રમે છે. IPL 2026માં ધોનીને ફરીથી એક્શનમાં જોવા માટે ફેન્સ ભારે ઉત્સાહિત છે. જોકે, દર વર્ષની જેમ આ વખતે પણ ફેન્સને એ જ ચિંતા સતાવી રહી છે કે શું આ ધોનીની છેલ્લી IPL હશે? હવે પૂર્વ ભારતીય ક્રિકેટર ઇરફાન પઠાણે ધોનીના ભવિષ્ય પર મોટું નિવેદન આપ્યું છે.
શું એમએસ ધોની છેલ્લીવાર રમશે IPL?
જિયો-હોટસ્ટારના એક શોમાં વાતચીત દરમિયાન ઇરફાન પઠાણે એમએસ ધોનીના ભવિષ્ય અંગે ચર્ચા કરી હતી. પઠાણને લાગે છે કે એક ખેલાડી તરીકે ધોનીનું આ કદાચ છેલ્લું વર્ષ હોઈ શકે છે. તેણે કહ્યું કે, "CSKની ટીમ એમએસ ધોની વગર અધૂરી છે. કદાચ આપણે તેમને છેલ્લીવાર પીળી જર્સીમાં રમતા જોઈશું. CSK અને IPL વિશે તેમના વગર વિચારવું અત્યંત મુશ્કેલ છે. જેવી IPL નજીક આવે છે, ધોની ફરી મેદાનમાં જોવા મળે છે. આ વખતે તેઓ સંપૂર્ણ રીતે તૈયાર અને ફિટ દેખાઈ રહ્યા છે."
યુવા ખેલાડીઓને મદદ કરશે ધોની
ઇરફાન પઠાણનું માનવું છે કે IPL 2026 દરમિયાન એમએસ ધોની CSK માટે નવા લીડર્સ તૈયાર કરવામાં મદદ કરશે. તેણે વધુમાં જણાવ્યું કે આ સિઝનમાં ધોની દરેકને સાથે લાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. ડ્રેસિંગ રૂમમાં તેમની હાજરી ટીમ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. સંજુ સેમસન જેવા ખેલાડીઓને પણ ફાયદો થશે કારણ કે તેઓ લીડરશીપ ગ્રુપનો ભાગ હશે.
પઠાણે આગળ ઉમેર્યું કે, "ઋતુરાજ ગાયકવાડ કેપ્ટન રહેશે પરંતુ એક ગ્રુપ તરીકે ભવિષ્ય માટે બે-ત્રણ લોકોને તૈયાર કરવામાં આવશે. એમએસ ધોની આ બાબતમાં મદદ કરશે. તેમની ફિટનેસ અને બેટિંગ ક્રમ પર હજુ પણ પ્રશ્નો રહેશે, પરંતુ CSK મેનેજમેન્ટ દરેક ડગલું વિચારીને ભરશે. ટીમ તેમને છઠ્ઠી IPL ટ્રોફી જીતાડીને એક શાનદાર ફેરવેલ (વિદાય) આપવા ઈચ્છશે."




















