મહાકુંભનો પ્રારંભ થઈ ચુક્યો છે. પ્રયાગરાજના મહાકુંભમાં મોટી સંખ્યામાં સાધુ સંતો અને મુનિઓ આવી રહ્યાં છે. એટલુ જ નહીં પણ મહાકુંભમાં અખાડાઓના સંતો સહિત દેશના ખૂણે-ખૂણેથી સંતો-મુનિઓ પધાર્યા છે. મકાકુંભના મેળામાં સાધુ-સંતોએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. આ આધ્યાત્મિક વાતાવરણમાં અનેક લોકો એવા છે જેમણે સાંસારિક મોહ માયાનો ત્યાગ કરીને સંપૂર્ણ ત્યાગના માર્ગે પ્રયાણ કર્યું છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ જો કોઈ વ્યક્તિ સંત બનવા માગે છે, તો તેણે શું કરવું જોઈએ.
આત્મ સાક્ષાત્કાર
સાધુ બનવાની પ્રક્રિયા સહેલી નથી, ગંભીર છે. તે જાગૃતતા, અનુશાસન અને સાધના માગે છે. સાધુ બનવાની સફરનું પહેલું પગથિયું આત્મસાક્ષાત્કાર છે, જેમાં લોકોએ ભૌતિક અસ્તિત્વની બહારની પોતાની વાસ્તવિક ઓળખને સમજવાની હોય છે. એટલે સાધુ બનનાર વ્યક્તિએ પોતાને માત્ર શરીર અને મન તરીકે નહીં, પરંતુ એક વ્યાપક ચેતના તરીકે અનુભવવો જોઈએ.
મોહ માયાનો ત્યાગ
સાંસારિક મોહ માયામાંથી મુક્તિ મેળવવી એ સાધુ બનવા માટેની મુખ્ય માગ છે. જે વ્યક્તિ સાધુ બનવા માગે છે તેણે ભ્રમમાંથી બહાર આવવા માટે પોતાની અંદર જોવુ પડશે. પોતાની અંદરથી પોતાના મન, ઈચ્છાઓ અને લાગણીઓનું નીરિક્ષણ કરવુ પડે છે. મોહ માયા અને ભ્રમ મનની ઉપજ ગણાય છે. તે વ્યક્તિને ભૌતિક વસ્તુઓ અને આનંદ સાથે જોડે છે. અર્થ, મોહ અને માયાનો ત્યાગ મનને કાબૂમાં રાખીને જ થઈ શકે છે.
સાધનાની પરંપરા
સાધુ બનવા માટે વ્યક્તિ સાધનાની પરંપરા અપનાવે તે જરૂરી છે. સાધના વ્યક્તિને તેની આત્મજાગૃતિ વધારવામાં મદદ કરે છે. સાધુ બનવા માટે વ્યક્તિએ નિયમિત રીતે ધ્યાન, પ્રાણાયામ અને યોગ જેવી પદ્ધતિઓ અપનાવવી પડે છે. આપણે આપણી ઇન્દ્રિયોને કાબૂમાં રાખવાનું અને આપણી ઇચ્છાઓને નિયંત્રિત કરવાનું શીખવું પડશે.
વૈરાગ્ય સૌથી મહત્વનું
સાધુ બનવા માટે ત્યાગ એ ખૂબ જ મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. વૈરાગ્ય જ વ્યક્તિના મનમાં સાંસારિક સુખો પ્રત્યે ઉદાસીનતાની લાગણી પેદા કરે છે. આપને જણાવી દઈએ કે વૈરાગ્ય એટલે કોઈ પણ વસ્તુ પ્રત્યે આકર્ષિત ન થવું. વૈરાગ્ય એ અવસ્થાનું નામ છે જે વ્યક્તિને ભ્રમમાંથી મુક્ત થઈને સત્ય તરફ આગળ વધવામાં મદદ કરે છે.
ગુરૂઓનું અનુસરણ
જે વ્યક્તિ સાધુ બનવા માગે છે તેમને ગુરુઓને અનુસરવું પડશે. આ માર્ગ પર લાંબો સફર કાપનારા લોકો પાસેથી અનુભવો અને ઉપદેશો લેવાના હોય છે. ગુરુ પાસેથી લીધેલા ઉપદેશ વ્યક્તિનો સાધુ બનવાનો માર્ગ સરળ બનાવે છે.




















