વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરનું મુખ્ય દ્વાર માત્ર આવવા-જવા માટેનો માર્ગ નથી, પરંતુ તે ઉર્જાનો પ્રવેશદ્વાર પણ છે. ઘરના પ્રવેશદ્વારની દિશા પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય, આર્થિક સ્થિતિ અને માનસિક શાંતિ પર સીધી અસર કરે છે. જો મુખ્ય દ્વાર યોગ્ય દિશામાં હોય તો ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે, જ્યારે ખોટી દિશામાં બનેલો દરવાજો મુશ્કેલીઓ નોતરી શકે છે.
પૂર્વ દિશા: સકારાત્મકતા અને માન-સન્માનનો સ્ત્રોત
પૂર્વ દિશાને સૂર્યની દિશા માનવામાં આવે છે, તેથી આ દિશામાં રાખવામાં આવેલું પ્રવેશદ્વાર અત્યંત મંગળકારી ગણાય છે. વાસ્તુ મુજબ, પૂર્વ દિશામાંથી આવતી ઉર્જા ઘરમાં સકારાત્મકતા લાવે છે અને પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય જાળવી રાખવામાં મદદરૂપ થાય છે. આ દિશામાં દ્વાર હોવાથી સમાજમાં માન-પાન વધે છે અને પ્રગતિના નવા અવસરો પ્રાપ્ત થાય છે.
ઉત્તર દિશા: આર્થિક ઉન્નતિ અને કુબેરનો વાસ
વાસ્તુશાસ્ત્રમાં ઉત્તર દિશાને ધનના દેવતા કુબેરી દિશા માનવામાં આવે છે. જો ઘરનું મુખ્ય દ્વાર ઉત્તર દિશામાં હોય તો આર્થિક મજબૂતી અને કરિયરમાં સફળતા મળવાની શક્યતાઓ વધી જાય છે. યોગ્ય માપ અને યોગ્ય સ્થાન પર બનેલો ઉત્તર દિશાનો દરવાજો પરિવાર માટે નવી તકોના દ્વાર ખોલે છે.
દક્ષિણ દિશા: નકારાત્મકતાથી બચવા શું કરવું?
સામાન્ય રીતે દક્ષિણ દિશામાં મુખ્ય દ્વાર હોવું શુભ માનવામાં આવતું નથી. માન્યતા છે કે આ દિશામાંથી નકારાત્મક ઉર્જા પ્રવેશી શકે છે, જેના કારણે ઘરમાં તણાવ, માંદગી અને આર્થિક ખેંચતાણ સર્જાય છે. જોકે, યોગ્ય વાસ્તુ ઉપાયો અને રેમેડીઝનો ઉપયોગ કરીને આ દિશાના દુષ્પ્રભાવોને ચોક્કસપણે ઘટાડી શકાય છે.
મુખ્ય દ્વાર સાથે જોડાયેલી સાવચેતીઓ
ઘરનો મુખ્ય દરવાજો હંમેશા મજબૂત, સાફ-સુથરો અને આકર્ષક હોવો જોઈએ. તૂટેલો કે ગંદો દરવાજો નકારાત્મકતામાં વધારો કરે છે. પ્રવેશદ્વાર પર પૂરતો પ્રકાશ હોવો જોઈએ અને ત્યાં કોઈ પણ પ્રકારનો અવરોધ કે અંધારું ન હોવું જોઈએ. મુખ્ય દ્વાર પર શુભ પ્રતીકો અને સુંદર નેમ-પ્લેટ લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે.
આ દિશાઓ સાબિત થઈ શકે છે નુકસાનકારક
વાસ્તુ મુજબ, દક્ષિણ-પશ્ચિમ (નૈઋત્ય) ખૂણામાં કે ખોટા પદ પર બનેલું મુખ્ય દ્વાર સૌથી વધુ નુકસાનકારક સાબિત થઈ શકે છે. ખાસ કરીને S-6 થી W-1 વચ્ચેનો ભાગ વ્યક્તિની નિર્ણય લેવાની ક્ષમતાને નબળી પાડે છે. આ સ્થિતિમાં દેવું વધવું, સંબંધોમાં ખટાશ આવવી અને આકસ્મિક બીમારી કે અકસ્માત જેવી ગંભીર સમસ્યાઓ સર્જાઈ શકે છે. આવા કિસ્સામાં સામાન્ય ઉપાયોને બદલે યોગ્ય નિષ્ણાતની સલાહ લેવી અનિવાર્ય બને છે.




















