વાસ્તુ શાસ્ત્રમાં ઘરની સજાવટ માત્ર સુંદરતા પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે ઘરમાં રહેતા સભ્યોના જીવન પર ઊંડી અસર કરે છે. સમરાંગણ સૂત્રધાર, પ્રસાદ મંડન અને બૃહદસંહિતા જેવા પ્રાચીન વાસ્તુ ગ્રંથોમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઘરમાં રાખવામાં આવેલી વસ્તુઓ અને દીવાલો પર લગાડેલા ચિત્રો નકારાત્મક અથવા સકારાત્મક ઉર્જા પેદા કરે છે. ઘણા લોકો શક્તિના પ્રતીક તરીકે સિંહની તસવીર લગાવતા હોય છે, પરંતુ વાસ્તુ મુજબ આ એક મોટી ભૂલ સાબિત થઈ શકે છે.
શા માટે સિંહની તસવીર છે અશુભ?
વાસ્તુ નિયમો અનુસાર, સિંહ એ આક્રમકતા, અહંકાર અને શિકાર કરવાની વૃત્તિનું પ્રતીક છે. જો ઘરની અંદર સિંહની તસવીર કે મૂર્તિ રાખવામાં આવે, તો તે પરિવારના સભ્યો વચ્ચે માનસિક તણાવ અને ઉગ્રતા વધારે છે. તેનાથી પારિવારિક વિખવાદ અને કલેશની સ્થિતિ સર્જાય છે. આવા આક્રમક પશુઓના ચિત્રો ઘરમાં નકારાત્મકતાને આમંત્રણ આપે છે, જેના કારણે જીવનના વિકાસમાં અવરોધો પેદા થાય છે અને સભ્યો વચ્ચે ગેરસમજણ વધતી જાય છે.
આ પક્ષીઓના ચિત્રોથી પણ દૂર રહો
સમરાંગણ સૂત્રધારના 38 માં અધ્યાયમાં પક્ષીઓના ચિત્રો અંગે પણ વિશેષ સૂચનાઓ આપવામાં આવી છે. વાસ્તુ મુજબ ગીધ, ઘુવડ, કબૂતર, કાગડો, બાજ અને બગલા જેવા પક્ષીઓના ફોટા કે ચિત્રો ઘરની દીવાલો પર ક્યારેય ન બનાવવા જોઈએ. આ પક્ષીઓને અમંગળ અથવા એકાંતના પ્રતીક માનવામાં આવે છે, જે ઘરની શાંતિ હણી શકે છે.
કયા ચિત્રો લાવશે ઘરમાં સમૃદ્ધિ?
જો તમે ઘરમાં સુખ અને શાંતિ ઈચ્છતા હોવ, તો વાસ્તુ શાસ્ત્રમાં કેટલાક પશુ-પક્ષીઓના ચિત્રોને અત્યંત શુભ માનવામાં આવ્યા છે:
ગાય (કામધેનુ): ઘરમાં પવિત્રતા અને ધનધાન્યની વૃદ્ધિ કરે છે.
સાત દોડતા ઘોડા: પ્રગતિ અને સફળતાની ઝડપ દર્શાવે છે.
હાથી અને કાચબો: સ્થિરતા, જ્ઞાન અને દીર્ઘાયુનું પ્રતીક છે.
હંસ અને મોર: પરિવારમાં પ્રેમ અને સૌંદર્યમાં વધારો કરે છે.
વાસ્તુ મુજબ આ શુભ ચિત્રો લગાવવાથી પરિવારમાં આર્થિક સમૃદ્ધિની સાથે માનસિક શાંતિ પણ જળવાઈ રહે છે. શક્તિ અને સંપત્તિની પ્રાપ્તિ માટે હિંસક પશુઓને બદલે સૌમ્ય અને પ્રતીકાત્મક પ્રાણીઓની પસંદગી કરવી હિતાવહ છે.




















