પશ્ચિમ એશિયામાં વધી રહેલા આંતરરાષ્ટ્રીય તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિને કારણે ભારતમાં પણ તેની અસરો વર્તાવા લાગી છે. આ સંકટ સીધું રસોડા સુધી પહોંચ્યું છે, જ્યાં LPG ગેસ સિલિન્ડરના પુરવઠાને લઈને ચિંતા ઉભી થઈ છે. ગેસની અછતના ડરથી લોકો હવે ઘરના રસોડામાં ઈન્ડક્શન ચૂલાનો વપરાશ વધારી રહ્યા છે, જેના કારણે બજારમાં પણ ઈન્ડક્શનની માગમાં ધરખમ ઉછાળો આવ્યો છે.
મિડિલ ઈસ્ટના આ તણાવ અને સંભવિત LPG સંકટ વચ્ચે ઘણા પરિવારો ઈન્ડક્શનને એક મજબૂત વિકલ્પ તરીકે અપનાવી રહ્યા છે. જોકે, કેટલાક ઘરોમાં તો પહેલેથી જ રસોઈ માટે આ આધુનિક સાધનનો ઉપયોગ થઈ રહ્યો છે.
પરંતુ શું તમે જાણો છો કે ઈન્ડક્શન ચૂલા પર રસોઈ બનાવતી વખતે પણ વાસ્તુ શાસ્ત્રના કેટલાક ચોક્કસ નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે? જો આ નિયમોની અવગણના કરવામાં આવે, તો રસોડાની સકારાત્મક ઉર્જા ખોરવાઈ શકે છે અને તેની સીધી અસર ઘરના સભ્યો પર પડી શકે છે. આવો જાણીએ, ઈન્ડક્શન ચૂલાનો ઉપયોગ કરતી વખતે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
યોગ્ય દિશામાં રાખો ઈન્ડક્શન ચૂલો
વાસ્તુ શાસ્ત્રના સિદ્ધાંતો અનુસાર, રસોડામાં અગ્નિ તત્વ સાથે જોડાયેલા તમામ ઉપકરણો માટે દક્ષિણ-પૂર્વ દિશા, જેને 'અગ્નિ કોણ' કહેવામાં આવે છે, તેને સૌથી શુભ માનવામાં આવે છે. તેથી, ઈન્ડક્શન ચૂલાને પણ આ જ દિશામાં રાખવું હિતાવહ છે. તેનાથી ઘરની અંદર સકારાત્મક ઉર્જાનો પ્રવાહ જળવાઈ રહે છે. ઉર્જાના શ્રેષ્ઠ સંચાર માટે, તમે રસોડાના દક્ષિણ-પૂર્વ ખૂણામાં ઈન્ડક્શન ગોઠવી શકો છો. જો કોઈ કારણસર આ દિશામાં જગ્યા ન હોય અથવા ત્યાં ચૂલો રાખવો શક્ય ન હોય, તો વિકલ્પ તરીકે ઉત્તર-પશ્ચિમ દિશામાં પણ તેને રાખી શકાય છે.
રસોઈ બનાવતી વખતે મુખની દિશા
ઈન્ડક્શન પર રસોઈ બનાવતી વ્યક્તિનું મુખ પૂર્વ દિશા તરફ હોવું અત્યંત શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે આનાથી સ્વાસ્થ્ય સારું રહે છે અને ઘરમાં સકારાત્મકતાનો સંચાર વધે છે.
પાણીથી રાખો દૂર
ઈન્ડક્શનને ક્યારેય પણ સિંક અથવા પાણીના સ્થાન (જલ તત્વ)ની બિલકુલ બાજુમાં ન રાખવું જોઈએ. વાસ્તુ અનુસાર, અગ્નિ અને જળ તત્વો વચ્ચેનો આ ટકરાવ અશુભ માનવામાં આવે છે.
આ દિશાઓમાં ન રાખો ઈન્ડક્શન
ઈન્ડક્શનને ઉત્તર-પૂર્વ (ઈશાન કોણ - જે શાંત અથવા જળનો ઝોન છે) અથવા દક્ષિણ-પશ્ચિમ (નૈઋત્ય કોણ - જે સ્થિરતા/પૃથ્વીનો ઝોન છે) દિશામાં રાખવાનું ટાળવું જોઈએ.
સ્વચ્છતાનું રાખો વિશેષ ધ્યાન
વાસ્તુ શાસ્ત્ર મુજબ, જે સ્થાન પર ઈન્ડક્શન ચૂલો રાખવામાં આવ્યો હોય, ત્યાં સ્વચ્છતા અને પવિત્રતા જાળવવી ખૂબ જ જરૂરી છે. ઈન્ડક્શનની આસપાસ ગંદકી ન કરવી જોઈએ અને ત્યાં એંઠા વાસણો પણ ન રાખવા જોઈએ. આમ કરવાથી રસોડાની ઉર્જા દૂષિત થાય છે.




















