શું તમે પણ એવી સમસ્યાનો સામનો કરી રહ્યા છો કે મહેનત કરવા છતાં પર્સમાં પૈસા ટકતા નથી અને આવક કરતા ખર્ચનું પ્રમાણ વધી જાય છે? વાસ્તુશાસ્ત્ર મુજબ આ સ્થિતિ પાછળ વાસ્તુ દોષ જવાબદાર હોઈ શકે છે. ઘણીવાર આપણે અજાણતા પર્સમાં એવી વસ્તુઓ ભરી રાખીએ છીએ જે આર્થિક ઉન્નતિમાં અવરોધ પેદા કરે છે અને લક્ષ્મીજીના આગમનને રોકે છે. ખાસ કરીને ફાટેલું કે ગંદુ પર્સ વાપરવું એ ધનહાનિનું મુખ્ય કારણ બને છે. જો તમે પણ આર્થિક મુશ્કેલીઓથી છુટકારો મેળવવા માંગતા હોવ તો વાસ્તુમાં સૂચવેલા કેટલાક સરળ અને અસરકારક ઉપાયો તમારા માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે.
વાસ્તુના નિયમો મુજબ પર્સમાં ક્યારેય પણ જૂના બિલ, રસીદ અથવા ફાટેલી નોટો ન રાખવી જોઈએ. આ વસ્તુઓ નકારાત્મક ઊર્જા વધારે છે. આ ઉપરાંત પર્સનો રંગ પણ તમારી આર્થિક સ્થિતિ પર અસર કરે છે. વાસ્તુ મુજબ કાળા કે ઘેરા વાદળી રંગના પર્સનો ઉપયોગ ટાળવો હિતાવહ છે, કારણ કે તે ક્યારેક ધન પ્રવાહમાં રુકાવટ લાવી શકે છે. તેના બદલે લીલો, ભૂરો (Brown) અથવા ક્રીમ રંગનું પર્સ વાપરવું અત્યંત શુભ અને ફળદાયી માનવામાં આવે છે. જો તમારું પર્સ થોડું પણ ફાટી ગયું હોય તો તેને તુરંત બદલી નાખવું જોઈએ.
ઘણા લોકો આસ્થાને કારણે પર્સમાં દેવી-દેવતાઓની તસવીર રાખતા હોય છે, પરંતુ વાસ્તુશાસ્ત્ર મુજબ આ પ્રથા અશુભ માનવામાં આવે છે. પર્સમાં ભગવાનના ફોટા રાખવાથી આર્થિક સમસ્યાઓ ઉભી થઈ શકે છે. તેના બદલે લાલ રંગના કાગળ પર સૂર્ય યંત્ર બનાવીને રાખી શકાય છે જે આર્થિક સ્થિતિને મજબૂત બનાવે છે. આ ઉપરાંત પર્સમાં મોર પીંછ રાખવું પણ ખૂબ જ ભાગ્યશાળી ગણાય છે. મોર પીંછ રાખવાથી નકારાત્મકતા દૂર થાય છે અને રાહુ દોષમાં પણ રાહત મળે છે, જેનાથી ધન લાભના યોગ સર્જાય છે.
આર્થિક સંકડામણ દૂર કરવા માટે એક ખાસ ઉપાય કારગર સાબિત થઈ શકે છે. પીળા રંગના કાપડમાં થોડા ચોખાના દાણા અને હળદર મૂકીને એક નાની પોટલી બનાવી લો. આ પોટલીને તમારા પર્સમાં રાખવાથી ધનનું આગમન શરૂ થશે અને બિનજરૂરી ખર્ચાઓ પર લગામ આવશે. આ નાનકડા ફેરફારો કરવાથી માતા લક્ષ્મીની કૃપા આપના પર બની રહેશે અને નસીબના દ્વાર ખુલશે.



















