જીવનમાં આર્થિક ઉન્નતિ માટે મહેનત અનિવાર્ય છે પરંતુ ઘણી વખત અથાક પ્રયત્નો બાદ પણ સફળતા મળતી નથી અને હાથ ખાલી રહે છે. વાસ્તુશાસ્ત્રના દૃષ્ટિકોણથી આ પાછળ વાસ્તુદોષ અને નકારાત્મક ઉર્જા જવાબદાર હોઈ શકે છે. જ્યારે મકાનની ઉર્જા અસંતુલિત થાય છે ત્યારે કમાણીના માર્ગો અવરોધાય છે. સુખ સમૃદ્ધિ માટે સકારાત્મક ઉર્જાનો પ્રવાહ જળવાઈ રહેવો જરૂરી છે. વાસ્તુ ગુરુ માન્યાના જણાવ્યા અનુસાર અમુક સરળ બદલાવ કરીને આર્થિક મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવી શકાય છે.
ભગવાન કુબેરની દિશા અને સ્વચ્છતા
વાસ્તુશાસ્ત્રમાં ઉત્તર દિશાને ધનના દેવતા કુબેરની દિશા ગણવામાં આવે છે. ઘરમાં ધન અને સંપત્તિના આગમન માટે આ દિશાને હંમેશા સાફ રાખવી જોઈએ. આ સ્થાન પર ગંદકી હોવાથી આર્થિક નુકસાન થઈ શકે છે. ઉત્તર દિશામાં કુબેર યંત્ર અથવા વાદળી રંગની કોઈ શોપીસ રાખવાથી નાણાકીય સ્થિરતામાં વધારો થાય છે.
તિજોરી રાખવાની યોગ્ય દિશા
મકાનની દક્ષિણ પશ્ચિમ દિશા એટલે કે નૈઋત્ય ખૂણામાં તિજોરી કે લોકર રાખવું અત્યંત ફળદાયી માનવામાં આવે છે. ખાસ ધ્યાન રાખવું કે જ્યારે પણ તિજોરી ખોલો ત્યારે તેનું મુખ ઉત્તર દિશા તરફ હોવું જોઈએ. આ ગોઠવણથી બિનજરૂરી ખર્ચમાં ઘટાડો થાય છે અને બચતમાં વૃદ્ધિ થાય છે.
મુખ્ય દરવાજાની પવિત્રતા અને મહત્ત્વ
વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરનું મેઈન ગેટ લક્ષ્મીજીના પ્રવેશનું સ્થાન છે. પ્રગતિ માટે પ્રવેશદ્વાર સ્વચ્છ અને સુશોભિત હોવો જોઈએ. સદભાગ્યમાં વૃદ્ધિ કરવા માટે મુખ્ય દ્વાર પર હળદર અથવા કંકુથી સ્વાસ્તિક બનાવવું જોઈએ. આ ઉપરાંત સાંજના સમયે ત્યાં દીવો પ્રગટાવવાથી લક્ષ્મીજીની કૃપા જળવાઈ રહે છે.
નળમાંથી પાણી ટપકવું આર્થિક નુકસાનની નિશાની
વાસ્તુ ગુરુ માન્યાના મતે ઘરમાં નળમાંથી પાણીનું ટપકવું તે માત્ર પાણીનો બગાડ નથી પરંતુ તે આર્થિક પાયમાલી સૂચવે છે. વાસ્તુશાસ્ત્રમાં તેને નાણાંના સતત વ્યય અને ખોટા ખર્ચ સાથે જોડવામાં આવે છે. જો તમારા ઘરમાં પણ આવો કોઈ ખામીયુક્ત નળ હોય તો તેને તાત્કાલિક રીપેર કરાવવો જોઈએ જેથી ધનહાનિ અટકાવી શકાય.
અરીસાનો સાચો ઉપયોગ
સંપત્તિમાં વધારો કરવા માટે અરીસો એક મહત્વનું માધ્યમ બની શકે છે. વાસ્તુ મુજબ તિજોરીની બિલકુલ સામે અરીસો લગાવવો જોઈએ. આ રીતે જ્યારે તિજોરી ખોલવામાં આવે ત્યારે તેનું પ્રતિબિંબ અરીસામાં દેખાય તે શુભ ગણાય છે. આ પ્રક્રિયાથી સંપત્તિ બમણી થતી હોવાની માન્યતા છે અને ઘરમાં સુખ શાંતિનો વાસ થાય છે.





