વાસ્તુ શાસ્ત્રમાં ઘરની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે અનેક નિયમો જણાવવામાં આવ્યા છે. ઘણીવાર પતિ-પત્ની વચ્ચે કારણ વગરના ઝઘડા કે મનદુઃખ થતા હોય છે જેની પાછળ વાસ્તુ દોષ જવાબદાર હોઈ શકે છે. માન્યતા છે કે જો કપલ્સનો બેડરૂમ વાસ્તુ મુજબ ન હોય તો તેની નકારાત્મક અસર જીવન પર પડે છે અને વાતાવરણ તણાવપૂર્ણ બની જાય છે. જો તમે પણ આવી સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો વાસ્તુના આ સરળ ઉપાયો તમારા લગ્નજીવનમાં મધુરતા લાવી શકે છે.
બેડરૂમ માટે વાસ્તુના ખાસ નિયમો
વાસ્તુ શાસ્ત્ર અનુસાર નવપરિણીત યુગલનો બેડ ક્યારેય પણ લોખંડ, આંબાના લાકડા કે તેંદુના લાકડામાંથી બનેલો ન હોવો જોઈએ. આવા બેડના કારણે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. આ સિવાય જેમના નવા લગ્ન થયા હોય તેમણે ક્યારેય પણ વાયવ્ય એટલે કે ઉત્તર પશ્ચિમ ખૂણાવાળો રૂમ ન રાખવો જોઈએ, કારણ કે તેની વિપરીત અસર સંબંધો પર પડી શકે છે.
બેડરૂમમાં ક્યારેય પણ પૂજા ઘર અથવા મંદિર ન રાખવું જોઈએ અને જો મજબૂરીમાં મંદિર રૂમમાં રાખવું પડે તો તેની આગળ પડદો અવશ્ય રાખવો. આ ઉપરાંત બેડરૂમમાં એઠાં વાસણો કે સાવરણી રાખવાથી નકારાત્મકતા વધે છે. રૂમમાં યુદ્ધની, ડરામણી કે નકારાત્મક તસવીરો લગાવવાથી બચવું જોઈએ, કારણ કે તેની સીધી અસર માનસિક શાંતિ પર પડે છે. પતિ-પત્નીનો બેડ ક્યારેય પણ ડાબી કે જમણી દીવાલ સાથે અડીને ન હોવો જોઈએ અને રૂમમાં લાલ બલ્બ કે અરીસો રાખવાનું પણ ટાળવું જોઈએ.
સુખી દાંપત્ય જીવન માટે અજમાવો આ ટિપ્સ
પાણીનો લોટો: વૈવાહિક જીવનમાં ખુશહાલી માટે રાત્રે સૂતી વખતે તાંબાના વાસણમાં પાણી ભરી તેને ઢાંકીને ઈશાન ખૂણામાં રાખવું. બેડના પૂર્વ ઉત્તર ખૂણામાં આ વાસણ રાખીને સૂવું અત્યંત શુભ માનવામાં આવે છે.
તસવીર: બેડરૂમમાં હંમેશા એવી તસવીર લગાવવી જેમાં પતિ-પત્ની સાથે ખુશ જોવા મળતા હોય. આનાથી પરસ્પર પ્રેમમાં વધારો થાય છે.
સ્ફટિક બોલ: જો તણાવ વધુ રહેતો હોય તો બેડરૂમના દક્ષિણ પશ્ચિમ ખૂણામાં સ્ફટિકની બોલ રાખવી જોઈએ.
ફિંગશુઈ ઘંટડી: વાસ્તુ મુજબ બેડરૂમની ઉત્તર પશ્ચિમ દિશામાં બારી હોવી જરૂરી છે, જો બારી ન હોય તો તે ખૂણામાં ફિંગશુઈની ઘંટડીઓ લટકાવી શકાય છે.
લાલ ફૂલો: લાલ રંગને પ્રેમ અને ઉત્સાહનું પ્રતીક માનવામાં આવે છે. રૂમમાં લાલ રંગના ફૂલ રાખવાથી પતિ-પત્ની વચ્ચે આકર્ષણ અને પ્રેમ જળવાઈ રહે છે.
મોર પંખ: બેડરૂમમાં મોર પંખ એવી રીતે લગાવો કે રૂમમાં પ્રવેશતી વખતે અને સૂતી વખતે તે નજર સામે રહે.




















