વાસ્તુશાસ્ત્રમાં ઘરના દરેક ખૂણાનું વિશેષ મહત્વ રહેલું છે પરંતુ પૂજાખંડને સૌથી પવિત્ર અને ઉર્જાવાન સ્થાન માનવામાં આવે છે. ઘરની સુખ સમૃદ્ધિ પૂજાઘરની પવિત્રતા પર નિર્ભર કરતી હોય છે. ઘણીવાર લોકો અજાણતા મંદિરમાં જ્વલનશીલ વસ્તુઓ જેવી કે માચીસ રાખતા હોય છે જે વાસ્તુ મુજબ યોગ્ય નથી. આ નાની દેખાતી ભૂલના પરિણામો ભવિષ્યમાં ગંભીર સાબિત થઈ શકે છે અને ઘરની પોઝિટિવ એનર્જીમાં ઘટાડો કરી શકે છે.
પૂજાખંડમાં કેમ ન રાખવી જોઈએ માચીસ
દીવો કે અગરબત્તી પ્રગટાવવા માટે માચીસનો ઉપયોગ અનિવાર્ય છે છતાં તેને ભગવાનની મૂર્તિઓ પાસે રાખવી અશુભ માનવામાં આવે છે. Vastu Shastra અનુસાર પવિત્ર સ્થાને જ્વલનશીલ પદાર્થોની હાજરી વાસ્તુદોષ પેદા કરે છે. અગ્નિ તત્વ વિનાશ અને અસ્થિરતા સાથે પણ જોડાયેલું છે તેથી તેને ખુલ્લી રીતે પૂજાસ્થળે રાખવાથી માનસિક અશાંતિ અને આર્થિક તંગી જેવી સમસ્યાઓ સર્જાઈ શકે છે. તે પ્રાર્થનાના આધ્યાત્મિક ફળને પણ ઓછું કરે છે.
જીવન અને સંબંધો પર તેની નકારાત્મક અસર
માચીસની હાજરી માત્ર પૂજાઘર પૂરતી મર્યાદિત નથી પરંતુ શયનખંડમાં પણ તેની મનાઈ કરવામાં આવી છે. બેડરૂમમાં માચીસ રાખવાથી દંપતી વચ્ચે અણબનાવ અને ક્લેશ વધવાની શક્યતા રહે છે. તેનાથી ઘરમાં ભય અને ચિંતાનું વાતાવરણ ઉભું થાય છે. વાસ્તુદોષથી બચવા માટે અગ્નિ સાથે સંબંધિત વસ્તુઓને હંમેશા રસોડામાં રાખવી જોઈએ કારણ કે તે અગ્નિનું નિર્ધારિત સ્થાન છે. જો પૂજાઘરમાં રાખવી જ પડે તો તેને કોઈ સાફ કપડામાં લપેટીને અથવા બંધ ખાનામાં રાખવી હિતાવહ છે.
આ બાબતોનું ખાસ રાખો ધ્યાન
માચીસ સિવાય લાઈટર જેવી વસ્તુઓ પણ પૂજાખંડમાં ન રાખવી જોઈએ. એકવાર દીવો પ્રગટાવ્યા બાદ વપરાયેલી માચીસની સળીઓ ક્યારેય ભગવાન પાસે ન ફેંકવી જોઈએ કારણ કે તેનાથી નકારાત્મકતા અને ગરીબી આવે છે. આ ઉપરાંત અગરબત્તીની રાખ પણ નિયમિત રીતે સાફ કરવી જોઈએ. જો પૂજાસ્થળે રાખનો ઢગલો રહેતો હોય તો તે પિતૃદોષનું કારણ બની શકે છે જેનાથી પરિવારના સભ્યોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.




















