પંચાંગ અનુસાર આજે 23 Januaryના રોજ માઘ માસના શુક્લ પક્ષની પંચમી તિથિએ સમગ્ર રાષ્ટ્રમાં સરસ્વતી પૂજન અને વસંત પંચમીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. વસંત ઋતુના આગમનના પ્રતીક સમાન આ પવિત્ર અવસરે અનેક સ્થળોએ મેઘરાજાની એન્ટ્રી જોવા મળી છે. તહેવારના દિવસે થયેલા આ વરસાદને લઈને સામાન્ય જનતામાં કુતૂહલ જોવા મળી રહ્યું છે કે આ પરિવર્તન મંગલકારી છે કે પછી કોઈ અશુભ ઘટનાનો સંકેત આપી રહ્યું છે.
આકાશમાં કાળા વાદળોનો ઘેરો અને વરસાદી માહોલ
આજે વહેલી સવારથી જ દિલ્હી-એનસીઆર સહિતના ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું જોવા મળ્યું હતું અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. IMD દ્વારા અગાઉ જ આ અંગે એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. શુક્રવારે વરસેલા આ વરસાદને કારણે શ્રદ્ધાળુઓને પૂજા વિધિમાં થોડી અગવડતા પડી હતી પરંતુ જ્યોતિષશાસ્ત્રમાં આ ઘટનાને માત્ર મોસમી ફેરફાર ગણવાને બદલે તેને વિશિષ્ટ સંકેતો સાથે સાંકળવામાં આવે છે.
ધાર્મિક દ્રષ્ટિકોણ અને શાસ્ત્રોનું સૂચન
પુરાણો અને શાસ્ત્રોમાં વસંત ઋતુના પ્રારંભે થતા વરસાદને અત્યંત ફળદાયી માનવામાં આવ્યો છે. જ્યોતિષીઓના મતાનુસાર જો વસંત પંચમીના દિવસે ધીમી ધારે અથવા શાંત રીતે વરસાદ વરસે તો તેને માં સરસ્વતીની વિશેષ કૃપા માનવામાં આવે છે. આ પ્રકારની વર્ષા જ્ઞાન, બુદ્ધિ અને સકારાત્મક ઊર્જામાં વૃદ્ધિ કરનારી સાબિત થાય છે. વળી તેને કૃષિ અને સમૃદ્ધિ માટે પણ અત્યંત ઉત્તમ ગણવામાં આવે છે.
ગ્રહોની ચાલ અને ભવિષ્યની આગાહી
વર્તમાન ગ્રહ દશા પર નજર કરીએ તો અત્યારે ચંદ્રમા મીન રાશિમાં બિરાજમાન છે. મીન રાશિના સ્વામી ગુરુ હોવાથી આ વરસાદ આધ્યાત્મિક અને નૈતિક મૂલ્યોના ઉત્થાનનો નિર્દેશ કરે છે. જોકે જ્યોતિષીઓ એવો પણ મત ધરાવે છે કે જો વરસાદ અત્યંત તોફાની કે અસામાન્ય હોય અને તેના પર રાહુ, કેતુ કે શનિનો પ્રભાવ જણાતો હોય તો તે ચિંતાનો વિષય બની શકે છે. આવી સ્થિતિ ભવિષ્યમાં કુદરતી અસંતુલન અને વાતાવરણમાં મોટા ફેરફારોની ચેતવણી આપે છે. આમ આ વરસાદના બે પાસા છે જે એકતરફ ખુશહાલી તો બીજી તરફ સાવચેતીનો સંદેશ પાઠવે છે.





















