હિંદુ ધર્મમાં વસંત પંચમીનું વિશેષ મહત્વ છે. આ દિવસે જ્ઞાન અને બુદ્ધિની દેવી મા સરસ્વતીની પૂજા કરવાનું વિધાન છે. માન્યતા છે કે આ દિવસે મા સરસ્વતીનું પ્રાગટ્ય થયું હતું. આ વર્ષે વસંત પંચમી 23 જાન્યુઆરી, શુક્રવારના દિવસે ઉજવવામાં આવશે. આ વર્ષે ગ્રહોનો ખૂબ જ શુભ સંયોગ બની રહ્યો છે, જે શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા લોકો માટે અત્યંત લાભદાયી છે.
મા સરસ્વતીની કૃપા મેળવવા માટે પૂજામાં કઈ સામગ્રી જોઈશે અને શું છે સાચી વિધિ, તે વિશે અહીં વિગતે જાણો:
વસંત પંચમી સરસ્વતી પૂજા સામગ્રી લિસ્ટ
સરસ્વતી પૂજા માટે નીચે મુજબની વસ્તુઓ તૈયાર રાખો:
હળદર, કુમકુમ, અક્ષત (ચોખા), અબીલ-ગુલાલ, સિંદૂર અને રોલી.
ધૂપબત્તી, અત્તર, ગાયનું ઘી અને ફૂલની માળા.
પીળા રંગના ફૂલ, આસોપાલવ કે આંબાના પાન.
લાકડાની ચોકી (બાજઠ) અને તેના પર પાથરવા માટે પીળું વસ્ત્ર.
કળશ, શ્રીફળ (નાળિયેર), સોપારી અને દૂર્વા.
નૈવેદ્ય માટે માલપુઆ, દૂધની મીઠાઈ, તલના લાડુ અને કેળા.
માતાજી માટે પીળા રંગની ચુંદડી કે સાડી અને શ્રૃંગારનો સામાન.
મા સરસ્વતીની પૂજા વિધિ
સ્થાપના: સૌ પ્રથમ પૂજા સ્થાન પર લાકડાની ચોકી મૂકી તેના પર પીળું વસ્ત્ર પાથરો. તેના પર મા સરસ્વતીની મૂર્તિ કે તસવીર સ્થાપિત કરો.
શુદ્ધિકરણ: આસપાસ ગંગાજળ છાંટીને વાતાવરણ પવિત્ર કરો. માતાજીનું આચમન કરાવી સ્નાન કરાવો.
પૂજન: દેવીને ફૂલહાર, સિંદૂર અને અક્ષત અર્પણ કરો. વસંત પંચમીએ માતાના ચરણોમાં ગુલાલ અર્પણ કરવાનું વિશેષ મહત્વ છે.
ભોગ: માતાજીને મીઠાઈ, ફળ અને ખાસ કરીને પીળા રંગના પકવાનનો ભોગ લગાવો.
વિશેષ: આ દિવસે પુસ્તકો, પેન અને વાદ્યોની પણ પૂજા કરવી જોઈએ. પૂજા બાદ જરૂરિયાતમંદ બાળકોને અભ્યાસની સામગ્રી દાન કરવી શુભ ગણાય છે.
કળશ પૂજન વિધિ
સરસ્વતી પૂજામાં કળશ સ્થાપનનું પણ મહત્વ છે:
કળશ પર નાડાછડી (મોલી) બાંધો અને તેની અંદર દૂર્વા, સોપારી, અક્ષત અને સિક્કો નાખો.
કળશ ઉપર આંબાના પાન મૂકી તેના પર નાળિયેર સ્થાપિત કરો.
હાથમાં અક્ષત લઈને વરુણ દેવતાનું આહ્વાન કરો અને મંત્ર સાથે કળશનું પૂજન કરો.





















