Gujarat Congress: ગુજરાતમાં ઉજ્જવલા યોજના હેઠળ મળતા ગેસ સિલિન્ડર અને સબસિડીના નવા નિયમોને લઈને રાજકીય ગરમાવો આવી ગયો છે. તાજેતરમાં કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે, સરકાર એકતરફ મોંઘવારી વધારી રહી છે અને બીજી તરફ ગરીબોને મળતી સુવિધાઓમાં કાપ મૂકી રહી છે.
સિલિન્ડરની સંખ્યામાં સતત ઘટાડો
મનીષ દોશીએ આંકડાકીય વિગતો આપતા જણાવ્યું કે, સરકાર ગરીબ પરિવારો સાથે અન્યાય કરી રહી છે. ઉજ્જવલા યોજના હેઠળ વર્ષે 9 સિલિન્ડર આપવામાં આવતા હતા. ત્યારબાદ આ સંખ્યા ઘટાડીને 6 કરી દેવામાં આવી હતી. હવે સરકારે આ સંખ્યા વધુ ઘટાડીને માત્ર 4 સિલિન્ડર આપવાનો નિર્ણય કર્યો છે. મનીષ દોશીએ જણાવ્યું છે કે જ્યારે કેરોસીન સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું છે, ત્યારે રોજનું કમાઈને રોજ ખાનારા શ્રમિક વર્ગ માટે માત્ર 4 સિલિન્ડરમાં આખું વર્ષ પૂરું કરવું અશક્ય છે.
મોંઘવારીનો માર: 2014થી અત્યાર સુધી ભાવ બમણા
કોંગ્રેસ દ્વારા પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવોની સાથે LPG સિલિન્ડરના ભાવ વધારા મુદ્દે પણ સરકારને ઘેરવામાં આવી છે. વર્ષ 2014થી અત્યાર સુધીમાં ગેસ સિલિન્ડરના ભાવમાં સીધો બમણો વધારો જોવા મળ્યો છે. હાલમાં જ ઘરેલું વપરાશના સિલિન્ડરમાં રૂ. 29નો વધારો ઝીંકવામાં આવ્યો છે, જે સામાન્ય જનતાના ખિસ્સા પર સીધો બોજ છે.
ગુજરાતમાં 44 લાખ પરિવારો પ્રભાવિત
ગુજરાતમાં ઉજ્જવલા યોજના હેઠળ અંદાજે 44 લાખ જેટલા ગેસ કનેક્શનો છે. સરકારના આ નિર્ણયથી લાખો મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડશે. મનીષ દોશીએ સવાલ ઉઠાવ્યો હતો કે જો સરકાર મોટા ઉદ્યોગપતિઓના કરોડો રૂપિયા માફ કરી શકતી હોય, તો પછી ગરીબોને અપાતી સબસિડીમાં કાપ મૂકીને તેમની મજાક શા માટે કરવામાં આવી રહી છે?
કોંગ્રેસના મતે, ઉજ્જવલા યોજના જે 'ધુમાડા મુક્ત ભારત'ના નામે શરૂ કરવામાં આવી હતી, તે હવે મોંઘવારી અને મર્યાદિત સિલિન્ડરના કારણે ગરીબો માટે 'બોજ' બની રહી છે. સરકારના આ નિર્ણયથી આવનારા દિવસોમાં સામાન્ય જનતામાં રોષ જોવા મળી શકે છે.





