T20 World Cup : મધ્ય પૂર્વમાં સર્જાયેલી યુદ્ધ જેવી ગંભીર સ્થિતિની અસર હવે રમતગમત પર પણ દેખાઈ રહી છે. ભારત અને શ્રીલંકાની યજમાનીમાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપ 2026 વચ્ચે એક આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. ઈરાન અને અમેરિકા-ઇઝરાયલ વચ્ચેના વધતા તણાવને કારણે હવાઈ માર્ગો બંધ કરી દેવામાં આવતા ઝિમ્બાબ્વેની ક્રિકેટ ટીમ હાલમાં ભારતમાં જ ફસાઈ ગઈ છે.
મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિ
પશ્ચિમ એશિયામાં અત્યારે પરિસ્થિતિ અત્યંત સ્ફોટક છે. 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર ભીષણ મિસાઈલ હુમલા કર્યા હતા. આ હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈ અને અનેક સુરક્ષા અધિકારીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. વળતા પ્રહાર તરીકે ઈરાને પણ અમેરિકન ઠેકાણાઓ પર હુમલા શરૂ કરતા આખું મધ્ય પૂર્વ યુદ્ધની આગમાં લપેટાઈ ગયું છે.
ઝિમ્બાબ્વે ટીમ માટે મુશ્કેલી
આ યુદ્ધની સીધી અસર ઝિમ્બાબ્વેની ટીમ પર પડી છે. રવિવારે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકા સામેની મેચ હાર્યા બાદ ઝિમ્બાબ્વેનું વર્લ્ડ કપ અભિયાન સમાપ્ત થયું હતું. ટીમ સોમવારે દિલ્હીથી વાયા દુબઈ થઈને હરારે (ઝિમ્બાબ્વે) જવા રવાના થવાની હતી. પરંતુ યુદ્ધને કારણે એરસ્પેસ બંધ કરી દેવાતા તેમની તમામ ફ્લાઈટ્સ રદ કરી દેવામાં આવી છે.
દિલ્હીની હોટલમાં રોકાણ
હાલમાં ઝિમ્બાબ્વેના ખેલાડીઓ અને સ્ટાફ મેમ્બર્સ દિલ્હીની હોટલમાં જ રોકાઈ રહ્યા છે. 4 માર્ચ સુધી તેમના માટે ખાસ રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. દુબઈ જેવા મોટા ટ્રાન્ઝિટ હબ પ્રભાવિત થવાને કારણે ખેલાડીઓને પરત ફરવામાં વિલંબ થઈ રહ્યો છે, કારણ કે અત્યારે તે રૂટ પરથી ઉડાન ભરવી અત્યંત જોખમી છે.
ICC નો નવો પ્લાન
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) આ સ્થિતિ પર નજર રાખી રહી છે અને ઝિમ્બાબ્વેની ટીમને સુરક્ષિત ઘરે પહોંચાડવા માટે વૈકલ્પિક રસ્તાઓ શોધી રહી છે. ICC હવે દુબઈને બદલે યુરોપિયન અથવા દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશોના રસ્તે ટીમને મોકલવાની યોજના બનાવી રહી છે. ખેલાડીઓની સુરક્ષા માટે સુરક્ષા સલાહકારોની પણ મદદ લેવામાં આવી રહી છે.




















