હિન્દુ ધર્મમાં ફાગણ મહિનાના શુક્લ પક્ષની એકાદશીનું વિશેષ મહત્વ છે, જેને આપણે 'રંગભરી એકાદશી' અથવા 'આમલકી એકાદશી' તરીકે ઓળખીએ છીએ. વર્ષ 2026 માં આ વ્રત 27 ફેબ્રુઆરીએ રાખવામાં આવશે. હોળી પહેલા આવતી આ એકાદશી ભગવાન વિષ્ણુ અને મહાદેવ બંનેની કૃપા મેળવવાનો શ્રેષ્ઠ અવસર છે. શાસ્ત્રો મુજબ, આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજાની સાથે તુલસી માતાની સેવા કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. તુલસી ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે, તેથી એકાદશીએ કરવામાં આવેલા તુલસીના અમુક ખાસ ઉપાયોથી જીવનમાં ચાલી રહેલી આર્થિક તંગી અને માનસિક પરેશાનીઓ દૂર થઈ શકે છે. આજે અમે તમને જણાવીશું કે રંગભરી એકાદશીએ કયા ઉપાયો કરવાથી તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે.
એકાદશીએ આ વાતનું ખાસ રાખો ધ્યાન
રંગભરી એકાદશીના દિવસે તુલસીને જળ ચઢાવવું અને તેના પાન તોડવા વર્જિત માનવામાં આવે છે. તેથી, જો તમારે પૂજામાં તુલસીના પાન કે મંજરીની જરૂર હોય, તો તેને એક દિવસ પહેલા જ તોડીને રાખી લેવા જોઈએ. એકાદશીના દિવસે તુલસીના છોડને સ્પર્શ કર્યા વગર નીચે મુજબના ઉપાયો કરી શકાય છે.
1. તુલસી પાસે પ્રગટાવો 11 દીવા
રંગભરી એકાદશીએ સાંજના સમયે તુલસીના છોડ પાસે ગાયના ઘીના 11 દીવા પ્રગટાવો. દીવા પ્રગટાવતી વખતે 'महाप्रसाद जननी सर्व सौभाग्यवर्धिनी, आधि व्याधि हरा नित्यम तुलसी त्वम नમોस्तुते' મંત્રનો 11 વાર જાપ કરો. માન્યતા છે કે આ ઉપાય કરવાથી જીવનના તમામ સંકટો દૂર થાય છે અને અટકેલા કાર્યો પૂર્ણ થાય છે.
2. તુલસીની માટીનો તિલક
આ પવિત્ર દિવસે જો તમે તુલસીના છોડના મૂળની માટી લઈને તેનો તિલક તમારા માથા પર લગાવો છો, તો તેનાથી મનને અદભૂત શાંતિ મળે છે. આ ઉપાયથી વ્યક્તિમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય છે. જે લોકોને માનસિક તણાવ રહેતો હોય તેમના માટે આ ઉપાય રામબાણ માનવામાં આવે છે.
3. તુલસીને લાલ ચુંદડી અર્પણ કરો
રંગભરી એકાદશીના દિવસે તુલસી માતાને લાલ રંગની ચુંદડી બાંધવી અત્યંત શુભ માનવામાં આવે છે. આ ઉપાય કરવાથી માં તુલસીની સાથે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. જેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને લગ્ન જીવનમાં આવતી અડચણો દૂર થાય છે.
4. ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ
તુલસીના છોડ પાસે બેસીને ભગવાન વિષ્ણુના પ્રિય મંત્ર 'ॐ નમો ભગવતે વાસુદેવાય' નો 108 વાર જાપ કરો. આ ઉપાય ભક્તિ અને શ્રદ્ધા સાથે કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને સાધકની દરેક મનોકામના પૂર્ણ કરે છે. વધુમાં, ગાયના દૂધમાં તુલસીની મંજરી ભેળવીને ભગવાન વિષ્ણુને અર્પણ કરવાથી પણ વિશેષ ફળ મળે છે.




















