હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રિનું પર્વ આધ્યાત્મિક અને ધાર્મિક દ્રષ્ટિએ અત્યંત મહત્વનું માનવામાં આવે છે. આ દિવસે દેવોના દેવ મહાદેવ અને જગતજનની માતા પાર્વતીના દિવ્ય મિલનની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 2026 માં મહાશિવરાત્રિનું આ મહાપર્વ 15 ફેબ્રુઆરી ના રોજ ઉજવવામાં આવશે. શાસ્ત્રો અનુસાર, ફાગણ મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે જ ભગવાન શિવ પ્રથમ વખત શિવલિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા.
એવું માનવામાં આવે છે કે આ દિવસે સાચા મન અને શ્રદ્ધાથી કરવામાં આવેલી પૂજા માત્ર પાપોનો નાશ નથી કરતી, પરંતુ જીવનમાં આવનારી આર્થિક, માનસિક અને શારીરિક તમામ બાધાઓને દૂર કરી દે છે. ખાસ કરીને આ દિવસે રુદ્રાભિષેક અને પૂજા બાદ મંદિરમાંથી કેટલીક પવિત્ર વસ્તુઓ ઘરે લાવવાથી નસીબ આડેનું પાંદડું પણ ખસી જાય છે.
મહાશિવરાત્રિ પર કેવી રીતે કરવો રુદ્રાભિષેક? જાણો દરેક દ્રવ્યનું ફળ
શિવલિંગ પર વિવિધ દ્રવ્યોનો અભિષેક કરવાથી અલગ-અલગ ફળ મળે છે:
શુદ્ધ જળ: ભોલેનાથ માત્ર જળના અભિષેકથી પણ પ્રસન્ન થઈ જાય છે. તેનાથી મનની શાંતિ પ્રાપ્ત થાય છે.
કાચું દૂધ: શિવલિંગ પર દૂધ ચઢાવવાથી આર્થિક સ્થિતિ મજબૂત બને છે અને ધન આગમનના માર્ગ ખુલે છે.
દહીં: માનસિક શાંતિ અને અટકેલા કાર્યો પૂર્ણ કરવા માટે દહીંથી અભિષેક કરવો ઉત્તમ છે.
મધ: દાંપત્ય જીવનમાં મધુરતા અને સારા સ્વાસ્થ્ય માટે મધથી શિવજીનો અભિષેક કરો.
શુદ્ધ ઘી: જે ભક્તોને સંતાન સુખની કામના હોય, તેમણે શિવલિંગ પર ઘી અર્પણ કરવું જોઈએ. આનાથી નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે.
પૂજા બાદ આ પવિત્ર વસ્તુઓ ઘરે જરૂર લાવો, ભાગ્ય ચમકશે
પૂજા પૂર્ણ થયા પછી શિવલિંગ કે માતા પાર્વતીને અર્પણ કરેલી કેટલીક વસ્તુઓ આશીર્વાદ રૂપે ઘરે લાવવી જોઈએ:
1. શિવલિંગ પર ચઢાવેલું બીલીપત્ર
અભિષેક બાદ શિવલિંગ પર ચઢાવેલું બીલીપત્ર ઘરે લાવી તેને લાલ કપડામાં લપેટીને તમારી તિજોરી, પર્સ કે પૂજાના સ્થાનમાં રાખો. માન્યતા છે કે આનાથી ઘરમાં ક્યારેય ધન-ધાન્યની અછત રહેતી નથી અને લક્ષ્મીજી સ્થિર વાસ કરે છે.
2. માતા પાર્વતીની શ્રુંગાર સામગ્રી
આ દિવસે માતા પાર્વતીને અર્પણ કરેલી બંગડીઓ, સિંદૂર કે મહેંદી પ્રસાદ રૂપે ઘરે લાવીને ધારણ કરવાથી સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. જેમના લગ્નજીવનમાં તકરાર રહેતી હોય, તેમના સંબંધોમાં પ્રેમ અને સમજણ વધે છે.
3. અભિષેકનું પવિત્ર જળ
શિવલિંગ પર ચઢાવેલું જળ કોઈ કળશ કે પાત્રમાં ભરીને ઘરે લાવો. આ જળનો આખા ઘરમાં અને ખૂણે ખૂણે છંટકાવ કરવાથી ઘરમાંથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે. બીમાર વ્યક્તિ પર આ જળ છાંટવાથી સ્વાસ્થ્યમાં ઝડપથી સુધારો થાય છે.
4. ચંદન અને પુષ્પો
શિવલિંગ પરથી મળેલું ચંદન કે કુમકુમ તિલક તરીકે વાપરવાથી પોઝિટિવિટી વધે છે. તેમજ અર્પણ કરેલા ધતૂરા કે ફૂલ પૂજાના સ્થાને રાખવાથી ખરાબ નજરની અસર ઓછી થાય છે.




















