બજરંગ બલી હનુમાનજીને પ્રભુ શ્રી રામના પરમ ભક્ત કહેવામાં આવે છે. જ્યારે પણ આપણે આંખો બંધ કરીએ ત્યારે હાથમાં ગદા રાખેલા હનુમાનજી નજર સમક્ષ આવી જાય છે. ત્યારે તમારા મનમાં ક્યારેય એવો વિચાર આવ્યો કે હનુમાનજીની પાસે શસ્ત્ર તરીકે કેમ ગદા જ હાથમાં હોય છે?... હનુમાનજીની ગદા રાખવા પાછળ પણ તેની પૌરાણિક માન્યતા છે. હનુમાનજીની ગદાને શક્તિ, વિજય અને સત્યનું પ્રતિક માનવામાં આવે છે. હનુમાનજીએ પોતાની ગદાની મદદથી અનેક દાનવોનો વધ કર્યો... બજરંગબલીની જેમ તેમની ગદા પણ ખૂબ શક્તિશાળી હતી.
હનુમાનજીની ગદાનું વિશેષ મહત્વ
પૌરાણિક કથામાં ઉલ્લેખ કરાયા મુજબ હનુમાનજીની ગદાનું નામ કૌમોદિકી છે, તેનો અર્થ થાય છે મનને મોહી લેનાર... આ ગદા સોનાની બનેલી હોય છે, જે ખૂબ વજનવાળી અને વિરાટ હોય છે. બજરંગ બલી પોતાનાડાબા હાથમાં ધારણ કરતા હોય છે. આ જ કારણથી સંસ્કૃત ભાષામાં તેમને વામહસ્તગદાયુકત્મ પણ કહેવામાં આવે છે.
કઈ રીતે બજરંગ બલીને ગદા મળી?
પૌરાણિક કથા અનુસાર બાળપણમાં હનુમાનજી સૂર્યને ફળ સમજીને ગળી ગયા હતા. આ વાતથી ઈન્દ્રદેવ ક્રોધિત થયા અને હનુમાનજી પર વજ્રથી પ્રહાર કર્યો જેનાથી બાળ હનુમાનને ઈજા પહોંચી. હનુમાનજીને મૂર્છિત જોઈને વાયુદેવ રોષે ભરાયા. વાયુદેવે વાયુની ગતિ રોકી દીધી, અને ત્રણેય લોકમાં બધુ વેરવિખેર કરી નાખ્યું. ત્રણેય લોકને બચાવવા બ્રહ્માજીએ હનુમાનજીને પુન:જીવિત કર્યા. હનુમાનજી પુન:જીવિત થતા બધા દેવી-દેવતાઓએ તેમને દિવ્ય શસ્ત્રો આપ્યા અને આ શસ્ત્રો થકી અમર અને અભય થવાનું વરદાન મેળવ્યું. તે સમયે બાલ હનુમાનને ધનકુબેરે સોનાની ગદા આપી, અને કહ્યું કે આ ગદા તને દરેક યુદ્ધમાં વિજયી બનાવશે. રામાયણમાં લંકામાં અશોક વાટિકાના નિકંદનથી લઈ યુદ્ધમાં રાક્ષસોને હરાવવામાં હનુમાનજીએ ગદા સાથે પરાક્રમ બતાવ્યુ હતું. હનુમાન ચાલીસામાં પણ ગદાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અનેક હનુમાન ભકતો મંગળવારે અને શનિવારે હનુમાન મંદિરમાં ગદાની પણ પૂજા કરતા હોય છે.




















