POK Protest: પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં સ્થિતિ સતત તણાવપૂર્ણ બની રહી છે. મોંઘવારી, વીજળીના વધતા દરો અને રાજકીય અધિકારોના મુદ્દે શરૂ થયેલા વિરોધ પ્રદર્શનો હવે મોટા રાજકીય સંઘર્ષમાં પરિવર્તિત થઈ ગયા છે. રાવલાકોટમાં સુરક્ષા દળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે થયેલા હિંસક ઘર્ષણમાં ઓછામાં ઓછા 11 લોકોના જીવ ગયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે 70થી વધુ લોકો ઘાયલ થયા છે. સ્થાનિક અહેવાલો મુજબ, માનવાધિકાર કાર્યકર અને જમ્મુ-કાશ્મીર જોઇન્ટ અવામી એક્શન કમિટી (JAAC)ના એક નેતાના અંતિમ સંસ્કાર દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. આ દરમિયાન સુરક્ષા દળોની કાર્યવાહી બાદ સ્થિતિ વધુ વણસી ગઈ અને સમગ્ર વિસ્તારમાં ભારે તણાવ ફેલાઈ ગયો.
શું છે સમગ્ર વિવાદ?
POKમાં છેલ્લા કેટલાક સમયથી લોકો વધતી મોંઘવારી, લોટ અને વીજળીના ભાવમાં વધારા સામે વિરોધ કરી રહ્યા છે. JAAC નામનું સંગઠન આ આંદોલનનું નેતૃત્વ કરી રહ્યું છે. સંગઠનની મુખ્ય માંગોમાં સસ્તી વીજળી, લોટ પર સબસિડી, રાજકીય અને આર્થિક અધિકારોની પુનઃસ્થાપના તથા આવનારી વિધાનસભા ચૂંટણીમાં શરણાર્થીઓ માટે અનામત રાખવામાં આવેલી 12 બેઠકો રદ કરવાની માંગ સામેલ છે.
JAAC પર પ્રતિબંધ બાદ વધુ ભડકી સ્થિતિ
9 જૂને યોજાનાર વિરોધ કૂચ પહેલા જ પાકિસ્તાન પ્રશાસને JAAC પર આતંકવાદ વિરોધી કાયદા હેઠળ પ્રતિબંધ મૂકી દીધો હતો. પ્રશાસનનો આરોપ છે કે, સંગઠન લોકોમાં ભ્રમ ફેલાવી રહ્યું હતું અને રાજ્ય વિરુદ્ધ હિંસક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપી રહ્યું હતું. કેટલાક પ્રદર્શનકારીઓ પાસે હથિયારો અને પેટ્રોલ બોમ્બ હોવાના પણ આરોપ લગાવવામાં આવ્યા છે. જોકે JAAC અને સ્થાનિક નાગરિકો આ આરોપોને નકારી રહ્યા છે અને સરકાર પર બિનજરૂરી દમનકારી કાર્યવાહી કરવાનો આરોપ મૂકી રહ્યા છે.
આ પણ વાંચો: POKમાં ભડકી હિંસા: 11 લોકોના મોત અને 70થી વધુ ઘાયલ; જાણો આખરે કયા મુદ્દે રસ્તા પર ઉતર્યા હજારો લોકો
શા માટે 12 અનામત બેઠકોનો વિરોધ?
POK વિધાનસભામાં કુલ 45 બેઠકો છે, જેમાંથી 12 બેઠકો એવા શરણાર્થીઓ માટે અનામત રાખવામાં આવી છે જેઓ કાશ્મીરમાંથી સ્થળાંતર કરીને પાકિસ્તાનના અન્ય ભાગોમાં વસ્યા છે. વિરોધ પ્રદર્શનકારીઓનું કહેવું છે કે, આ અનામત બેઠકોના કારણે સ્થાનિક લોકોનું પ્રતિનિધિત્વ ઘટી રહ્યું છે અને રાજકીય લાભ ચોક્કસ પક્ષો અને જૂથોને મળી રહ્યો છે. વિશ્લેષકોના મતે આ મુદ્દો હાલના આંદોલનનું સૌથી સંવેદનશીલ કેન્દ્ર બની ગયો છે.
નિષ્ણાતોએ ઉઠાવ્યા સરકારની કાર્યવાહી પર સવાલ
જાણીતા પત્રકાર અને લેખક એર્શાદ મહમૂદે સરકારની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે, JAAC દ્વારા કરવામાં આવતી માંગણીઓ સામાન્ય લોકોના હિતમાં છે અને શાંતિપૂર્ણ પ્રદર્શનને બળપૂર્વક દબાવવાનો પ્રયાસ યોગ્ય નથી. તેમના મતે, જો પ્રદર્શનકારીઓને મુઝફ્ફરાબાદ સુધી શાંતિપૂર્ણ કૂચ કરવાની મંજૂરી આપવામાં આવી હોત તો હાલની હિંસક પરિસ્થિતિ સર્જાઈ ન હોત.
રાજકીય અધિકારો અને શાસન સામે વધતી નારાજગી
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે POKમાં આંદોલન માત્ર મોંઘવારી કે વીજળીના મુદ્દા સુધી મર્યાદિત નથી. સ્થાનિક લોકોમાં લાંબા સમયથી શાસન વ્યવસ્થા, વહીવટી તંત્ર અને રાજકીય પ્રતિનિધિત્વને લઈને અસંતોષ છે. ઘણા લોકો માને છે કે POKની ચૂંટાયેલી સરકારો વાસ્તવમાં સ્વતંત્ર નથી અને ઈસ્લામાબાદના રાજકીય પ્રભાવ હેઠળ કાર્ય કરે છે.
આ પણ વાંચો: વિદેશમાં ભારતીય યુવતીની આ હરકત જોઈએ ફાટી જશે આંખો!: વીડિયો જોઈ લોકો રહી ગયા સ્તબ્ધ
સંચાર સેવાઓ બંધ, લોકો સંપર્કવિહોણા
હિંસા વધતાં પ્રશાસને અનેક વિસ્તારોમાં ઈન્ટરનેટ, મોબાઇલ ફોન અને ડેટા સેવાઓ સ્થગિત કરી દીધી છે. તેના કારણે વિદેશમાં રહેતા કાશ્મીરી મૂળના લોકો પોતાના પરિવારજનો સાથે સંપર્ક કરી શકતા નથી. ખાસ કરીને બ્રિટનમાં વસતા કાશ્મીરી સમુદાયે આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઉઠી ચિંતા
લંડનમાં કાશ્મીરી ડાયસ્પોરાએ બ્રિટિશ સંસદ સભ્યો સુધી આ મુદ્દો પહોંચાડવા અભિયાન શરૂ કર્યું છે. બ્રિટિશ સંસદના અનેક સભ્યો અને કાશ્મીર સંબંધિત સર્વપક્ષીય જૂથોએ પણ POKની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે અને શાંતિપૂર્ણ ઉકેલ લાવવા અપીલ કરી છે.
ચૂંટણી પહેલા વધ્યું રાજકીય તાપમાન
POKમાં આગામી 27 જુલાઈએ વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પહેલા સર્જાયેલી હિંસા અને રાજકીય અશાંતિને કારણે સમગ્ર વિસ્તારમાં તણાવનું વાતાવરણ છે. વિશ્લેષકોનું માનવું છે કે, જો સરકાર અને JAAC વચ્ચે વહેલી તકે સંવાદ શરૂ નહીં થાય તો સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. હાલ સમગ્ર POKમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને પ્રશાસન પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.





