મધ્યપ્રદેશના રતલામમાં આવેલું માણક સ્થિત મહાલક્ષ્મી મંદિર તેની અનોખી માન્યતા અને પરંપરાઓ માટે સમગ્ર દેશમાં વિખ્યાત છે. સામાન્ય રીતે મંદિરોમાં પ્રસાદ તરીકે મીઠાઈ કે ફળ વહેંચવામાં આવતા હોય છે પરંતુ આ મંદિરમાં ભક્તોને પ્રસાદના રૂપમાં અસલી સોનું, ચાંદી અને રોકડ રકમ આપવામાં આવે છે. એવી શ્રદ્ધા છે કે દિવાળી પૂર્વે જે ભક્તો અહીં ઘરેણાં કે રોકડ ભેટ ધરે છે તેમના ધન અને વૈભવમાં ઉત્તરોત્તર વધારો થાય છે.
રાજાશાહી સમયથી ચાલી આવતી પરંપરા
રતલામના આ મંદિરનો ઇતિહાસ ઘણો પ્રાચીન છે. પૌરાણિક કાળમાં રાજા-મહારાજાઓ સુખ-સમૃદ્ધિ અને વિજયની કામના સાથે માતા લક્ષ્મીના ચરણોમાં સોના-ચાંદીના આભૂષણો અર્પણ કરતા હતા. તે સમયથી શરૂ થયેલી આ પ્રથા આજે પણ અવિરત ચાલુ છે. દિવાળીના પર્વ પર ભક્તો દ્વારા અર્પણ કરવામાં આવતી સંપત્તિની નોંધણી પ્રોપર રજિસ્ટરમાં નામ અને ફોટા સાથે કરવામાં આવે છે જેથી સુરક્ષા અને વ્યવસ્થા જળવાઈ રહે.
ચલણી નોટો અને હીરા-ઝવેરાતથી થાય છે શણગાર
દિવાળીના ખાસ અવસરે આ મંદિરમાં માતાની મૂર્તિનો શણગાર કીમતી હીરા, ઝવેરાત અને અસલી ચલણી નોટોના હાર પહેરાવીને કરવામાં આવે છે. મંદિરના ગર્ભગૃહની દીવાલો અને પ્રાંગણમાં રહેલી ઝાલરો પણ નોટોની ગડ્ડીઓથી સજાવવામાં આવે છે. આ દ્રશ્ય એટલું ભવ્ય હોય છે કે તેને જોવા માટે દૂર-દૂરથી શ્રદ્ધાળુઓ અહીં ઉમટી પડે છે.
સુરક્ષા અને વ્યવસ્થાનું ખાસ ધ્યાન
ભક્તો પોતાની આખી જિંદગીની મૂડી અને કિંમતી ઘરેણાં માતાના દરબારમાં શણગાર માટે સોંપે છે. આ ભેટને શ્રદ્ધાળુઓના નામ સાથે નોંધીને શણગારમાં ઉપયોગમાં લેવાય છે અને ત્યારબાદ ચોક્કસ પદ્ધતિથી પ્રસાદના રૂપમાં પરત અથવા વહેંચણી કરવામાં આવે છે. લોકવાયકા મુજબ આ મંદિરમાંથી મળેલો સિક્કો કે નોટ ભક્તો પોતાની તિજોરીમાં રાખે છે જે તેમને આર્થિક રીતે સમૃદ્ધ બનાવે છે.




















