જ્યોતિષ અને પંચાંગ: ભારત આજે પોતાનો 77મો પ્રજાસત્તાક દિવસ અત્યંત ઉત્સાહ અને ગર્વ સાથે ઉજવી રહ્યો છે. પરંતુ વર્ષ 2026નો આ રાષ્ટ્રીય પર્વ માત્ર રાજકીય રીતે જ નહીં, પણ જ્યોતિષીય દ્રષ્ટિએ પણ અત્યંત દુર્લભ અને વિશેષ માનવામાં આવી રહ્યો છે. જ્યોતિષીય પંચાંગ મુજબ, બરાબર 76 વર્ષ બાદ એક એવો સંયોગ સર્જાયો છે. જે ભારતની લોકશાહી અને શક્તિના પ્રતીક સમાન છે. 26 જાન્યુઆરી 1950ના રોજ જ્યારે ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું હતું, ત્યારે જે તિથિ અને નક્ષત્રનો યોગ હતો, તેવો જ યોગ આજે 2026માં ફરી જોવા મળ્યો છે. આ દુર્લભ સંયોગ દેશની પ્રગતિ અને આધ્યાત્મિક ઉર્જા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે.
76 વર્ષ બાદ તિથિનું પુનરાવર્ત
જ્યોતિષીય ગણતરી મુજબ, 26 જાન્યુઆરી 1950ના દિવસે જ્યારે ભારતનું બંધારણ અમલમાં આવ્યું, ત્યારે વિક્રમ સંવત 2006ની માઘ માસના શુક્લ પક્ષની અષ્ટમી તિથિ હતી. આશ્ચર્યની વાત એ છે કે, બરાબર 76 વર્ષ પછી આજે 26 જાન્યુઆરી 2026ના રોજ વિક્રમ સંવત 2082માં પણ માઘ શુક્લ પક્ષની અષ્ટમી જ છે. આ પ્રકારનો સંયોગ દાયકાઓમાં એકવાર બને છે, જે રાષ્ટ્રના પાયાને મજબૂત કરનારો માનવામાં આવે છે.
ગુપ્ત નવરાત્રી અને શક્તિની ઉપાસનાનો સંગમ
આ વર્ષના પ્રજાસત્તાક દિવસનું મહત્વ એટલે પણ વધી જાય છે. કારણ કે, આજે ગુપ્ત નવરાત્રીની અષ્ટમી પણ છે. ભારતીય સંસ્કૃતિમાં અષ્ટમી તિથિને દેવી શક્તિની ઉપાસના માટે સર્વોત્તમ માનવામાં આવે છે. ગુપ્ત નવરાત્રીમાં તંત્ર-સાધના અને શક્તિની આરાધનાનું વિશેષ મહત્વ હોય છે. રાષ્ટ્રીય પર્વ અને આધ્યાત્મિક પર્વનો આ સંગમ દેશમાં શાંતિ અને સુરક્ષાનો સંદેશ આપે છે. 'શ્રી વૈંકટેશ્વર શતાબ્દી પંચાંગ'માં પણ આ દુર્લભ તિથિ વિશેષતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ભગવાન ગણેશ: ગણતંત્રના અધિષ્ઠાતા દેવ
શાસ્ત્રોક્ત માન્યતા મુજબ, ભગવાન ગણેશને 'ગણતંત્ર'ના અધિષ્ઠાતા દેવતા માનવામાં આવે છે. 'ગણ' એટલે સમૂહ કે જનતા અને 'તંત્ર' એટલે વ્યવસ્થા. આથી જ આજના દિવસે ત્રિરંગો લહેરાવવા અને રાષ્ટ્રગાન ગાવાની સાથે ભગવાન ગણેશની પૂજા કરવી અત્યંત ફળદાયી છે.
પૂજા વિધિ: ગણેશજીને દૂર્વા અર્પણ કરવાથી અને તેમની આરાધના કરવાથી રાષ્ટ્રમાં એકતા અને બુદ્ધિશક્તિનો વિકાસ થાય છે.
શિવ-પાર્વતી: આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવી પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે.
26 જાન્યુઆરી 2026નું પંચાંગ અને શુભ મુહૂર્ત
આજે સોમવારનો દિવસ છે અને ચંદ્ર મેષ રાશિમાં ગોચર કરી રહ્યા છે. આજના દિવસના મહત્વના મુહૂર્ત નીચે મુજબ છે:
મુહૂર્તનો પ્રકાર | સમયગાળો |
અષ્ટમી તિથિ | રાત્રે 09:17 વાગ્યા સુધી |
અશ્વિની નક્ષત્ર | બપોરે 12:32 વાગ્યા સુધી (ત્યારબાદ ભરણી શરૂ) |
અભિજિત મુહૂર્ત | બપોરે 12:12 થી 12:55 સુધી |
વિજય મુહૂર્ત | બપોરે 02:21 થી 03:04 સુધી |
બ્રહ્મ મુહૂર્ત | સવારે 05:26 થી 06:19 સુધી |





















