Rajya Sabha Election Updates: ભારતીય રાજકારણમાં રાજ્યસભાની ખાલી પડેલી બેઠકો માટે ચાલી રહેલી પ્રક્રિયામાં એક મોટો વળાંક આવ્યો છે. 10 રાજ્યોની કુલ 37 બેઠકો માટે યોજાઈ રહેલી આ ચૂંટણીમાં મતદાન પહેલા જ મોટી સંખ્યામાં નેતાઓ વિજેતા જાહેર થયા છે. સાત અલગ-અલગ રાજ્યોના 26 જેટલા દિગ્ગજ ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે, કારણ કે તેમની સામે કોઈ વિરોધ પક્ષે ઉમેદવારી ન નોંધાવતા મેદાન સાફ થઈ ગયું હતું. આ વિજેતાઓમાં NCP (શરદ પવાર જૂથ) ના વડા શરદ પવાર, જાણીતા ધારાશાસ્ત્રી અભિષેક મનુ સિંઘવી અને કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે જેવા દિગ્ગજોનો સમાવેશ થાય છે. જોકે, આ બિનહરીફ પસંદગી છતાં પણ રાજ્યસભાની જંગ હજુ પૂરી થઈ નથી. બિહાર, ઓડિશા અને હરિયાણા જેવા રાજ્યોમાં સ્થિતિ અલગ છે, જ્યાં બેઠકોની સંખ્યા કરતા ઉમેદવારોની સંખ્યા વધુ હોવાથી આગામી દિવસોમાં રસાકસીભરો જંગ ખેલાશે. 11 બેઠકો પર હજુ પણ મુકાબલો નિશ્ચિત છે, જેના માટે 16 માર્ચે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ ચૂંટણી પરિણામો ઉચ્ચ ગૃહમાં વિવિધ પક્ષોની તાકાત અને ગણિત પર સીધી અસર પાડશે.
બિનહરીફ વિજેતા: કયા રાજ્યમાં કોણે મારી બાજી?
સાત રાજ્યોમાં રાજકીય પક્ષો વચ્ચેની સમજૂતી અથવા સંખ્યાબળને જોતા વિપક્ષોએ પીછેહઠ કરી હતી, જેનાથી નીચે મુજબના નેતાઓ હવે સીધા રાજ્યસભામાં પહોંચશે:
મહારાષ્ટ્ર (7 બેઠકો)
મહારાષ્ટ્રમાં સત્તાધારી અને વિપક્ષી ગઠબંધન વચ્ચે બેઠકોની વહેંચણી સ્પષ્ટ જણાતા સાતેય ઉમેદવારો બિનહરીફ થયા છે:
શરદ પવાર (NCP-SP)
રામદાસ આઠવલે (RPI-A)
વિનોદ તાવડે (BJP)
રામરાવ વડુકુટે (BJP)
માયા ઇવનાતે (BJP)
જ્યોતિ વાઘમારે (શિવસેના-શિંદે)
પાર્થ પવાર (NCP-અજિત પવાર)
પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ (11 બેઠકો)
તમિલનાડુ: ડીએમકેના તિરુચી શિવા અને જે. રવિન્દ્રન સહિત એઆઈએડીએમકેના એમ. થમ્બીદુરાઈ જેવા 6 નેતાઓ બિનહરીફ થયા છે.
પશ્ચિમ બંગાળ: ભાજપના રાહુલ સિંહા અને ટીએમસીના બાબુલ સુપ્રિયો સહિત પૂર્વ ડીજીપી રાજીવ કુમાર જેવા 5 નેતાઓ વિજેતા જાહેર થયા છે.
અન્ય રાજ્યો
આસામ (3): જોગેન મોહન, તેરોસ ગોવાલા (ભાજપ) અને પ્રમોદ બોરો (UPPL)
તેલંગાણા (2): કોંગ્રેસના દિગ્ગજ નેતા અભિષેક મનુ સિંઘવી અને વેમ નરેન્દ્ર રેડ્ડી
છત્તીસગઢ (2): લક્ષ્મી વર્મા (ભાજપ) અને ફૂલો દેવી નેતામ (કોંગ્રેસ)
હિમાચલ પ્રદેશ (1): અનુરાગ શર્મા (કોંગ્રેસ).
11 બેઠકો પર જંગ જામશે: બિહાર અને હરિયાણામાં પેચ ફસાયો
જ્યારે 26 નેતાઓ બિનહરીફ થયા છે, ત્યારે બાકીની 11 બેઠકો માટે હજુ 14 ઉમેદવારો મેદાનમાં છે. આ બેઠકો પર 16 માર્ચે મતદાન યોજાશે.
બિહાર (5 બેઠકો): અહીં મુખ્યમંત્રી નીતિશ કુમાર અને ભાજપના નિતિન નવીનના ભાવિનો ફેંસલો થશે. વધારાના ઉમેદવારને કારણે અહીં મતદાન અનિવાર્ય બન્યું છે.
ઓડિશા (4 બેઠકો): ઓડિશામાં પણ સત્તાધારી BJD અને ભાજપ વચ્ચે રસાકસી જોવા મળી શકે છે.
હરિયાણા (2 બેઠકો): હરિયાણામાં પણ અપક્ષ કે અન્ય પક્ષોના ઉમેદવારોના કારણે ચૂંટણી યોજવી પડશે.
ચૂંટણીનું ગણિત: 37 બેઠકો માટે 40 નામાંકન
શરૂઆતમાં 10 રાજ્યોની 37 બેઠકો માટે કુલ 40 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. પરંતુ નોમિનેશન પાછા ખેંચવાની પ્રક્રિયા બાદ હવે ચિત્ર સ્પષ્ટ થયું છે. 26 બેઠકો પર સિંગલ ઉમેદવાર હોવાથી તેમને વિજેતા જાહેર કરી દેવાયા છે. હવે જે 11 બેઠકો બાકી છે, ત્યાં સત્તાધારી પક્ષો અને વિપક્ષો વચ્ચે 'ક્રોસ વોટિંગ'નો ડર પણ જોવા મળી રહ્યો છે.



















