ઘરમાં સૌથી પવિત્ર અને ઉર્જાવાન સ્થાન પૂજા ઘર ગણાય છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ જો મંદિરની દિશા અને ત્યાં રાખેલી વસ્તુઓ યોગ્ય હોય, તો ઘરમાં સકારાત્મકતાનો સંચાર થાય છે અને નકારાત્મક શક્તિઓ દૂર રહે છે. પૂજા ઘરના વાસ્તુ નિયમોનું પાલન કરવાથી પરિવારના સભ્યોના ભાગ્યમાં વૃદ્ધિ થાય છે અને માનસિક શાંતિ મળે છે.
પૂજા ઘર બનાવતી વખતે દિશાનું મહત્વ
વાસ્તુ અનુસાર ઘરનું મંદિર હંમેશા ઈશાન કોણ (ઉત્તર-પૂર્વ) માં હોવું જોઈએ. પૂજા કરતી વખતે તમારું મુખ પૂર્વ કે ઉત્તર દિશા તરફ રહે તે શ્રેષ્ઠ છે. મંદિરનો દરવાજો પણ ઈશાન કે પૂર્વ દિશામાં હોવો જોઈએ, પરંતુ ક્યારેય દક્ષિણ દિશામાં મંદિર ન રાખવું. જો ઘર બહુમાળી હોય, તો મંદિર હંમેશા નીચેના માળ પર રાખવું હિતાવહ છે. મંદિરના રૂમમાં એક બારી કે વેન્ટિલેશન હોવું જરૂરી છે.
રંગ અને હવન કુંડના નિયમો
પૂજા ઘરમાં હળવો પીળો કે આછો વાદળી રંગ કરાવવો જોઈએ, જેનાથી એકાગ્રતા વધે છે. જો મંદિરમાં હવન કુંડ બનાવવો હોય, તો તે ચોરસ કે ષટ્કોણ હોવો જોઈએ. ગોળાકાર કે ત્રિકોણ હવન કુંડ અશુભ મનાય છે. જો મંદિર કબાટમાં હોય, તો તેની ઉપર વધારાનો સામાન ન રાખવો.
મૂર્તિ સ્થાપન માટેના ખાસ નિયમો
મૂર્તિઓનું મુખ પશ્ચિમ દિશા તરફ રહે તે રીતે સ્થાપિત કરવી જોઈએ.
મૂર્તિનું કદ બહુ મોટું ન હોવું જોઈએ, ત્રણ આંગળ જેટલી સાઈઝની મૂર્તિઓ શ્રેષ્ઠ મનાય છે.
ખંડિત મૂર્તિ ક્યારેય મંદિરમાં ન રાખવી.
વિષ્ણુ, બ્રહ્મા અને સૂર્યદેવનું મુખ પશ્ચિમમાં, હનુમાનજીનું મુખ નૈઋત્યમાં અને માતા દુર્ગા કે ગણેશજીનું મુખ દક્ષિણ તરફ હોવું જોઈએ.
મંદિરમાં પૂર્વજોની તસવીરો ભગવાનની સાથે ન રાખવી જોઈએ.
એક જ મંદિરમાં બે શિવલિંગ, બે શંખ કે બે ગણેશજીની મૂર્તિ રાખવી વાસ્તુ મુજબ અશુભ છે.
યંત્રો અને શુભ ચિહ્નો
કુબેર યંત્રને હંમેશા ઉત્તર દિશામાં સ્થાપિત કરવું જોઈએ. કોઈપણ યંત્ર સ્થાપિત કરતા પહેલા તેની પ્રાણ પ્રતિષ્ઠા કરવવી જોઈએ. સ્વસ્તિક, શંખ અને વીણા જેવા શુભ ચિહ્નોનો પ્રયોગ જે-તે દેવી-દેવતાઓની મૂર્તિ સાથે કરવો જોઈએ. રાત્રે સૂતા પહેલા આ ચિહ્નોને પ્રણામ કરવાથી ભાગ્યમાં વૃદ્ધિ થાય છે.
પૂજા ઘરની જાળવણી
જો મંદિર કબાટમાં હોય, તો તેના દરવાજે પડદો રાખવો જોઈએ જેથી બહારની વ્યક્તિની નજર સીધી ન પડે. મંદિરમાં રોજ સવાર-સાંજ દીવો અને પૂજા કરવી જોઈએ. પૂજા ઘરમાં ગંદકી, કરોળિયાના જાળા કે જૂના કપડા ન હોવા જોઈએ. દરરોજ તાજા જળનો કળશ ભરીને રાખવો અને રોજ તે પાણી બદલવું. ભગવાનને ભોગ ધરતી વખતે થોડીવાર માટે મંદિરનો પડદો કે દરવાજો બંધ રાખવો જોઈએ.




















