Home Education/Career Neet Ug Retest June 21 Nta Paper Leak Digvijaya Singh Parliament Panel

'જો 21 જૂને ફરી પેપર ફૂટશે, તો સીધું PM મોદીનું રાજીનામું માંગીશું' : NEET વિવાદ મુદ્દે દિગ્વિજય સિંહની ખુલ્લી ચીમકી

NEET UG Retest
Image Credit: ai
Published by: Nirali Gohil
Last Updated: Jun 02, 2026, 06:54 AM IST

NEET-UG પેપર લીક વિવાદ બાદ 21 જૂને યોજાનારી રિ-ટેસ્ટને લઈને કેન્દ્ર સરકાર અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) પર સૌની નજર ટકેલી છે. આ વચ્ચે સંસદીય સ્થાયી સમિતિની મહત્વપૂર્ણ બેઠકમાં NTAના ટોચના અધિકારીઓએ પરીક્ષાની સુરક્ષા અને ભવિષ્યની પરીક્ષા પદ્ધતિ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. શિક્ષણ, મહિલા, બાળ વિકાસ, યુવા અને રમતગમત સંબંધિત સંસદીય સ્થાયી સમિતિના અધ્યક્ષ અને કોંગ્રેસ સાંસદ દિગ્વિજય સિંહની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં NTAના ડિરેક્ટર જનરલ અભિષેક સિંહ, ઉચ્ચ શિક્ષણ સચિવ વિનિત જોશી અને આરોગ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલયના સચિવ પુણ્ય સલિલા શ્રીવાસ્તવ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.

21 જૂનની NEET રિ-ટેસ્ટ પર NTAનું સંપૂર્ણ ધ્યાન

બેઠક દરમિયાન NTAના અધિકારીઓએ જણાવ્યું કે હાલમાં એજન્સીનું સંપૂર્ણ ધ્યાન 21 જૂને યોજાનારી NEET-UG રિ-ટેસ્ટને સફળ અને પારદર્શક રીતે યોજવા પર કેન્દ્રિત છે. આ પરીક્ષા પેન-એન્ડ-પેપર મોડમાં જ લેવામાં આવશે. અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે 2027થી NEET-UG પરીક્ષાને તબક્કાવાર રીતે Computer-Based Test (CBT) મોડમાં ફેરવવાની યોજના છે. આ નિર્ણય પરીક્ષાની સુરક્ષા મજબૂત બનાવવા અને પેપર લીક જેવી ઘટનાઓ અટકાવવા માટે લેવામાં આવી રહ્યો છે. ઉચ્ચ સ્તરીય નિષ્ણાત સમિતિએ પણ આવી ભલામણ કરી હોવાનું NTAએ જણાવ્યું.

પેપર લીક રોકવા માટે કયા પગલાં લેવાયા?

સમિતિના સભ્યોએ NTAને સવાલ કર્યો હતો કે 21 જૂનની પરીક્ષામાં ફરી પેપર લીક ન થાય તે માટે શું ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. તેના જવાબમાં NTAએ દાવો કર્યો હતો કે પરીક્ષા પ્રક્રિયાની સુરક્ષા માટે પૂરતા અને અસરકારક પગલાં લેવામાં આવ્યા છે. જોકે સભ્યોએ CBT સિસ્ટમમાં હેકિંગ અને સાયબર સુરક્ષા અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. NTAના પ્રતિનિધિઓએ જણાવ્યું કે આ મુદ્દાની તપાસ માટે વિશેષ સમિતિની રચના કરવામાં આવી છે અને આગામી ત્રણ મહિનામાં તેનો અહેવાલ રજૂ કરવામાં આવશે.

આ પણ વાંચો: NEET UG 2026 Re-examને લઈને મોટું અપડેટ!: ફી રિફંડની સમયમર્યાદા લંબાઈ, જાણો સિટી સ્લિપ અને એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરશો

દિગ્વિજય સિંહનું મોટું નિવેદન

બેઠક બાદ મીડિયા સાથે વાતચીત દરમિયાન કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સીધું નિશાન સાધ્યું હતું. તેમણે જણાવ્યું કે, સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે વડાપ્રધાન પોતે 21 જૂનની NEET પરીક્ષાની દેખરેખ રાખી રહ્યા છે, જેથી કોઈ ખામી ન રહે. દિગ્વિજય સિંહે કહ્યું કે જો વડાપ્રધાન પોતે પરીક્ષાની જવાબદારી સંભાળી રહ્યા છે તો પછી કોઈ પણ પ્રકારની ગડબડ માટે તેમની જવાબદારી નક્કી થશે. તેમણે ચેતવણી આપતા કહ્યું કે જો ફરી પેપર લીક થશે તો માત્ર શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન નહીં, પરંતુ વડાપ્રધાનના રાજીનામાની માંગ પણ કરવામાં આવશે.

NEET વિવાદ હજુ શાંત થયો નથી

NEET-UG પેપર લીક મુદ્દે છેલ્લા કેટલાક મહિનાથી દેશભરમાં ચર્ચા ચાલી રહી છે. અનેક વિદ્યાર્થીઓ, વાલીઓ અને રાજકીય પક્ષોએ પરીક્ષા પ્રક્રિયાની પારદર્શિતા અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી કેટલીક અરજીઓમાં NTAની વર્તમાન રચના પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે. કેટલાક અરજદારોએ NTAને ભંગ કરીને તેના સ્થાને કાયદાકીય સત્તા ધરાવતી નવી સંસ્થા બનાવવાની માંગ કરી છે.

21 જૂનની પરીક્ષા પર દેશની નજર

NEET-UG દેશની સૌથી મહત્વપૂર્ણ મેડિકલ પ્રવેશ પરીક્ષાઓમાંની એક છે. લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે સીધો સંબંધ ધરાવતી આ પરીક્ષા હવે ફરી વિવાદોમાં છે. આવી સ્થિતિમાં 21 જૂનની રિ-ટેસ્ટ પારદર્શક અને સુરક્ષિત રીતે યોજાય છે કે નહીં, તેના પર વિદ્યાર્થીઓ, વાલીઓ અને સમગ્ર દેશની નજર ટકેલી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now