Neerja Sharma Murder Case : રાજસ્થાનની રાજધાની જયપુરમાં બનેલો નીરજા શર્મા હત્યા કેસ દિવસેને દિવસે વધુ જટિલ બનતો જઈ રહ્યો છે. સરકારી નોકરી અને કરોડોની મિલકતના લોભમાં દીકરીએ પોતાની જ માતાની સોપારી આપીને હત્યા કરાવ્યાનો આરોપ પહેલેથી જ ચર્ચામાં હતો. હવે કેસમાં આરોપી આયુષી શર્માના મામા રાકેશ શર્માએ કરેલા નવા દાવાથી તપાસમાં વધુ એક મહત્વનો પાસો ઉમેરાયો છે. તેમણે આરોપ મૂક્યો છે કે આયુષી અને તેના પિતરાઈ ભાઈ બલરામ વચ્ચે નજીકનો સંબંધ હતો અથવા બલરામ તેને કોઈ રીતે બ્લેકમેલ કરતો હતો. બીજી તરફ પોલીસ પૂછપરછ દરમિયાન આયુષીએ માતા પ્રત્યેની નફરત અને કથિત હત્યાના કાવતરાને લઈને અનેક દાવા કર્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસ અત્યાર સુધી સામે આવેલા દરેક દાવા અને પુરાવાની અલગ-અલગ દિશામાં તપાસ કરી રહી છે. પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અને આરોપી દ્વારા આપવામાં આવેલા નિવેદનોની સત્યતા અંગે હજુ કોઈ અંતિમ નિષ્કર્ષ જાહેર કરવામાં આવ્યો નથી.
મામાનો દાવો : પિતરાઈ ભાઈની ભૂમિકા તપાસવી જરૂરી
મૃતક નીરજા શર્માના ભાઈ અને આરોપી આયુષીના મામા રાકેશ શર્માએ પોલીસને જણાવ્યું છે કે બલરામનો આ સમગ્ર ઘટનાક્રમમાં મહત્વપૂર્ણ રોલ હોઈ શકે છે. તેમના જણાવ્યા અનુસાર બલરામે આયુષીને પ્રેમસંબંધમાં ફસાવી રાખી હતી અથવા તો કોઈ વીડિયોના આધારે તેને બ્લેકમેલ કરતો હતો. રાકેશ શર્માનું કહેવું છે કે હત્યાની ઘટનાના દિવસથી જ બલરામ ફરાર છે અને તેની ધરપકડ કરીને સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ. રાકેશ શર્માએ વધુ એક ગંભીર આરોપ પણ લગાવ્યો છે. તેમના દાવા મુજબ એપ્રિલ 2025માં આયુષી અને બલરામે મળીને આયુષીના પિતા વિજય શર્માના મૃત્યુમાં પણ ભૂમિકા ભજવી હતી. જોકે આ આરોપ અંગે પોલીસ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. બીજી તરફ પોલીસ કસ્ટડીમાં આયુષીએ પોતાના પિતાની હત્યામાં કોઈ સંડોવણી હોવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હોવાનું જણાવાયું છે.
આ પણ ખાસ વાંચો : 10 હજાર કિમી લાંબો વાદળોનો પટ્ટો સક્રિય! : બંગાળની ખાડીમાં સક્રિય થઈ ટ્રોપિકલ સિસ્ટમ, ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ધમાકેદાર વરસાદની આશા
આયુષીનો દાવો : માતા પ્રત્યે નફરત શા માટે?
પોલીસ પૂછપરછ દરમિયાન આયુષીએ એવો દાવો કર્યો છે કે તેની માતા નીરજા શર્મા પિતા વિજય શર્મા સાથે ખરાબ વર્તન કરતી હતી. તેણે પોલીસને કેટલાક વીડિયો પણ બતાવ્યા હોવાનું કહેવામાં આવે છે, જેમાં માતા અને પિતા વચ્ચેના વિવાદના દ્રશ્યો હોવાનું આયુષીનો દાવો છે. આ વીડિયોની સ્વતંત્ર રીતે સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આયુષીનું કહેવું છે કે પિતાને થતા તણાવ અને સ્વાસ્થ્યની સમસ્યાઓ માટે તે પોતાની માતાને જવાબદાર માનતી હતી. તેના જણાવ્યા મુજબ તે પિતાની નજીક હતી અને તેને લાગતું હતું કે પિતાની મિલકત અને સરકારી નોકરી પર માતાનો નહીં પરંતુ પોતાનો અધિકાર હોવો જોઈએ. પોલીસ સમક્ષ તેણે એ પણ સ્વીકાર્યું હોવાનું કહેવાય છે કે તે પોતાની માતા કરતાં દાદી, કાકા અને પરિવારના અન્ય સભ્યોની વાત વધુ માનતી હતી અને બલરામને પોતાનો માર્ગદર્શક ગણતી હતી. જોકે તપાસ એજન્સીઓ આ તમામ નિવેદનોની સત્યતા અને પુરાવાઓ સાથે તેની સુસંગતતાની તપાસ કરી રહી છે.
અનુકંપા નિમણૂકથી શરૂ થયો વિવાદ
માહિતી મુજબ વિજય શર્મા જયપુરની કોર્ટમાં લોઅર ડિવિઝન ક્લાર્ક (LDC) તરીકે કાર્યરત હતા. તેમના અવસાન બાદ પરિવારને અનુકંપા નિમણૂકનો અધિકાર મળ્યો હતો. શરૂઆતમાં આયુષી પોતે નોકરી કરવા ઇચ્છતી હતી, પરંતુ પરિવારના વડીલોએ નીરજા શર્માને નોકરી સ્વીકારવાની સલાહ આપી. કારણ કે ઘરમાં એક માનસિક રીતે દિવ્યાંગ પુત્રની જવાબદારી પણ હતી. આખરે નીરજા શર્માએ અનુકંપા આધારે સરકારી નોકરી સ્વીકારી. આરોપ મુજબ આ નિર્ણયથી આયુષી અસંતોષમાં આવી ગઈ અને ઘર છોડીને અલગ રહેવા લાગી. ત્યાંથી પરિવારની અંદરના મતભેદ વધુ ગંભીર બન્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
કરોડોની મિલકત અને કથિત હત્યાનું કાવતરું
તપાસ દરમિયાન સામે આવેલા આરોપો મુજબ આયુષીએ પોતાની માતાની હત્યા કરાવવા માટે બલરામને કરોડોની મિલકત અને ભવિષ્યમાં મળનારી સરકારી નોકરીમાં લાભ આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આગ્રા રોડ અને ભરતપુર વિસ્તારમાં આવેલી કિંમતી જમીન ઉપરાંત જયપુરના મકાનો પણ આ કથિત સોદાનો ભાગ હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આરોપ છે કે શરૂઆતમાં નીરજા શર્માને વાહન અકસ્માતમાં મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તે નિષ્ફળ ગયો હતો. ત્યારબાદ નવી યોજના ઘડીને સુપારી કિલરની મદદથી ઘટનાને અકસ્માતનું સ્વરૂપ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું પોલીસનું પ્રાથમિક કહેવું છે.
આ પણ ખાસ વાંચો : રામ મંદિર દાનચોરી કેસમાં સુપ્રીમ કોર્ટનું મોટું એક્શન : ટ્રસ્ટને નોટિસ ફટકારી UP સરકારને આપ્યા મહત્વના નિર્દેશ
પહેલો પ્રયાસ નિષ્ફળ ગયો હોવાનો આરોપ
તપાસમાં એવો પણ આરોપ સામે આવ્યો છે કે ઘટનાથી લગભગ એક મહિના પહેલાં નીરજા શર્માને થાર વાહનથી ટક્કર મારીને મારી નાખવાનો પ્રયાસ થયો હતો. જોકે તેઓ બચી ગયા હતા. ત્યારબાદ તેમને પોતાના પર કોઈ કાવતરું ચાલી રહ્યું હોવાની શંકા થઈ અને તેમણે સુરક્ષા વધારવા માટે ઘરે CCTV કેમેરા તેમજ અન્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી. પોલીસ તપાસ મુજબ બાદમાં બીજી યોજના બનાવી હરિયાણા નંબરની સ્કોર્પિયો ભાડે લેવામાં આવી અને તક મળતા નીરજા શર્માને ટક્કર મારીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હોવાનું આરોપ છે. ઘટનાસ્થળના CCTV ફૂટેજ અને અન્ય ટેકનિકલ પુરાવાના આધારે પોલીસે તપાસ આગળ વધારી હતી, જેના આધારે અનેક આરોપીઓની ધરપકડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
તપાસ હજુ ચાલુ, અનેક દાવાઓની પુષ્ટિ બાકી
આ કેસમાં પરિવારના અલગ-અલગ સભ્યો દ્વારા એકબીજા સામે ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. પ્રેમસંબંધ, બ્લેકમેલિંગ, મિલકતનો વિવાદ અને અગાઉના મૃત્યુ અંગેના તમામ દાવાઓની હજુ સત્તાવાર રીતે પુષ્ટિ થઈ નથી. પોલીસ તમામ નિવેદનો, ડિજિટલ પુરાવા, CCTV ફૂટેજ અને ફોરેન્સિક માહિતીના આધારે તપાસ આગળ વધારી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાક્રમનું સ્પષ્ટ ચિત્ર સામે આવશે.





