ભારતીય સંસ્કૃતિમાં સર્પ સાથે જોડાયેલી અનેક ગાથાઓ અને માન્યતાઓ વર્ષોથી પ્રચલિત છે. સાપને એક તરફ દેવતા માનીને પૂજવામાં આવે છે તો બીજી તરફ તેના ઝેરનો ભય પણ હંમેશા રહે છે. સામાન્ય રીતે એવું કહેવાય છે કે સાપ ત્યારે જ હુમલો કરે છે જ્યારે તેને છંછેડવામાં આવે. પરંતુ આ બધાની વચ્ચે એક એવી વાત ખૂબ જ ચર્ચાય છે કે સાપ ક્યારેય ગર્ભવતી મહિલાને કરડતો નથી. લોકમુખે એવી પણ ચર્ચાઓ સંભળાય છે કે જો કોઈ સાપ સગર્ભા સ્ત્રીને જોઈ લે તો તે તત્કાલ અંધ બની જાય છે અને પોતાનો રસ્તો બદલી નાખે છે. આ દાવાઓ પાછળ શું તર્ક છે તે સમજવું અત્યંત રસપ્રદ છે.
બ્રહ્મવૈવર્ત પુરાણની કથા અને શાપનું રહસ્ય
ધાર્મિક ગ્રંથોમાં આ માન્યતાનો ઉલ્લેખ બ્રહ્મવૈવર્ત પુરાણમાં જોવા મળે છે. પૌરાણિક કથા મુજબ એક સમયે એક ગર્ભવતી સ્ત્રી શિવાલયમાં ભગવાન શિવની આરાધનામાં લીન હતી. તે સમયે બે સાપ ત્યાં આવી ચડ્યા અને મહિલાની તપસ્યામાં વિક્ષેપ પાડવા લાગ્યા. આ ખલેલના કારણે તે સ્ત્રીનું ધ્યાન ભંગ થયું. આ ઘટનાથી ક્રોધિત થઈને તે સ્ત્રીના ગર્ભમાં રહેલા શિશુએ સમગ્ર સર્પ વંશને એવો શાપ આપ્યો કે ભવિષ્યમાં જો કોઈ પણ સાપ કે નાગ કોઈ ગર્ભવતી સ્ત્રીની નજીક જશે તો તે પોતાની દ્રષ્ટિ ગુમાવી બેસશે એટલે કે અંધ થઈ જશે. આ પૌરાણિક ઘટનાને કારણે હિન્દુ ધર્મમાં એવી આસ્થા બેસી ગઈ છે કે સાપ ગર્ભવતી મહિલાને નુકસાન પહોંચાડતા નથી.
વિજ્ઞાન શું કહે છે?
જો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી તપાસ કરવામાં આવે તો આ વાતનો કોઈ જ સચોટ પુરાવો મળતો નથી. Science આ પ્રકારની માન્યતાઓને સ્વીકારતું નથી. જીવવિજ્ઞાનીઓના મતે સાપની દ્રષ્ટિ કે તેની કરડવાની ક્ષમતાનો કોઈ સ્ત્રીના ગર્ભવતી હોવા સાથે સીધો સંબંધ નથી. સાપ એક એવું પ્રાણી છે જે માત્ર પોતાના બચાવ માટે પ્રતિક્રિયા આપે છે. જો સાપને કોઈ પણ વ્યક્તિથી ભય અનુભવાય તો તે ચોક્કસપણે કરડી શકે છે પછી ભલે તે વ્યક્તિ ગર્ભવતી સ્ત્રી જ કેમ ન હોય. સાપ સામે આવતા જ અંધ થઈ જવો તે માત્ર એક લોકવાયકા છે જે પેઢી દર પેઢી ચાલી આવે છે.
ગર્ભવતી મહિલાઓ માટે જોખમ અને સાવચેતી
વાસ્તવમાં ગર્ભવતી મહિલા માટે સાપનું કરડવું સામાન્ય વ્યક્તિ કરતા વધુ જીવલેણ સાબિત થઈ શકે છે. સાપનું ઝેર શરીરમાં ફેલાતાની સાથે જ તેની સીધી અસર ગર્ભમાં રહેલા ભ્રૂણ પર પડી શકે છે. ઝેરની અસરમાંથી માતા અને બાળક બંનેને બચાવવા અત્યંત મુશ્કેલ બની જાય છે અને ગંભીર મેડિકલ કોમ્પ્લીકેશન્સ ઊભા થાય છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારો કે જ્યાં સાપનું પ્રમાણ વધુ હોય ત્યાં સગર્ભા મહિલાઓએ અત્યંત સાવધ રહેવું જોઈએ. કોઈ પણ સંજોગોમાં જો સાપ કરડે તો અંધશ્રદ્ધા કે ઘરેલુ નુસ્ખાઓમાં સમય બગાડવાને બદલે તાત્કાલિક હોસ્પિટલ પહોંચીને સારવાર લેવી હિતાવહ છે.




















