ગણના રાજા એટલે કે ગણપતિ, દરેક કામમાં સૌથી પહેલા તેમની જ પૂજા કરવામાં આવે છે. સામાન્ય રીતે ગણપતિ ડાબી સૂંઢના હોય છે પરંતુ અમદાવાદ પાસે એક ખાસ ગણપતિ મંદિર આવેલું છે જેના ગણપતિ જમણી સૂંઢના છે. આ મંદિર ધોળકા તાલુકાના કોઠ ગામે આવેલું છે. જે અમદાવાદથી લગભગ 80 કિલોમીટર જેટલું થાય છે. આ મંદિર એટલે કે ગણેશપુરાનું ચમત્કારિક મંદિર. જેને ગણપતિપુરા, ગણપતપુરાના નામથી પણ ઓળખવામાં આવે છે. અહીં રોજ અનેક લોકો દર્શન કરવા આવે છે. ખાસ કરીને મંગળવારે તો અહીં ખૂબ જ ભીડ હોય છે, લાખો લોકો આ ગણપતિમાં આસ્થા ધરાવે છે.
આ ગણપતિની ખાસિયત એ છે કે, તે આખા દેશમાં એકમાત્ર જમણી સૂંઢ ધરાવતા ગજાનનનું મંદિર છે. આ મૂર્તિ એક જ દાંતવાળી છે અને સ્વયંભૂ પ્રગટ થયેલી છે. એટલે લોકો તેને ખૂબ જ માને છે. કહેવામાં આવે છે કે આ મૂર્તિ ખોદકામ સમયે પગમાં સોનાના તોડા, કાનના કુંડળ, માથાના મુગટ અને કમરના કંદોરા સાથે પ્રગટ થઈ હતી. વર્ષો પહેલા અહીં વન હતું. મૂર્તિને ક્યાં રાખવી તેનો વિવાદ થયો હતો. પરંતુ જ્યારે તેને ગાડામાં લઈ જવામાં આવી ત્યારે તે જાતે જઈને ગણપતિપુરા પાસે જઈને ઉભું રહી ગયું હતું.અને ત્યાં જ મંદિર બનાવવામાં આવ્યું છે.ૉ
ગણપતિપુરાના ગણપતિજીને માનતા પૂર્ણ કરનાર માનવામાં આવે છે. અહીં લોકો જે માંગે છે તે ગણેશજી આપે છે. એટલે જ આસપાસના અને દૂર દૂરથી અનેક લોકો અહીં આવે છે. એમાં પણ મંગળવાર કે ચોથ જેવા તહેવારમાં તો વહેલી સવારથી ભક્તોની ભીડ જોવા મળે છે. ખાસ કરીને દર મહિને વદની ચોથના દિવસે મોટા પ્રમાણમાં લોકો આવે છે. અહીં ચોથના દિવસે લાડૂનો પ્રસાદ ધરાવવામાં આવે છે. આ મંદિરમાં અન્નક્ષેત્ર પણ ચાલે છે. જેનો મોટી સંખ્યામાં ભક્તો લાભ લે છે.





















