Mahavirsinh Sindhav Death:રાજ્યભરમાં અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા સુરેન્દ્રનગર જિલ્લાના કુખ્યાત ગુનેગાર મહાવીરસિંહ સિંઘવનું અમદાવાદ ખાતે એક અકસ્માતમાં મોત નીપજ્યું હોવાના અહેવાલો સામે આવ્યા છે. ચોથા માળેથી નીચે પતકાવાને કારણે તેનું મોત થયું હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. મૃતકના વતન ચુડા તાલુકાના ચોકડી ગામે ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે અંતિમવિધિ પૂર્ણ કરવામાં આવી હતી.
ઝઘડા બાદ પોલીસથી બચવા જતાં અકસ્માત નડ્યો હોવાનું અનુમાન
મળતી વિગતો અનુસાર, મૂળ ચુડા તાલુકાના ચોકડી ગામના વતની અને પૂર્વ આર્મીમેન એવા મહાવીરસિંહ સિંઘવનું અમદાવાદમાં રહસ્યમય સંજોગોમાં મોત થયું છે. પ્રાથમિક ચર્ચાઓ મુજબ, અમદાવાદમાં કોઈ વ્યક્તિ સાથે તેનો ઉગ્ર ઝઘડો થયો હતો અને આ મારામારી બાદ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પોલીસ ફરિયાદ નોંધાતા જ મહાવીરસિંહ ત્યાંથી નાસી છૂટવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પોલીસ પકડથી બચવા માટે નાસવાનો પ્રયાસ કરતી વખતે એક બિલ્ડિંગના ચોથા માળેથી પગ લપસી જતાં અથવા નીચે પડી જતાં તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે, આ અકસ્માત છે કે અન્ય કોઈ કારણ, તે અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
રાજ્યભરમાં હતો ગુનાહિત ઈતિહાસ
મહાવીરસિંહ સિંઘવનો ભૂતકાળ ઘણો વિવાદાસ્પદ અને ગુનાહિત રહ્યો છે. તે પૂર્વ આર્મીમેન હોવા છતાં ગુનાખોરીના રસ્તે ચડી ગયો હતો. ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં તેની સામે અસંખ્ય ગંભીર ગુનાઓ નોંધાયેલા હતા, જેમાં ખંડણી (ઉઘરાણી) અને ધમકીઓ આપવી, આર્મ્સ એક્ટ (ગેરકાયદેસર હથિયારો રાખવા), મારામારી અને જાનથી મારી નાખવાના પ્રયાસો, જમીન પચાવી પાડવાના વિવાદો. પોતાના ખૌફ અને ગુનાહિત પ્રવૃત્તિઓને કારણે તે સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લા સહિત રાજ્યભરની પોલીસ ચોપડે 'મોસ્ટ વોન્ટેડ' અને કુખ્યાત ગુનેગાર તરીકે જાણીતો હતો.
ચોકડી ગામે અંતિમવિધિ યોજાઈ
અમદાવાદ ખાતે પીએમ (પોસ્ટમોર્ટમ) સહિતની કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ મહાવીરસિંહના પાર્થિવ દેહને તેના વતન ચુડા તાલુકાના ચોકડી ગામે લાવવામાં આવ્યો હતો. જ્યાં તેના પરિવારજનો અને ગ્રામજનોની હાજરીમાં તેની અંતિમવિધિ કરવામાં આવી હતી. કુખ્યાત શખ્સનું મોત થતાં અને ભૂતકાળના વેરઝેરને ધ્યાનમાં રાખીને ગામમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થાનિક પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ ચકચારી ઘટનાને પગલે હાલમાં સુરેન્દ્રનગર અને અમદાવાદ પોલીસ દ્વારા મોતના સાચા કારણો શોધવા માટે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે.





