મહાશિવરાત્રી એ ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવાનો સર્વોત્તમ અવસર છે. એવી માન્યતા છે કે જે શ્રદ્ધાળુ આ પવિત્ર રાત્રિએ સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે શિવ ઉપાસના કરે છે, તેના પર મહાદેવની વિશેષ કૃપા ઉતરે છે. શિવપુરાણમાં અમુક એવા દિવ્ય મંત્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેનો મહાશિવરાત્રીની રાત્રે જાપ કરવાથી વ્યક્તિ ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકે છે અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે.
ભગવાન શિવના અત્યંત પ્રભાવશાળી મંત્રો
1) ૐ સામ્બ સદાશિવાય નમઃ મહાશિવરાત્રીની રાત્રે આ મંત્રનો ઓછામાં ઓછી 108 વાર જાપ કરવો જોઈએ. પુરાણો અનુસાર, આ મંત્રના જાપથી સુખ, સૌભાગ્ય અને સંપત્તિની પ્રાપ્તિ થાય છે. આ મંત્ર દ્વારા ભગવાન શિવની સાથે માતા લક્ષ્મીના આશીર્વાદ પણ પ્રાપ્ત થતા હોવાની માન્યતા છે.
2) મહામૃત્યુંજય મંત્ર ૐ ત્ર્યમ્બકં યજામહે સુગન્ધિં પુષ્ટિવર્ધનમ્ | ઉર્વારુકમિવ બન્ધનાન્ મૃત્યોર્મુક્ષીય મામૃતાત્ || ભગવાન શિવનો આ સૌથી દિવ્ય અને શક્તિશાળી મંત્ર છે. મહાશિવરાત્રીની રાત્રે રુદ્રાક્ષની માળાથી આ મંત્રનો જાપ કરવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે.
3) પંચાક્ષરી મંત્ર: ૐ નમઃ શિવાય આ મંત્ર શિવ ભક્તોમાં સૌથી વધુ લોકપ્રિય છે. માન્યતા છે કે આ મંત્રનો જાપ કરનાર વ્યક્તિ આ જીવનમાં તમામ ભૌતિક સુખો ભોગવીને અંતે શિવલોક પ્રાપ્ત કરે છે. આ મંત્ર ભક્તને મહાદેવની અત્યંત નજીક લાવે છે.
4) સારા સ્વાસ્થ્ય માટેનો મંત્ર સૌરાષ્ટ્રદેશે વિશદેડતિરમ્યે જ્યોતિર્મયં ચન્દ્રકલાવતંસમ | ભક્તિપ્રદાનાય કૃપાવતીર્ણં તં સોમનાથં શરણં પ્રપદ્યે || કાવેરિકાનર્મદયોઃ પવિત્રે સમાગમે સજ્જનતારણાય | સદૈવ માન્ધાતૃપુરે વસન્તમોંકારમીશં શિવમેકમીડે || જો તમે લાંબા સમયથી કોઈ બીમારીથી પીડાતા હોવ અથવા નિરોગી કાયા ઈચ્છતા હોવ, તો આ મંત્રનો 108 વાર જાપ કરવાથી ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુની પ્રાપ્તિ થાય છે.
108 વાર મંત્ર જાપનું વિજ્ઞાન અને મહત્વ
કોઈપણ મંત્રનો 108 વાર જાપ કરવા પાછળ ઊંડું આધ્યાત્મિક રહસ્ય છે. 108 ની સંખ્યા બ્રહ્માંડના વાઈબ્રેશન સાથે સુસંગત માનવામાં આવે છે. આટલી વાર જાપ કરવાથી શરીરમાં પોઝિટિવ એનર્જીનો સંચાર થાય છે અને વ્યક્તિ માનસિક રીતે વધુ સંતુલિત અને મજબૂત બને છે. તે આધ્યાત્મિક જાગૃતિ લાવવામાં મદદરૂપ સાબિત થાય છે.




















