મહાશિવરાત્રીના પવિત્ર અવસરે શિવભક્તો ભગવાન ભોળાનાથની આરાધનામાં લીન થઈને વ્રત રાખતા હોય છે. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે સાચા મનથી ઉપવાસ કરવાથી મહાદેવ પ્રસન્ન થાય છે અને ભક્તોની ઈચ્છાઓ પૂર્ણ કરે છે. જોકે વ્રત દરમિયાન ખાનપાનને લઈને શાસ્ત્રોમાં ચોક્કસ માર્ગદર્શિકા આપવામાં આવી છે. જો આ નિયમોનું પાલન કરવામાં ના આવે તો વ્રતનું પૂર્ણ ફળ મળતું નથી. તેથી ઉપવાસ કરનારા શ્રદ્ધાળુઓએ શું ખાવું જોઈએ અને કઈ વસ્તુઓથી દૂર રહેવું જોઈએ તે જાણવું અત્યંત આવશ્યક છે.
વ્રત દરમિયાન આ ચીજોનું સેવન ટાળવું
શાસ્ત્રોક્ત વિધિ મુજબ મહાશિવરાત્રીના ઉપવાસમાં અનાજ ખાવું વર્જિત માનવામાં આવ્યું છે. વ્રત દરમિયાન ઘઉં, ચોખા કે અન્ય કોઈ પણ પ્રકારના ધાન્યનો આહાર લેવાથી વ્રત ખંડિત થઈ શકે છે. ધાર્મિક દ્રષ્ટિએ આ દિવસે મીઠું ખાવાની પણ મનાઈ છે પરંતુ જો તબિયત નરમ હોય તો સીંધાલૂણનો ઉપયોગ કરી શકાય છે. ખાસ કરીને લસણ અને ડુંગળી જેવા તામસિક પદાર્થોથી દૂર રહેવું જોઈએ કારણ કે તેનાથી પૂજામાં ખલેલ પહોંચે છે. આ સિવાય હળદરનો ઉપયોગ પણ શિવરાત્રીના વ્રતમાં અશુભ માનવામાં આવ્યો છે. વ્યસન અને મદિરાથી પણ આ દિવસે સખત પરેજી રાખવી જોઈએ.
ઉપવાસમાં કઈ વસ્તુઓ લઈ શકાય?
મહાશિવરાત્રીના વ્રતમાં ફળાહારનું વિશેષ મહત્વ છે. પૂજા બાદ શ્રદ્ધાળુઓ સફરજન, પપૈયું અને કાકડી જેવા ફળો ખાઈ શકે છે. દિવસ દરમિયાન શરીરને હાઈડ્રેટેડ રાખવા માટે ફળોનો રસ અથવા જ્યુસ પીવો હિતાવહ છે. જો તમે મીઠાઈના શોખીન હોવ તો દૂધમાંથી બનેલી ચીજો અને મીઠા પદાર્થોનું સેવન કરી શકો છો. મરીનો પાવડર પણ સ્વાદ માટે વાપરી શકાય છે.
જે ભક્તોને વધુ ભૂખ લાગતી હોય તેઓ કુટ્ટાના લોટમાંથી બનેલી વાનગીઓ જેવી કે પૂરી કે ભજીયા લઈ શકે છે જેનાથી શરીરમાં શક્તિ જળવાઈ રહેશે. દૂધમાંથી બનાવેલી ઠંડાઈ પણ આ દિવસે લોકપ્રિય છે જે સ્વાસ્થ્ય માટે ઉત્તમ ગણાય છે. આ ઉપરાંત મખાનાની ખીરા અથવા દૂધી અને ગાજરની હલવો બનાવીને પણ અલ્પાહાર કરી શકાય છે.




















