વર્ષ 2026 માં મહાશિવરાત્રિનો પાવન પર્વ 15 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવશે. શિવપુરાણ અનુસાર, આ દિવસે ભગવાન શિવ લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા. આ વર્ષે મહાશિવરાત્રિ અત્યંત ખાસ માનવામાં આવી રહી છે, કારણ કે આ દિવસે કુંભ રાશિમાં સૂર્ય, બુધ, રાહુ અને શુક્રની યુતિથી 'ચતુર્ગ્રહી યોગ' સર્જાઈ રહ્યો છે. આ ઉપરાંત સર્વાર્થ સિદ્ધિ યોગ અને વ્યતીપાત યોગનો સમન્વય ભક્તો માટે અત્યંત ફળદાયી રહેશે.
મહાશિવરાત્રિ 2026 ના શુભ સંયોગ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ, 15 ફેબ્રુઆરીના રોજ સાંજે 05:06 કલાકે ચતુર્દશી તિથિ શરૂ થશે, જે 16 ફેબ્રુઆરીએ સાંજે 05:35 કલાક સુધી રહેશે. આથી 15 ફેબ્રુઆરીએ જ મહાશિવરાત્રિની ઉજવણી થશે. આ દિવસે સવારે 07:08 થી સાંજે 07:48 સુધી 'સર્વાર્થ સિદ્ધિ યોગ' રહેશે, જે તમામ મનોકામનાઓ પૂર્ણ કરનારો માનવામાં આવે છે. શ્રવણ નક્ષત્ર અને ઉત્તરાષાઢા નક્ષત્રના જોડાણથી આ દિવસનું આધ્યાત્મિક મહત્વ વધી જાય છે.
ચાર પ્રહરની પૂજાનું વિશેષ મહત્વ અને સમય
ધાર્મિક માન્યતા મુજબ મહાશિવરાત્રિ પર ચાર પ્રહરની પૂજા કરવાથી ધન, યશ અને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. વર્ષ 2026 માટે પૂજાના શુભ સમય (Muhurat) નીચે મુજબ છે:
પ્રથમ પ્રહર: સાંજે 06:15 થી રાત્રે 09:28 સુધી
દ્વિતીય પ્રહર: રાત્રે 09:29 થી મધ્યરાત્રિ 12:41 સુધી
તૃતીય પ્રહર: મધ્યરાત્રિ 12:42 થી 16 ફેબ્રુઆરી સવારે 03:54 સુધી
ચતુર્થ પ્રહર: 16 ફેબ્રુઆરી સવારે 03:55 થી સવારે 07:07 સુધી
ઘરમાં શિવલિંગની સ્થાપના અને પૂજા વિધિ
મહાશિવરાત્રિના દિવસે ઘરમાં શિવલિંગની સ્થાપના કરવી અત્યંત શુભ ગણાય છે. શાસ્ત્રો અનુસાર, ઘર માટે શિવલિંગનું કદ હાથના અંગૂઠાના પહેલા વેઢાથી મોટું ન હોવું જોઈએ. શિવલિંગની સાથે માતા પાર્વતી, ગણેશજી, કાર્તિકેય અને નંદીની પ્રતિમા પણ રાખવી જોઈએ. પૂજામાં સોના, ચાંદી, પિત્તળ અથવા માટીના શિવલિંગનો ઉપયોગ શ્રેષ્ઠ છે, પરંતુ સ્ટીલ કે લોખંડના શિવલિંગની પૂજા ટાળવી જોઈએ.
અભિષેક અને મંત્ર જાપનું ફળ
મહાદેવને પ્રસન્ન કરવા માટે વિવિધ દ્રવ્યોથી અભિષેક કરવાનું વિધાન છે:
મધ: જીવનની મુશ્કેલીઓ દૂર કરવા માટે.
દહીં: આર્થિક સમસ્યાઓના નિવારણ માટે.
શેરડીનો રસ: લક્ષ્મીજીની કૃપા અને સમૃદ્ધિ મેળવવા માટે.
પૂજા દરમિયાન 'ॐ ત્ર્યમ્બકં યજામહે...' મહામૃત્યુંજય મંત્ર અથવા 'ॐ પાર્વતીપતયે નમઃ' મંત્રનો 108 વાર જાપ કરવાથી અકાળ સંકટો દૂર થાય છે.
પૌરાણિક કથા: શા માટે ઉજવાય છે શિવરાત્રિ?
પૌરાણિક કથા મુજબ, જ્યારે બ્રહ્માજી અને વિષ્ણુજી વચ્ચે શ્રેષ્ઠતાને લઈને વિવાદ થયો, ત્યારે શિવજી જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા. બ્રહ્માજીએ શિવલિંગનો અંત શોધી લીધાનું અસત્ય બોલ્યું હતું, જેના કારણે શિવજીએ તેમને પૂજા ન થવાનો શ્રાપ આપ્યો હતો. આ ઘટના ફાગણ વદ ચતુર્દશીએ બની હતી, તેથી આ દિવસને મહાશિવરાત્રિ તરીકે મનાવવામાં આવે છે.





















