હિંદુ ધર્મમાં મહાશિવરાત્રીનું વિશેષ મહત્વ છે. દર વર્ષે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ આ પર્વ મનાવવામાં આવે છે. માન્યતા છે કે આ પવિત્ર દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. ભોલેનાથે આ દિવસે વૈરાગ્ય ત્યાગીને ગૃહસ્થ જીવન અપનાવ્યું હતું. આ વર્ષે મહાશિવરાત્રી પર ખૂબ જ દુર્લભ સંયોગો બની રહ્યા છે, જે ભક્તો માટે અત્યંત કલ્યાણકારી રહેશે.
ક્યારે છે મહાશિવરાત્રી?
વર્ષ 2026 માં ફાગણ વદ ચતુર્દશી તિથિનો પ્રારંભ 15 ફેબ્રુઆરી, રવિવારના રોજ સાંજે 5:05 કલાકે થશે અને તે બીજા દિવસે એટલે કે 16 ફેબ્રુઆરી, સોમવારના રોજ સાંજે 5:35 કલાકે પૂર્ણ થશે. શાસ્ત્રો મુજબ, જે રાત્રિએ નિશીથ કાળમાં ચતુર્દશી તિથિનો સંયોગ હોય તે દિવસે શિવરાત્રી મનાવવામાં આવે છે. તેથી, 15 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીનું વ્રત અને પૂજા કરવી શાસ્ત્રસમ્મત રહેશે.
સર્વાર્થ સિદ્ધિ યોગ અને પૂજાનો સંયોગ
આ વખતે મહાશિવરાત્રી પર શ્રવણ નક્ષત્ર અને સર્વાર્થ સિદ્ધિ યોગનો મહાસંયોગ બની રહ્યો છે. રવિવારે રાત્રે 7:48 કલાક પછી શ્રવણ નક્ષત્ર શરૂ થશે. માન્યતા છે કે શ્રવણ નક્ષત્રમાં ભગવાન શિવની પૂજા કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે અને ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે.
મહાશિવરાત્રી પૂજા વિધિ
સંકલ્પ: મહાશિવરાત્રીના દિવસે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કર્યા બાદ સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી વ્રતનો સંકલ્પ લો.
સ્થાપના: પૂજા સ્થાન પર બાજઠ (ચોકી) પર લાલ કે પીળું વસ્ત્ર પાથરી ભગવાન શિવ અને માતા પાર્વતીની પ્રતિમા સ્થાપિત કરો.
અભિષેક: મહાશિવરાત્રી પર શિવલિંગનો જલાભિષેક કે દૂધ-મધથી અભિષેક કરવાનું વિશેષ મહત્વ છે.
પૂજન સામગ્રી: ભોલેનાથને બિલીપત્ર, ધતૂરો, આંકડાના ફૂલ અને ફળ અર્પણ કરો. આખા શિવ પરિવારને વસ્ત્રો અર્પણ કરો.
સૌભાગ્ય: સુહાગન મહિલાઓએ માતા પાર્વતીને શ્રૃંગારની સામગ્રી અર્પણ કરવી જોઈએ, જેનાથી અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.
આરતી: સવાર-સાંજ વિધિપત પૂજા અને આરતી કરીને સુખ-સમૃદ્ધિની કામના કરો.





















