logo-img
Mahashivratri 2026 Belpatra Vrat Vidhi Shiv Puja Remedies

શિવકૃપા મેળવવા બિલીપત્ર અને બિલીના વૃક્ષના આ અચૂક ઉપાયો કરજો : ભોલેનાથ મનોકામના પૂર્ણ કરશે

શિવકૃપા મેળવવા બિલીપત્ર અને બિલીના વૃક્ષના આ અચૂક ઉપાયો કરજો
Published by: Offbeat Team
| Last Updated: Feb 14, 2026, 03:30 PM IST

હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રીના પર્વનું વિશેષ મહત્વ રહેલું છે. વર્ષ 2026માં આ પવિત્ર તહેવાર 15 ફેબ્રુઆરી, રવિવારના રોજ ઉજવવામાં આવશે. પૌરાણિક માન્યતાઓ અનુસાર આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા. આ અવસરે ભોલેનાથની વિધિવત આરાધના અને વ્રત કરવાથી જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે. ખાસ કરીને મહાદેવને અત્યંત પ્રિય એવા બિલીપત્ર અને બિલીના વૃક્ષ સાથે જોડાયેલા કેટલાક વિશેષ ઉપાયો કરવાથી જાતકને ભોગ અને મોક્ષ બંનેની પ્રાપ્તિ થઈ શકે છે.

શિવપુરાણમાં બિલીપત્રનું અનન્ય મહત્વ

ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ભક્તો અનેક પ્રકારના પુષ્પો અને ફળો અર્પણ કરતા હોય છે, પરંતુ શિવપુરાણમાં બિલીપત્રને શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. શાસ્ત્રોક્ત માન્યતા છે કે ત્રણેય લોકના તમામ પુણ્ય તીર્થો બિલીના વૃક્ષના મૂળમાં બિરાજમાન છે. બિલીપત્ર વડે મહાદેવની પૂજા કરવાથી ભક્તો પર શિવજીના વિશેષ આશીર્વાદ વરસે છે અને અંતે મોક્ષનો માર્ગ પ્રશસ્ત થાય છે.

108 બિલીપત્ર અર્પણ કરવાનો મહિમા

મહાશિવરાત્રીના પવિત્ર દિવસે વહેલી સવારે સ્નાન કર્યા બાદ ભગવાન શિવનો જલાભિષેક કરવો જોઈએ. ત્યારબાદ સંપૂર્ણ શ્રદ્ધા સાથે શિવજીને 108 બિલીપત્ર અર્પણ કરવા જોઈએ. દરેક પત્ર ચઢાવતી વખતે 'ૐ નમઃ શિવાય' મંત્રનો જાપ કરવો અનિવાર્ય છે. આ ઉપાય કરવાથી સાધકના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનું આગમન થાય છે.

બિલીના વૃક્ષના મૂળ પાસે દીવો પ્રગટાવવો

શિવપુરાણ મુજબ મહાશિવરાત્રીની રાત્રે બિલીના વૃક્ષના મૂળ પાસે ઘીનો દીવો પ્રગટાવવો અત્યંત શુભ માનવામાં આવે છે. આ ઉપાયથી ભક્તને દરેક પ્રકારના લૌકિક સુખ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત આ દિવસે શિવભક્તોને બિલીના વૃક્ષની છાયામાં ભોજન કરાવવાથી કરોડો પુણ્યના ફળ સમાન ફળ પ્રાપ્ત થાય છે. ગંધ, પુષ્પ અને બિલીપત્રથી શિવજીની આરાધના કરનારને શિવલોકની પ્રાપ્તિ થાય છે તેવું મનાય છે.

ઘરમાં બિલીનું વૃક્ષ રોપવાથી થશે લક્ષ્મીજીનો વાસ

વાસ્તુ શાસ્ત્ર અને ધર્મ ગ્રંથો મુજબ ઘરમાં બિલીપત્રનો છોડ હોવો અત્યંત મંગળકારી છે. મહાશિવરાત્રીના દિવસે આ છોડ લાવીને ઘરના આંગણે કે યોગ્ય દિશામાં રોપવો જોઈએ. માન્યતા છે કે બિલીપત્રની ડાળીઓમાં લક્ષ્મીજી, પાંદડામાં માં પાર્વતી, થડમાં ભોલેનાથ અને મૂળમાં માં ગિરિજાનો વાસ હોય છે. ફળમાં કાત્યાયની અને પુષ્પોમાં માં ગૌરી બિરાજમાન હોય છે. આ છોડ ઘરની નકારાત્મકતા દૂર કરી આર્થિક સમૃદ્ધિ અને પારિવારિક શાંતિ લાવવામાં મદદરૂપ બને છે.

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now