કુરુક્ષેત્રનું મહાયુદ્ધ માત્ર સત્તા કે જમીન માટે નહીં, પરંતુ સ્વાભિમાન અને ન્યાયની સ્થાપના માટે લડાયું હતું. આ ભીષણ સંગ્રામના 16માં દિવસે એક એવી ઘટના ઘટી જેણે કૌરવોના હૃદયમાં ફાળ પાડી દીધી હતી અને પાંડવોના વર્ષો જૂના અપમાનનો બદલો પૂરો થયો હતો. આ એ દિવસ હતો જ્યારે પાંડુપુત્ર ભીમે હસ્તિનાપુરની ભરી સભામાં લીધેલી પોતાની ભયાનક પ્રતિજ્ઞા પૂર્ણ કરી હતી.
આ લોહિયાળ બદલાની પૃષ્ઠભૂમિ યુદ્ધના મેદાનમાં નહીં, પણ વર્ષો પહેલા હસ્તિનાપુરના રાજદરબારમાં રચાઈ હતી. કપટથી રમાયેલી દ્યુતક્રીડામાં જ્યારે દ્રૌપદીનું ચીરહરણ કરવાનો અધમ પ્રયાસ થયો, ત્યારે દુશાસને દ્રૌપદીને વાળથી ખેંચીને સભામાં લાવવાનું દુઃસાહસ કર્યું હતું. તે સમયે અત્યંત ક્રોધિત ભીમે ગર્જના કરી હતી કે, "હું યુદ્ધના મેદાનમાં દુશાસનની છાતી ચીરીને તેનું રક્ત પીશ અને તે જ રક્તથી દ્રૌપદી પોતાના કેશ ધોશે."
યુદ્ધનો 16મો દિવસ અને ભીમનો ક્રોધ
મહાભારતના યુદ્ધના 16માં દિવસે જ્યારે સૂર્ય આકાશમાં તપી રહ્યો હતો, ત્યારે ભીમ અને દુશાસન આમને-સામને આવ્યા હતા. ભીમ તે સમયે સાક્ષાત્ કાળ સમાન ભયાનક દેખાઈ રહ્યા હતા. પૌરાણિક ગ્રંથોના ઉલ્લેખ મુજબ, દુશાસનને જોતા જ ભીમની નજર સામે દ્રૌપદીનું તે અપમાન તાજું થઈ ગયું. બંને વચ્ચે પ્રચંડ ગદા યુદ્ધ શરૂ થયું, પરંતુ આજે ભીમના વેગને રોકવો અશક્ય હતો.
ભીમે પોતાની ગદાના એક જ પ્રહારથી દુશાસનના રથના ટુકડા કરી નાખ્યા. રથ વિહોણો થયેલ દુશાસન જમીન પર પતકાતા જ ભીમ સિંહની જેમ તેના પર તૂટી પડ્યા. ભીમે પોતાની અસીમ શક્તિનો પરિચય આપતા દુશાસનને ઉપાડીને જમીન પર પછાડ્યો અને અંતે તેની છાતી પર પોતાના ઘૂંટણ ટકાવી તેને લાચાર કરી દીધો.
ભયાનક પ્રતિજ્ઞાની પૂર્ણાહુતિ
સમગ્ર કુરુક્ષેત્રનું મેદાન સ્તબ્ધ થઈ ગયું જ્યારે ભીમે પોતાના શક્તિશાળી હાથોથી દુશાસનની છાતી ચીરી નાખી. પોતાની ભીષણ પ્રતિજ્ઞા મુજબ ભીમે દુશાસનનું લોહી પીધું અને ગર્જના કરી કે આજે અધર્મ પર ધર્મનો વિજય થયો છે. ત્યારબાદ, ભીમ દુશાસનનું રક્ત લઈને દ્રૌપદી પાસે પહોંચ્યા. દ્રૌપદીએ તે લોહીથી પોતાના વાળ ધોયા અને વર્ષો પછી પોતાના કેશની અંબોડી વાળી.
આ દ્રશ્ય એટલું રૌદ્ર અને ભયાનક હતું કે દુર્યોધન સહિત આખું કૌરવ સૈન્ય ભયથી થરથર કાંપવા લાગ્યું હતું. આ ઘટના માત્ર એક બદલો નહોતી, પરંતુ એક ચેતવણી હતી કે જે કોઈ પણ સ્ત્રીના સન્માન સાથે ખીલવાડ કરશે, તેનો અંત આવો જ કરુણ અને ભયાનક હશે.




















