કુંભ મેળાનું ખૂબ જ મહત્વ છે. ખાસ કરીને કુંભમેળામાં સ્નાન કરવાથી પાપો ધોવાઈ જતા હોવાની માન્યતા છે. સંગમ નગરી પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન સ્નાન કરવા માટે દેશ-દુનિયાના સાધુ-સંતો અને લોકો આવે છે. એમાં પણ ખાસ કરીને સાધુ-સંતો માટે અમૃત સ્નાન ખાસ હોય છે. જેમાં તમામ અખાડાના સંતો રવેડી સ્વરૂપે નિકળે છે અને સંગમમાં સ્નાન કરે છે. મહાકુંભ દુનિયાનું સૌથી મોટું ધાર્મિક આયોજન છે. જેમાં મુખ્ય 13 અખાડા તેમની શિબિર લગાવે છે અને ચોક્કસ તિથિ પર શાહી સ્નાન કરે છે.
અમૃત કે શાહી સ્નાન શું છે?
સનાતન ધર્મમાં શાહી સ્નાનનું ખૂબ જ મહત્વ છે. એટલે જ સાધુ-સંતો અને ભક્તો તેની ખૂબ જ રાહ જોતા હોય છે. આ સ્નાન પુણ્ય અને પવિત્રતા પ્રાપ્ત કરવાનો એક અવસર હોય છે. ધાર્મિક માન્યતા અનુસાર, અમૃત સ્નાનથી મોક્ષની પ્રાપ્તિ થાય છે અને મનની અશુદ્ધિઓ દૂર થાય છે. અમૃત સ્નાન કરવાથી એક હજાર અશ્વમેઘ યજ્ઞ જેટલું પુણ્ય મળે છે. અમૃત સ્નાન બાદ સાધુ-સંતો દેવતાઓનું ધ્યાન લગાવે છે અને જ્ઞાન પર ચર્ચા કરે છે.
સૌથી પહેલા નાગા સાધુઓ જ કેમ કરે છે સ્નાન?
કુંભમાં નાગા સાધુઓના સ્નાનને ધર્મ અને આધ્યાત્મિક ઊર્જાનું કેન્દ્ર માનવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે, જ્યારે આદિ શંકરાચાર્યએ ધર્મની રક્ષા માટે નાગા સાધુઓનું એક જૂથ તૈયાર કર્યું ત્યારે અન્ય સંતો આગળ આવ્યા અને ધર્મની રક્ષા કરી રહેલા નાગા સાધુઓને પહેલા સ્નાન કરવા આમંત્રણ આપ્યું. નાગા સાધુઓને ભોલે બાબાના ઉપાસક અને અનુયાયી માનવામાં આવે છે. તેથી, તેમને સ્નાન કરવાની પ્રથમ તક આપવામાં આવે છે અને આ પરંપરા આજે પણ અનુસરવામાં આવે છે.





















