Home Gujarat Koli Samaj Two National Conventions Delhi Political Row

હું મોટો કે તું મોટો એ સાબિત કરવા એક સમાજના બે અધિવેશન : કોળી સમાજમાં કોલ્ડ વોર! કુંવરજી બાવળિયા અને હીરા સોલંકી વચ્ચે વર્ચસ્વની લડાઇ

કોળી સમાજમાં કોલ્ડ વોર
Published by: Bhadreshkumar Mistry
Last Updated: Jun 09, 2026, 07:16 AM IST

Koli Samaj Rashtriya Adhivation: આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ 2027માં યોજનાર છે. આ ચૂંટણીમાં પોતાનો દબદબો દેખાડવા દરેક સમાજના આગેવાનો અત્યારથી તૈયારીઓ કરી રહ્યાં છે. એવામાં ગુજરાતમાં મોટું સંખ્યાબળ ધરાવતો કોળી સમાજ પણ આ સ્પર્ધામાંથી બાકાત કઇ રીતે રહી શકે. કોળી સમાજના ભાજપના જ બે દિગ્ગજ નેતાઓ વચ્ચે વર્ચસ્વની લડાઈનો કકળાટ હવે ખુલીને સામે આવી ગયો છે.

કારણકે, એક સમાજના બે નેતાઓ એક જ સપ્તાહના અંતરમાં એ જ જગ્યાએ સમાજના બે અલગ અલગ અધિવેશનોનું આયોજન કરીને સમાજને ત્યાં આવવવા આહવાન કર્યું છે. આને શક્તિપ્રદર્શન કહેવું કે, વર્ચસ્વની લડાઇ, તેના મૂળમાં તો રાજકારણ જ છે. કુંવરજી બાવળિયા હાલ ગુજરાત સરકારમાં મંત્રી છે, હીરા સોલંકી પણ ભાજપમાંથી ધારાસભ્ય છે. તેથી એ જ પક્ષ અને એક જ સમાજના આ બે આગેવાનો વચ્ચેની વર્ચસ્વની લડાઇ આગામી 2027ની વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપને ભારે પડી શકે છે.

એક જ સમાજના બે અલગ-અલગ રાષ્ટ્રીય અધિવેશનોની જાહેરાત બાદ કોળી સમાજમાં જૂથવાદની ચર્ચા તેજ બની છે. જ્યારે આંતરિક જૂથવાદ, રાજકીય અને સામાજિક વર્ચસ્વની લડાઇ પણ હવે સપાટી પર આવી ગઇ છે. દિલ્હીમાં આગામી દિવસોમાં યોજાનારા કોળી સમાજના બે અલગ-અલગ રાષ્ટ્રીય અધિવેશનોને લઈને સમાજ અને રાજકીય વર્તુળોમાં ચર્ચાઓનો માહોલ ગરમાયો છે. એક તરફ ગુજરાત સરકારના મંત્રી અને કોળી સમાજના પ્રભાવશાળી આગેવાન કુંવરજી બાવળિયાએ 14 જૂનના રોજ રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન જાહેર કર્યું છે.

તો બીજી તરફ સંગઠનના પ્રમુખ વિરેન્દ્ર કશ્યપ અને ભાજપના ધારાસભ્ય હીરા સોલંકીના સમર્થન સાથે 21 જૂનના રોજ અલગ રાષ્ટ્રીય અધિવેશન યોજાવાનું જાહેર થયું છે. એક જ સમાજના નામે દિલ્હીમાં માત્ર એક સપ્તાહના અંતરે યોજાતા બે કાર્યક્રમોએ સમાજમાં નેતૃત્વના પ્રશ્નને કેન્દ્રસ્થાને લાવી દીધો છે. કોળી સમાજ દેશના અનેક રાજ્યોમાં પ્રભાવ ધરાવતો સમાજ માનવામાં આવે છે. ખાસ કરીને ગુજરાત, મહારાષ્ટ્ર અને ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં તેની નોંધપાત્ર સંખ્યા અને રાજકીય અસર છે. આવા સમયમાં બે અલગ મંચો પરથી સમાજને એકત્ર થવા માટે અપીલ કરવામાં આવતાં સમાજની અંદર રહેલા મતભેદો જાહેર ચર્ચાનો વિષય બન્યા છે.

નેતૃત્વના પ્રશ્ને વધી રહેલી ખેંચતાણ

આ સમગ્ર વિવાદનું કેન્દ્રબિંદુ કોળી સમાજના રાષ્ટ્રીય સ્તરના નેતૃત્વને લઈને ઉભો થયેલો મતભેદ હોવાનું માનવામાં આવે છે. લાંબા સમયથી રાષ્ટ્રીય અધ્યક્ષપદ અને સંગઠનની દિશા અંગે વિવિધ જૂથોમાં મતભેદ હોવાની ચર્ચા ચાલતી હતી. હવે બે અલગ-અલગ અધિવેશનોની જાહેરાત બાદ આ મતભેદો વધુ સ્પષ્ટ રીતે બહાર આવ્યા છે. કુંવરજી બાવળિયાએ પોતાના સંમેલન માટે મહારાષ્ટ્ર સહિત દેશભરના કોળી સમાજના લોકોને મોટી સંખ્યામાં હાજરી આપવા અપીલ કરી છે. તેમણે એવો આક્ષેપ પણ કર્યો છે કે 21 જૂનનું અધિવેશન રાજકીય લાભ મેળવવાના હેતુથી બોલાવવામાં આવ્યું છે. આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે બંને પક્ષો વચ્ચે માત્ર સંગઠનાત્મક મતભેદ જ નહીં, પરંતુ રાજકીય પ્રભાવ અને સમાજમાં વર્ચસ્વ સ્થાપિત કરવાની સ્પર્ધા પણ ચાલી રહી છે. બીજી તરફ હીરા સોલંકી અને વિરેન્દ્ર કશ્યપના સમર્થકોનું માનવું છે કે સંગઠનની માન્ય રચના અને નેતૃત્વ અંગે તેમની પાસે અલગ દૃષ્ટિકોણ છે. જોકે જાહેરમાં બંને પક્ષો દ્વારા રજૂ થતી દલીલો પાછળ નેતૃત્વની દાવેદારીનો મુદ્દો મુખ્ય હોવાનું રાજકીય વિશ્લેષકો માને છે.

સમાજના મુદ્દાઓથી ધ્યાન ભટકવાનો ભય

સમાજના ઘણા કાર્યકરો અને આગેવાનો આ સમગ્ર ઘટનાક્રમને ચિંતાજનક ગણાવી રહ્યા છે. સમાજ સાથે જોડાયેલા પ્રવીણભાઈ કોળીએ મીડિયા સાથેની વાતચીતમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે હાલમાં સમાજના વિકાસ, શિક્ષણ, રોજગાર અને યુવાનોના પ્રશ્નો કરતાં અધિવેશનોની સ્પર્ધા વધુ ચર્ચાઈ રહી છે. તેમના મતે સમાજના આગેવાનો વચ્ચે "હું મોટો કે તું મોટો" જેવી માનસિકતા દેખાઈ રહી છે, જે સમાજના હિત માટે યોગ્ય નથી. તેમણે એ પણ પ્રશ્ન ઉઠાવ્યો કે જો ખરેખર સમાજના વિકાસની ચિંતા હોય તો બંને પક્ષોએ સાથે બેસીને સંયુક્ત બેઠક યોજવી જોઈએ. તેમના નિવેદનમાંથી સમાજના એક વર્ગમાં રહેલી અસંતોષની લાગણી સ્પષ્ટપણે દેખાય છે. ઘણા લોકોનું માનવું છે કે આંતરિક વિવાદોને જાહેર મંચ સુધી લઈ જવાથી સમાજની એકતા પર અસર પડી શકે છે. સાથે જ યુવા અને મહિલા પ્રતિનિધિત્વ જેવા મુદ્દાઓ પણ ચર્ચામાં આવ્યા છે. સમાજના કેટલાક સભ્યોનો આક્ષેપ છે કે સંગઠનની અંદર નવા વર્ગોને પૂરતું સ્થાન આપવામાં આવતું નથી, જેના કારણે જૂના નેતૃત્વ અને નવી પેઢી વચ્ચે અંતર વધી રહ્યું છે.

ભાજપ માટે પણ બની શકે પડકાર

આ સમગ્ર ઘટનાક્રમ માત્ર સામાજિક સંગઠનનો મુદ્દો નથી, પરંતુ તેમાં રાજકીય પરિબળો પણ જોડાયેલા છે. કારણ કે બંને મુખ્ય ચહેરાઓ ભાજપ સાથે જોડાયેલા છે, આ વિવાદને ભાજપની આંતરિક શક્તિ-સમીકરણોની દ્રષ્ટિએ પણ જોવામાં આવી રહ્યો છે. કોળી સમાજ ગુજરાતમાં રાજકીય રીતે મહત્વનો મતદાતા વર્ગ માનવામાં આવે છે અને વિવિધ પક્ષો માટે તેનું સમર્થન નિર્ણાયક બની શકે છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે જો આ પ્રકારના મતભેદો લાંબા સમય સુધી ચાલશે તો તેની અસર આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી સુધી પહોંચી શકે છે. ખાસ કરીને ત્યારે, જ્યારે સમાજના મોટાભાગના સક્રિય આગેવાનો કોઈને કોઈ રીતે ભાજપ સાથે સંકળાયેલા હોવાનું કહેવાય છે.

સમાજના કેટલાક વરિષ્ઠ સભ્યોનું માનવું છે કે વર્તમાન પરિસ્થિતિમાં વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષા કરતાં સમાજના સામૂહિક હિતને પ્રાથમિકતા આપવાની જરૂર છે. કારણ કે સમાજની અંદર ઊભી થતી ફાટ માત્ર સંગઠનને નહીં પરંતુ તેની રાજકીય અસરકારકતાને પણ નબળી પાડી શકે છે. હાલ બંને અધિવેશનોની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે અને બંને પક્ષો વધુમાં વધુ લોકોની હાજરી નોંધાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. આગામી દિવસોમાં કયા અધિવેશનમાં કેટલો પ્રતિસાદ મળે છે તે પણ મહત્વનું બનશે. કારણ કે આ કાર્યક્રમો હવે માત્ર સામાજિક બેઠક નહીં પરંતુ શક્તિપ્રદર્શનના મંચ તરીકે જોવામાં આવી રહ્યા છે.

પરંતુ મોટો પ્રશ્ન એ છે કે શું આ સ્પર્ધા અંતે સમાજના હિતમાં પરિવર્તિત થશે કે પછી નેતૃત્વની લડાઈ વધુ ઊંડી બનશે? સમાજના અનેક સભ્યો આશા રાખી રહ્યા છે કે બંને પક્ષો અંતે સંવાદનો માર્ગ અપનાવશે અને સંગઠનની એકતા જાળવવા માટે સહમતિનો રસ્તો શોધશે. કારણ કે કોઈપણ સમાજની તાકાત તેની સંખ્યા કરતાં વધુ તેની એકતામાં રહેલી હોય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now