દેશભરમાં આજે 77મા પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ઉત્તર પ્રદેશના વારાણસીમાં સ્થિત સુપ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તિ અને રાષ્ટ્રપ્રેમનું અદભૂત દ્રશ્ય જોવા મળ્યું હતું. 26 Januaryના ખાસ અવસરે બાબા વિશ્વનાથના શિવલિંગને રાષ્ટ્રધ્વજના ત્રિરંગા રંગોના ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યું હતું.
મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત શિવલિંગ પર કેસરી, સફેદ અને લીલા રંગના સુગંધિત પુષ્પોનો ઉપયોગ કરીને આકર્ષક શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. આ મનોહર દ્રશ્ય નિહાળવા માટે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી પડી હતી. કાશીની પરંપરા મુજબ દરેક રાષ્ટ્રીય તહેવારની ઉજવણી ધાર્મિક આસ્થા સાથે કરવામાં આવે છે અને આ વખતે પણ વિશ્વનાથ ધામ રાષ્ટ્રભક્તિના રંગમાં રંગાયેલું જોવા મળ્યું હતું.
મંદિર પ્રશાસન અને પૂજારીઓ દ્વારા વિશેષ આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કેસરી ગલગોટા, સફેદ પુષ્પો અને બિલ્વપત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલી આ ઝાંખીએ શ્રદ્ધાળુઓમાં દેશપ્રેમની નવી ઉર્જા ભરી દીધી હતી. પ્રજાસત્તાક દિવસ નિમિત્તે કરવામાં આવેલો આ વિશિષ્ટ શ્રૃંગાર સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. કાશીની જનતા અને દેશભરમાંથી આવેલા પ્રવાસીઓએ ભગવાનના આ રાષ્ટ્રીય સ્વરૂપના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.





















