સ્નાન-દાનનો મહાપર્વ: જ્યેષ્ઠ પૂર્ણિમા પર બનશે વિશેષ સંયોગ
હિન્દુ ધર્મમાં પૂર્ણિમા તિથિનું ખૂબ જ ધાર્મિક મહત્વ છે, તેમાં પણ જ્યેષ્ઠ મહિનાની પૂર્ણિમા અત્યંત પવિત્ર માનવામાં આવે છે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન, દાન અને ભગવાન વિષ્ણુ સહતિ લક્ષ્મીજીની પૂજા કરવાનું વિશેષ વિધાન છે. આ વર્ષે એટલે કે 2026 માં જ્યેષ્ઠ પૂર્ણિમા પર કેટલાક દુર્લભ અને શુભ સંયોગો બની રહ્યા છે, જેના કારણે આ દિવસનું મહત્વ અનેકગણું વધી ગયું છે.
માન્યતા અનુસાર, આ દિવસે વ્રત રાખવાથી અને સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે તેમજ તમામ નકારાત્મક ઊર્જા દૂર થાય છે.
જ્યેષ્ઠ પૂર્ણિમા 2026: સાચી તારીખ અને શુભ મુહૂર્ત
પંચાંગની ગણતરી મુજબ, આ વર્ષે જ્યેષ્ઠ મહિનાની પૂર્ણિમા તિથિની શરૂઆત અને સમાપ્તિનો સમય નીચે મુજબ રહેશે:
પૂર્ણિમા તિથિ પ્રારંભ: 30 મે 2026 ના રોજ બપોરે 11:43 વાગ્યાથી
પૂર્ણિમા તિથિ સમાપ્ત: 31 મે 2026 ના રોજ સવારે 09:35 વાગ્યા સુધી
ઉદયાતિથિની માન્યતા અનુસાર, જ્યેષ્ઠ પૂર્ણિમાનું વ્રત, સ્નાન અને દાન 31 મે 2026, રવિવારના દિવસે જ કરવામાં આવશે. આ દિવસે સૂર્યોદયથી જ પવિત્ર સ્નાનનો શુભ સમય શરૂ થઈ જશે.
પૂજાની સરળ અને સાચી વિધિ
જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે અક્ષય પુણ્ય મેળવવા માટે આ વિધિ અનુસાર પૂજા કરવી જોઈએ:
બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન: સવારે વહેલા ઊઠીને પવિત્ર નદીમાં સ્નાન કરવું. જો નદીએ જવું શક્ય ન હોય તો ઘરમાં જ નહાવાના પાણીમાં ગંગાજળ ઉમેરીને સ્નાન કરી શકાય.
સંકલ્પ અને પૂજા: સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી વ્રતનો સંકલ્પ લેવો. ઘરના મંદિરમાં દીવો પ્રગટાવી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો જલાભિષેક કરવો.
ભોગ અને આરતી: ભગવાનને પીળા ફૂલ, તુલસીદલ, ફળ અને મીઠાઈ અર્પણ કરવી. ત્યારબાદ ભગવાન સત્યનારાયણની કથા વાંચવી અથવા સાંભળવી અને છેલ્લે આરતી કરવી.
ચંદ્ર પૂજા: પૂર્ણિમાની રાત્રે ચંદ્રદેવને દૂધ અને જળનો અર્ઘ્ય આપવો અનિવાર્ય માનવામાં આવે છે, તેનાથી માનસિક તણાવ દૂર થાય છે અને કુંડળીમાં ચંદ્ર મજબૂત બને છે.
આ દિવસે દાન કરવાનું મહત્વ
જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે ગરીબો અને જરૂરિયાતમંદોને દાન આપવાનું વિશેષ મહત્વ છે. ઉનાળાની ઋતુ હોવાને કારણે આ દિવસે પાણી ભરેલો ઘડો (કળશ), છત્રી, પગરખાં, સુતરાઉ વસ્ત્રો અને અનાજનું દાન કરવું અત્યંત શુભ અને ફળદાયી માનવામાં આવે છે. આમ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને જીવનના તમામ કષ્ટોમાંથી મુક્તિ મળે છે.





