સૌરાષ્ટ્રના મિની કુંભ મેળા તરીકે ઓળખાતા ભવનાથના મહાશિવરાત્રિ મેળામાં આ વર્ષે ભક્તિના બદલે વિવાદનો સૂર સંભળાયો છે. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલે પ્રતિબંધિત ગણાતા મૃગી કુંડમાં ડૂબકી લગાવતા અને ત્યારબાદ ફરજ પરના મહિલા પોલીસ અધિકારી સાથે જીભાજોડી કરતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. પોલીસે સરકારી કામગીરીમાં અવરોધ પેદા કરવા અને ધમકી આપવા બદલ કીર્તિ પટેલ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસના ચક્ર ગતિમાન કર્યા છે.
પરંપરાનો ભંગ અને પોલીસ સાથે ઘર્ષણ
મહાશિવરાત્રિની મધ્યરાત્રિએ જ્યારે સાધુ સંતોની શાહી રવાડી નીકળી હતી ત્યારે મૃગી કુંડમાં માત્ર સંતો માટે જ સ્નાનની વ્યવસ્થા હોય છે. આ સમયે કીર્તિ પટેલ કુંડમાં સ્નાન કરતી ઝડપાતા મહિલા પીઆઈ કે.જે. મોડે તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે શાંતિ જાળવવાના બદલે કીર્તિ પટેલે પોલીસ અધિકારી સામે આંગળી ચીંધીને ઉગ્ર વર્તન કર્યું હતું. તેણે જાહેર જનતા વચ્ચે પોલીસને ધમકાવતા કહ્યું હતું કે તે કોઈ ગુનેગાર નથી અને તેની પાછળ ન ફરવું. આ દરમિયાન તેણે પોલીસકર્મીઓ માટે પણ અશોભનીય શબ્દો વાપર્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
સાધુ સંતો પર આક્ષેપોનો મારો
આ ઘટના બાદ કીર્તિ પટેલે સોશિયલ મીડિયા પર અનેક વિવાદાસ્પદ પોસ્ટ કરી છે. તેણે ખાસ કરીને ગિરનાર મંડળના અધ્યક્ષ મહંત ઇન્દ્રભારતી બાપુ પર નિશાન સાધ્યું છે. કીર્તિનો દાવો છે કે તેને કુંડમાંથી બહાર કઢાવવા પાછળ ઇન્દ્રભારતી બાપુનો હાથ હતો. તેણે બાપુના રહસ્યો અને પુરાવાઓ સોશિયલ મીડિયા લાઈવ દ્વારા જાહેર કરવાની ચીમકી આપી છે. કીર્તિએ એવો સવાલ પણ ઉઠાવ્યો છે કે જ્યારે અન્ય યુવતીઓ ત્યાં સ્નાન કરતી હતી ત્યારે માત્ર તેને જ કેમ ટાર્ગેટ કરવામાં આવી રહી છે.
પોલીસે નોંધી કડક કલમો
જૂનાગઢ એસપી સુબોધ ઓડેદરાએ આ ગંભીર ગેરવર્તણૂક મામલે તટસ્થ તપાસનો આદેશ આપ્યો છે. ભવનાથ પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 221, 351(3) અને 352 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મેળામાં બંદોબસ્તમાં રોકાયેલા પોલીસ કર્મચારીઓ અને પ્રત્યક્ષદર્શી સાધુ સંતોને સાક્ષી તરીકે લેવામાં આવ્યા છે.
સંત સમાજમાં આક્રોશ
ગિરનારની વર્ષો જૂની પરંપરા અને મર્યાદાનો ભંગ થતા અખાડાઓના સંતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આ મામલે રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત ઇન્દ્રભારતી બાપુ સામે કરેલા પર્સનલ એટેકને સંતો વખોડી રહ્યા છે. બીજી તરફ હરિહરાનંદ બાપુની તબિયત નાદુરસ્ત હોવાથી તેઓ આ વિવાદ પર કોઈ ટિપ્પણી કરી શક્યા નથી. હવે જોવાનું એ રહેશે કે કીર્તિ પટેલ જે ખુલાસા કરવાની વાત કરી રહી છે તેનાથી તપાસમાં શું નવો વળાંક આવે છે.




















