IndiGo Manchester Flights Suspension: દેશની અગ્રણી એરલાઇન ઇન્ડિગોએ આંતરરાષ્ટ્રીય રૂટ પર પોતાની કામગીરીમાં મોટો ફેરફાર કરવાની જાહેરાત કરી છે. કંપનીએ સત્તાવાર રીતે જણાવ્યું છે કે, આગામી 31 ઓગસ્ટ, 2026 થી ભારત અને બ્રિટનના માન્ચેસ્ટર વચ્ચેની સીધી ફ્લાઇટ સેવાઓ અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવશે. માત્ર એક વર્ષ પહેલાં જુલાઈ ૨૦૨૫ માં શરૂ કરવામાં આવેલી આ સેવાને પડકારોના કારણે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેનાથી ભારત અને માન્ચેસ્ટર વચ્ચે મુસાફરી કરતા પ્રવાસીઓને મોટો ફટકો પડ્યો છે.
આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય સ્તરે ઉદભવેલા પડકારો છે. વૈશ્વિક ભૌગોલિક-રાજકીય તણાવ, વધતા ઇંધણના ભાવ અને એરસ્પેસ પરના પ્રતિબંધોને કારણે એરલાઇન માટે આ રૂટ પરનું સંચાલન ખૂબ જ ખર્ચાળ સાબિત થઈ રહ્યું છે. ઇન્ડિગો હાલમાં દિલ્હી અને મુંબઈથી માન્ચેસ્ટર માટે સાપ્તાહિક ફ્લાઇટ્સનું સંચાલન કરી રહી છે, જે હવે બંધ થતાં પ્રવાસીઓએ અન્ય વિકલ્પો શોધવા પડશે.
શા માટે લેવો પડ્યો આ નિર્ણય?
ઇન્ડિગો દ્વારા આપવામાં આવેલી સ્પષ્ટતા મુજબ, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે અનેક હવાઈ ક્ષેત્ર (એરસ્પેસ) પર પ્રતિબંધો છે. આ પ્રતિબંધોને કારણે ફ્લાઇટનો સમયગાળો વધી ગયો છે, જે સીધી રીતે સંચાલન ખર્ચમાં વધારો કરે છે. આ ઉપરાંત એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) ના વધતા ભાવ અને ચલણના દરોમાં થતી વધઘટ કંપનીની નાણાકીય સ્થિતિ પર દબાણ વધારી રહ્યા છે. આ પરિસ્થિતિમાં આ રૂટ આર્થિક રીતે સધ્ધર ન રહેતા કંપનીએ તેને કામચલાઉ ધોરણે બંધ કરવાનો નિર્ણય લીધો છે.
મુસાફરો પર પડશે મોટી અસર
માન્ચેસ્ટર માટે નોન-સ્ટોપ ફ્લાઇટ સેવા બંધ થતાં, મુસાફરોને હવે કનેક્ટિંગ ફ્લાઇટ્સ પર નિર્ભર રહેવું પડશે. આનાથી માત્ર મુસાફરીનો સમય જ નહીં, પરંતુ ખર્ચમાં પણ નોંધપાત્ર વધારો થશે. ઇન્ડિગોએ આશા વ્યક્ત કરી છે કે ભવિષ્યમાં જ્યારે પરિસ્થિતિ સામાન્ય થશે અને સંચાલન ખર્ચ ઘટશે, ત્યારે તેઓ ફરીથી આ રૂટ પર સેવા શરૂ કરવાનું વિચારી શકે છે.
સ્થાનિક ઉડાનોમાં પણ કાપની શક્યતા
ઇન્ડિગો માત્ર આંતરરાષ્ટ્રીય જ નહીં, પરંતુ તેના સ્થાનિક નેટવર્કમાં પણ ફેરફાર કરી રહી છે. અહેવાલો અનુસાર, ઇંધણના ઊંચા ખર્ચ અને મુસાફરીની માંગમાં થતા ફેરફારોને ધ્યાનમાં રાખીને કંપની તેના સ્થાનિક ફ્લાઇટ શેડ્યૂલમાં પણ 12 થી 15 ટકા સુધીનો ઘટાડો કરવાની તૈયારી કરી રહી છે.





