Indian Stock Market: અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર તણાવ વધતાં વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતાનું વાતાવરણ સર્જાયું છે. સામાન્ય રીતે યુદ્ધ કે ભૂરાજકીય સંકટ વધે ત્યારે શેરબજારોમાં વેચવાલીનું દબાણ જોવા મળે છે, પરંતુ આ વખતે ભારતીય શેરબજારે અલગ જ ચિત્ર રજૂ કર્યું છે. ગુરુવારે બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં મજબૂત તેજી જોવા મળી, જેના કારણે રોકાણકારોમાં ફરી વિશ્વાસનો માહોલ બન્યો છે. બુધવારે અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ સમાપ્ત થવાના સંકેતો બાદ વિશ્વના અનેક શેરબજારોમાં ઘટાડો નોંધાયો હતો. અમેરિકન બજારો પર પણ તેની અસર જોવા મળી હતી. જોકે બીજા જ દિવસે ભારતીય શેરબજારે આ તમામ આશંકાઓને પાછળ છોડી જોરદાર કમબેક કર્યું. બજારના આ વલણ પાછળ માત્ર સ્થાનિક નહીં પરંતુ વૈશ્વિક પરિબળો પણ જવાબદાર હોવાનું બજાર નિષ્ણાતો માની રહ્યા છે.
સેન્સેક્સ-નિફ્ટીમાં મજબૂત શરૂઆત
ગુરુવારના કારોબારની શરૂઆતમાં સેન્સેક્સમાં 300થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે નિફ્ટી પણ 100થી વધુ પોઈન્ટ મજબૂત બન્યો હતો. એક તબક્કે સેન્સેક્સ ફરી 77,000ની સપાટીને પાર કરવામાં સફળ રહ્યો હતો. બજારમાં ખાસ કરીને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, રિયલ્ટી, બેન્કિંગ અને ફાર્મા સેક્ટરમાં ખરીદીનું જોર જોવા મળ્યું હતું. આ તેજીએ બજારનું સેન્ટિમેન્ટ સકારાત્મક બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
યુદ્ધના માહોલમાં પણ બજાર કેમ મજબૂત રહ્યું?
સામાન્ય રીતે ભૂરાજકીય તણાવ વધે ત્યારે રોકાણકારો જોખમવાળી સંપત્તિમાંથી નાણાં ઉપાડી સુરક્ષિત રોકાણ તરફ વળે છે. પરંતુ આ વખતે ભારતીય બજારમાં નીચલા સ્તરે થયેલી ખરીદી અને વિદેશી રોકાણકારોના સતત રોકાણને કારણે બજારને મજબૂત આધાર મળ્યો છે. બજાર નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, છેલ્લા ઘણા દિવસોથી વિદેશી સંસ્થાગત રોકાણકારો (FII) સતત ભારતીય બજારમાં ખરીદી કરી રહ્યા છે. જેના કારણે બજારમાં વેચવાલીનું દબાણ ઓછું રહ્યું અને તેજી જોવા મળી.
આ પણ વાંચો: શેરબજારમાં જોરદાર કમબેક : નિફ્ટી ફરી 24,000ની પાર; સેન્સેક્સમાં 500+ પોઈન્ટની છલાંગ; આ શેરોએ મચાવી ધૂમ
વિદેશી રોકાણકારોનો વિશ્વાસ યથાવત
તાજેતરના કારોબારમાં વિદેશી સંસ્થાગત રોકાણકારોએ હજારો કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. તેની સાથે સ્થાનિક સંસ્થાગત રોકાણકારો (DII) પણ ખરીદી કરતા રહ્યા છે. વિશ્લેષકોનું માનવું છે કે, સતત વિદેશી ફંડ ફ્લો ભારતીય બજાર માટે સૌથી મોટો સકારાત્મક પરિબળ બની રહ્યો છે. જ્યારે સ્થાનિક રોકાણકારો પણ બજારના નીચલા સ્તરે ખરીદી કરીને તેજીને વધુ મજબૂત બનાવી રહ્યા છે.
કાચા તેલની કિંમત હજુ ચિંતાજનક નથી
બજાર નિષ્ણાતોનું કહેવું છે કે અમેરિકા-ઈરાન તણાવ હોવા છતાં હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમતો હજુ એવી સપાટીએ નથી પહોંચી કે ભારત માટે મોટી આર્થિક સમસ્યા ઊભી થાય. નિષ્ણાતોના મતે, જો હોર્મુઝ જળમાર્ગમાં અવરોધ સર્જાય અને તેના કારણે કાચા તેલની કિંમત પ્રતિ બેરલ 100 ડોલરથી ઉપર પહોંચી જાય, ત્યારે જ વૈશ્વિક બજારો પર ગંભીર અસર પડી શકે છે. હાલના વાયદા બજારના સંકેતો એવી કોઈ સ્થિતિ દર્શાવતા નથી.
IMF અને UNના સકારાત્મક અહેવાલથી મળ્યો ટેકો
ભારતીય અર્થતંત્ર અંગે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનો સકારાત્મક અભિગમ પણ શેરબજાર માટે ઉત્સાહજનક સાબિત થયો છે. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF)એ ભારતને વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા તરીકેનો અંદાજ યથાવત રાખ્યો છે. બીજી તરફ સંયુક્ત રાષ્ટ્ર (UN)ના અહેવાલમાં પણ ભારતીય અર્થતંત્રને અન્ય ઘણા દેશોની સરખામણીએ વધુ મજબૂત ગણાવવામાં આવ્યું છે. આ અહેવાલોના કારણે લાંબા ગાળાના રોકાણકારોમાં વિશ્વાસ વધ્યો હોવાનું બજાર નિષ્ણાતોનું માનવું છે.
બ્લૂ-ચિપ શેરોમાં ખરીદીથી બજારને મળ્યો ટેકો
ગુરુવારના કારોબારમાં અનેક બ્લૂ-ચિપ કંપનીઓના શેરોમાં મજબૂત ખરીદી જોવા મળી હતી. ખાસ કરીને ફાર્મા, બેન્કિંગ, ટેલિકોમ અને કન્ઝ્યુમર સેક્ટરના મોટા શેરોએ બજારને ઊંચે લઈ જવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. સન ફાર્મા, ભારતી એરટેલ, ટાઇટન, એચડીએફસી બેન્ક, એક્સિસ બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, અલ્ટ્રાટેક સિમેન્ટ, એશિયન પેઇન્ટ્સ, એલએન્ડટી અને અન્ય અનેક દિગ્ગજ કંપનીઓના શેરોમાં તેજી જોવા મળી હતી.
આગળ બજાર પર શું રહેશે નજર?
બજાર નિષ્ણાતોના મતે આગામી દિવસોમાં અમેરિકા-ઈરાન વચ્ચેના તણાવ, કાચા તેલની કિંમતો, વિદેશી રોકાણકારોની ખરીદી અને કંપનીઓના ત્રિમાસિક પરિણામો ભારતીય શેરબજારની દિશા નક્કી કરશે. જો વૈશ્વિક પરિસ્થિતિ વધુ ખરાબ નહીં બને અને વિદેશી રોકાણ યથાવત રહેશે તો ભારતીય શેરબજારમાં તેજીનો ટ્રેન્ડ આગળ પણ ચાલુ રહી શકે છે. જોકે રોકાણકારોને વૈશ્વિક ભૂરાજકીય ઘટનાઓ અને કાચા તેલના ભાવ પર સતત નજર રાખવાની સલાહ આપવામાં આવી રહી છે.





