ભારતમાં ટ્રેન મુસાફરી માટે ટિકિટ લેવી અનિવાર્ય છે, પરંતુ શું તમે જાણો છો કે આપણા જ દેશમાં એક એવી ટ્રેન પણ છે જેમાં છેલ્લા 75 વર્ષથી મુસાફરો મફતમાં મુસાફરી કરી રહ્યા છે? આ કોઈ ટેકનિકલ ખામી કે અસ્થાયી સ્કીમ નથી, પરંતુ તંત્ર દ્વારા લેવામાં આવેલો એક સમજી-વિચારીને કરાયેલો નિર્ણય છે. આ ટ્રેનમાં સફર કરનારા લોકોએ આજ દિન સુધી ક્યારેય ટિકિટ માટે એક પણ રૂપિયો ખર્ચ્યો નથી.
1948માં થઈ હતી શરૂઆત
આ વિનામૂલ્યે ટ્રેન સેવાની શરૂઆત વર્ષ 1948માં કરવામાં આવી હતી. તે સમયે આઝાદ ભારત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું હતું અને આ રેલવે લાઈન ખાસ કરીને ભાખડા નાંગલ ડેમના નિર્માણ કાર્યમાં મદદરૂપ થવા માટે બિછાવવામાં આવી હતી. શરૂઆતમાં આ ટ્રેનનો ઉપયોગ ડેમ સાઈટ પર કામ કરતા શ્રમિકો, એન્જિનિયરો અને ભારે મશીનરીને લાવવા-લઈ જવા માટે કરવામાં આવતો હતો. જ્યારે ડેમનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું, ત્યારે આ ટ્રેન સ્થાનિકો માટે એક જીવનરેખા બની ચૂકી હતી.
બીબીએમબી સંભાળે છે તમામ ખર્ચ
ડેમનું કામ પૂરું થયા બાદ ભાખડા બિયાસ મેનેજમેન્ટ બોર્ડ (BBMB) એ આ ટ્રેન સેવાને યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય રેલવેની અન્ય ટ્રેનોથી વિપરીત, આ ટ્રેનને ટિકિટની આવકમાંથી નહીં પરંતુ BBMBના ફંડમાંથી ચલાવવામાં આવે છે. બોર્ડ આ સેવાને કમાણીના સાધન તરીકે નહીં, પરંતુ રસ્તા કે નહેર જેવી એક જાહેર ઉપયોગિતા (Public Utility) તરીકે જુએ છે.
પર્યટન અને સ્થાનિકો માટે વરદાન
આ ફ્રી ટ્રેન ચલાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય ભાખડા ડેમની આસપાસ પર્યટનને પ્રોત્સાહન આપવાનો છે. મેનેજમેન્ટ ઈચ્છે છે કે દેશભરમાંથી લોકો કોઈ પણ આર્થિક બોજ વગર આ ઐતિહાસિક ડેમની મુલાકાત લઈ શકે. આ ઉપરાંત, સ્થાનિક ગ્રામીણ રહેવાસીઓ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને BBMBના કર્મચારીઓ માટે આ ટ્રેન પરિવહનનું મુખ્ય માધ્યમ છે. ખાસ કરીને નાંગલ અને ભાખડા વચ્ચે મુસાફરી કરતા લોકો માટે આ ટ્રેન આશીર્વાદ સમાન છે.
લાકડાના કોચ અને ડીઝલ એન્જિનની સફર
લગભગ 13 કિલોમીટરનું અંતર કાપતી આ ટ્રેન આજે પણ તેની જૂની શૈલી જાળવી રાખવા માટે જાણીતી છે. આ ટ્રેન હજુ પણ ડીઝલ એન્જિન દ્વારા ચલાવવામાં આવે છે અને તેમાં લાકડાના બનેલા પરંપરાગત કોચનો ઉપયોગ કરવામાં આવે છે. મુસાફરોને આ ટ્રેનમાં સફર કરતી વખતે જૂના જમાનાની રેલવેનો અનુભવ થાય છે.





















