વર્ષ 2026માં રંગોનો ઉત્સવ હોળી 4 માર્ચના રોજ મનાવવામાં આવશે. ભારતીય સંસ્કૃતિમાં હોળી માત્ર રંગો રમવાનો જ તહેવાર નથી, પરંતુ તે જીવનમાંથી નકારાત્મકતા દૂર કરી નવી આશાઓના સંચારનો પર્વ પણ છે. હોળીની તૈયારીઓમાં સૌથી મહત્વનો ભાગ ઘરની સાફ-સફાઈનો હોય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, જો ઘરમાં અશુભ કે નકામી વસ્તુઓ પડી હોય, તો તે સકારાત્મક ઉર્જાના પ્રવાહને રોકે છે અને આર્થિક તંગીનું કારણ બને છે. જો તમે ઈચ્છો છો કે, આ હોળી પર તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે, તો હોલિકા દહન પહેલા વાસ્તુ મુજબ ઘરને શુદ્ધ કરવું અત્યંત જરૂરી છે. આજે આપણે જાણીશું કે, ઘરની સફાઈ દરમિયાન એવી કઈ વસ્તુઓ છે, જેને તાત્કાલિક બહાર કરી દેવી જોઈએ.
બંધ પડેલી ઘડિયાળો: પ્રગતિમાં અવરોધનું પ્રતીક
વાસ્તુશાસ્ત્રમાં ઘડિયાળને પ્રગતિ અને સમયનું પ્રતીક માનવામાં આવે છે. દીવાલ પર લટકતી બંધ ઘડિયાળ 'થંભી ગયેલા સમય'નું સૂચક છે, જે તમારા ભાગ્ય અને સફળતાને રોકી શકે છે. બંધ ઘડિયાળને કારણે ઘરના સભ્યોમાં આળસ વધે છે અને હાથમાં આવેલી સારી તકો જતી રહે છે. જો ઘડિયાળ રીપેર થઈ શકે તેમ હોય તો સેલ બદલો, નહીંતર તેને તરત જ ઘરમાંથી હટાવી દો. યાદ રાખો કે ઘડિયાળ હંમેશા ઉત્તર કે પૂર્વ દિશાની દીવાલ પર જ હોવી જોઈએ.
છત અને બાલ્કનીની ગંદકી: માન-સન્માન પર અસર
મોટાભાગના લોકો ઘરની અંદરની સફાઈ તો કરી લે છે, પરંતુ છત કે બાલ્કનીમાં નકામો સામાન અને ભંગાર એકઠો કરી રાખે છે. વાસ્તુ મુજબ, ઘરની ગંદી છત ઘરના મુખ્ય વ્યક્તિના માન-સન્માન અને કરિયર પર નકારાત્મક અસર કરે છે. હોલિકા દહન પહેલા તમારી છત અને બાલ્કનીને સંપૂર્ણપણે સાફ કરો. ત્યાં પડેલા તૂટેલા ગુંડા કે જૂના લાકડાઓ દૂર કરવાથી માનસિક શાંતિ મળે છે.
ટપકતા નળ: આર્થિક નુકસાનનું કારણ
જો તમારા રસોડા કે બાથરૂમમાં કોઈ નળ સતત ટપકતો હોય, તો તેને સામાન્ય બાબત ન ગણશો. વાસ્તુમાં પાણીનું ટપકવું એ 'પૈસા વહી જવા' સમાન માનવામાં આવે છે. ટપકતા નળથી ઘરમાં બિનજરૂરી ખર્ચ વધે છે અને આર્થિક સ્થિતિ નબળી પડે છે. હોળી પહેલા પ્લમ્બરને બોલાવી તમામ લીકેજ ઠીક કરાવો. આમ કરવાથી ઘરની આર્થિક ઉન્નતિના માર્ગ ખુલે છે.
ફાટેલા કપડાં અને જૂના ધાબળા: નકારાત્મકતાનો સ્ત્રોત
કબાટમાં વર્ષોથી ન પહેરેલા અથવા ફાટી ગયેલા કપડાં અને જૂના ધાબળા નકારાત્મક ઉર્જાનું કેન્દ્ર બને છે. આવા કપડાં જૂની કડવી યાદોને તાજી રાખે છે અને જીવનમાં નવી શરૂઆત કરવામાં અવરોધ ઉભો કરે છે. હોળીના પર્વ પર આવા કપડાં સાફ કરી જરૂરિયાતમંદ લોકોને દાન કરી દો. તેનાથી તમને આશીર્વાદ પણ મળશે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે.




















