હિન્દુ ધર્મમાં મંગળવારનો દિવસ સંકટમોચન હનુમાનજીને સમર્પિત છે. એવી માન્યતા છે કે આ દિવસે જે ભક્ત સાચા હૃદયથી બજરંગબલીની પૂજા કરે છે તેની તમામ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ પૂજા દરમિયાન દીવો પ્રગટાવવાનું વિશેષ મહત્વ છે. અલગ-અલગ તેલના દીવા પ્રગટાવવાથી અલગ-અલગ ફળ મળે છે. જો તમારા જીવનમાં કોઈ ખાસ પરેશાની ચાલી રહી હોય તો અહીં જાણો મંગળવારે કયા તેલનો દીવો કરવાથી તમારી મનોકામના પૂર્ણ થશે.
ચમેલીનું તેલ (Jasmine Oil) જો તમારા જીવનમાં શત્રુઓનો ડર વધી ગયો હોય અથવા કોઈ કામમાં વારંવાર અડચણ આવી રહી હોય તો ચમેલીના તેલનો દીવો કરવો રામબાણ ઈલાજ છે. મંગળવારે હનુમાનજીની મૂર્તિ સામે ચમેલીના તેલનો દીવો કરવાથી દુશ્મનો શાંત થાય છે અને કોર્ટ-કચેરીના મામલામાં પણ સફળતા મળવાના યોગ બને છે. આ ઉપરાંત આ ઉપાયથી નવી નોકરીની તકો પણ સર્જાય છે.
સરસવનું તેલ (Mustard Oil) શનિ દોષથી પીડિત લોકો માટે સરસવના તેલનો દીવો ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. મંગળવારની સાંજે પીપળાના ઝાડ નીચે અથવા હનુમાન મંદિરમાં સરસવના તેલનો દીવો કરવાથી શનિની પનોતીમાં રાહત મળે છે. આ ઉપાય ઘરમાંથી નેગેટિવ એનર્જી દૂર કરે છે અને પરિવારમાં સુખ-શાંતિ જાળવી રાખે છે. તે ભય અને હતાશાને દૂર કરી આત્મવિશ્વાસ વધારે છે.
શુદ્ધ ઘી (Pure Ghee) જે લોકો આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે અથવા ઘરમાં બરકત ઈચ્છે છે તેમણે ગાયના શુદ્ધ ઘીનો દીવો કરવો જોઈએ. ઘીનો દીવો કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને આર્થિક સ્થિતિ મજબૂત બને છે. જો શક્ય હોય તો પાંચ મુખી દીવો પ્રગટાવવો વધુ શ્રેષ્ઠ ગણાય છે, જે સુખ અને સમૃદ્ધિના દ્વાર ખોલે છે.
તલનું તેલ (Sesame Oil) લાંબા સમયથી અટકેલી કોઈ ખાસ ઈચ્છા પૂરી કરવા માટે તલના તેલનો દીવો અસરકારક છે. મંગળવારે પૂજા દરમિયાન તલના તેલનો ઉપયોગ કરવાથી હનુમાનજી જલ્દી પ્રસન્ન થાય છે અને ભક્તની મનોકામના પૂર્ણ કરે છે. આ ઉપાય દરેક પ્રકારના કષ્ટ અને પીડામાંથી મુક્તિ અપાવવામાં મદદરૂપ સાબિત થાય છે.





















