14 જુલાઈએ હલહારિણી અમાસ, જાણો પૂજા અને શુભ કાર્યોનું મહત્ત્વ
14 જુલાઈ 2026, મંગળવારના રોજ જેઠ મહિનાની અમાસ તિથિ છે. આ અમાસને હલહારિણી (હળહારિણી) અમાસ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસ ખાસ કરીને ખેડૂતો માટે મહત્વનો માનવામાં આવે છે. પરંપરા મુજબ આ દિવસે ખેડૂતો હળ અને અન્ય કૃષિ ઓજારોની પૂજા કરે છે અને નવા પાક સંબંધિત કાર્યોની શરૂઆત કરે છે. વર્ષા ઋતુ દરમિયાન આવતી આ અમાસ બીજ વાવણી માટે પણ શુભ માનવામાં આવે છે. ઘણા વિસ્તારોમાં આ દિવસે ખેતરમાં હળ ચલાવવાની અને વાવણીની શરૂઆત કરવાની પરંપરા આજે પણ જોવા મળે છે.
પિતૃ તર્પણ અને ધાર્મિક કાર્યોનું મહત્વ
ધાર્મિક માન્યતાઓ મુજબ અમાસના દિવસે પિતૃઓ માટે તર્પણ, શ્રાદ્ધ, ધ્યાન અને પૂજા કરવાથી શુભ ફળ મળે છે. સાથે જ, આ દિવસે છાયાદાર વૃક્ષનું વાવેતર કરીને તેની સંભાળ રાખવાનો સંકલ્પ લેવો પણ શુભ માનવામાં આવે છે. વરસાદી ઋતુમાં વાવવામાં આવેલા છોડ સારી રીતે વિકસે તેવી સંભાવના વધુ રહે છે.
હલહારિણી અમાસે કરી શકાય એવા શુભ કાર્યો
સવારે વહેલા ઉઠીને સ્નાન કર્યા બાદ સૂર્યદેવને જળ અર્પણ કરો.
ભગવાન ગણેશ, શિવ, વિષ્ણુ, માતા પાર્વતી અને શ્રીકૃષ્ણની વિધિપૂર્વક પૂજા કરો.
વ્રત રાખી શકો તો આખો દિવસ ઉપવાસ કરો અથવા એક સમય ફળાહાર લો.
બપોરના સમયે પિતૃ તર્પણ અને શ્રાદ્ધ વિધિ કરો.
શક્ય હોય તો ગંગા, યમુના, નર્મદા અથવા અન્ય પવિત્ર નદીમાં સ્નાન કરો. જો શક્ય ન હોય તો ઘરમાં ગંગાજળ ભેળવેલા પાણીથી સ્નાન કરી શકાય.
મંગળવાર હોવાથી હનુમાનજીની પૂજા કરો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો.
જરૂરિયાતમંદ લોકોને અનાજ, ભોજન, ધન અથવા અન્ય જરૂરી વસ્તુઓનું દાન કરો.
સાંજે તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવી તેની પરિક્રમા કરો.
નોંધ: ઉપરોક્ત માહિતી ધાર્મિક અને પરંપરાગત માન્યતાઓ પર આધારિત છે. વિવિધ પ્રદેશો અને પરંપરાઓ અનુસાર રીત-રિવાજોમાં ફેરફાર થઈ શકે છે.





