India Nuclear Weapons : વિશ્વના મોટાભાગના દેશો જ્યારે પરમાણુ મુક્ત દુનિયા બનાવવાની વાતો કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ સત્તાધીશ દેશો વચ્ચે પરમાણુ હથિયારો વધારવાની એક આંધળી દોડ શરૂ થઈ છે. વૈશ્વિક શાંતિ માટેની સંધિઓ માત્ર કાગળ પર રહી ગઈ હોય તેવું લાગે છે, કારણ કે દુનિયાના માત્ર 9 શક્તિશાળી દેશોએ પોતાના પરમાણુ હથિયારો પાછળ જંગી 119 અબજ ડોલરનો ધુમાડો કર્યો છે. આ ચોંકાવનારો ખુલાસો 'ઇન્ટરનેશનલ કેમ્પેઇન ટુ એબોલિશ ન્યુક્લિયર વેપન્સ' (ICAN) ના તાજેતરના અહેવાલમાં થયો છે. આ રેસમાં ભારત, ચીન, પાકિસ્તાન અને અમેરિકા જેવા દેશો મોખરે છે.
પરમાણુ હથિયારો પાછળ આંધળો ખર્ચ
રિપોર્ટ અનુસાર, વિશ્વના શક્તિશાળી દેશો પરમાણુ હથિયારોના આધુનિકીકરણ અને તેની જાળવણી પાછળ દર વર્ષે કરોડો ડોલર પાણીની જેમ વહાવી રહ્યા છે. વર્ષ 2025 દરમિયાન આ દેશોએ માત્ર જૂના હથિયારો સાચવ્યા નથી પરંતુ નવા ઘાતક પરમાણુ હથિયારો પણ બનાવ્યા છે. છેલ્લા 1 વર્ષમાં ચીનના પરમાણુ શસ્ત્રાગારમાં 20 અને ભારતના શસ્ત્રાગારમાં 10 નવા પરમાણુ હથિયારો ઉમેરાયા છે.
કયો દેશ કરે છે સૌથી વધુ ખર્ચ
ખર્ચની બાબતમાં અમેરિકા દુનિયામાં સૌથી આગળ છે. અમેરિકાએ પોતાના પરમાણુ બજેટમાં સૌથી વધુ 22% નો જંગી વધારો કરીને 69.2 અબજ ડોલર ખર્ચ્યા છે. બ્રિટને પણ પોતાના ખર્ચમાં 17% નો વધારો કરીને 12.6 અબજ ડોલરનો ઉપયોગ કર્યો છે. ચીને 7% અને રશિયાએ 6% નો વધારો કર્યો છે. દક્ષિણ એશિયાની વાત કરીએ તો પરમાણુ બજેટમાં ભારતે 12% અને પાકિસ્તાને 18% નો વધારો નોંધાવ્યો છે.
આખરે રૂ.370ની બિરયાનીમાં એવું શું હતું કે આખું ઇન્ટરનેટ ભડકી ઉઠ્યું?: જાણો પ્રણીતના શોથી શરૂ થયેલો આ વિવાદ શું છે, અને અત્યાર સુધી શું શું થયું...
દુનિયામાં પરમાણુ બોમ્બનો કુલ આંકડો
સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ (SIPRI) ના જાન્યુઆરી 2026 ના તાજેતરના આંકડા અનુસાર, હાલમાં સમગ્ર વિશ્વમાં કુલ 12,187 પરમાણુ હથિયારો હાજર છે. આમાંથી આશરે 9,745 હથિયારો સૈન્ય ભંડારમાં એકદમ તૈયાર સ્થિતિમાં રાખવામાં આવ્યા છે, જ્યારે 4,012 હથિયારોને મિસાઇલો અને ફાઇટર પ્લેન સાથે પહેલેથી જ ગોઠવી દેવામાં આવ્યા છે.
કયા દેશ પાસે કેટલા હથિયારો છે (અંદાજિત આંકડો)
રશિયા : 5500
અમેરિકા : 5300
ચીન : 620
ભારત : 190
પાકિસ્તાન : 170
ભારતની રણનીતિમાં ઐતિહાસિક ફેરફાર
ભારતે પોતાની સૈન્ય વ્યૂહરચનામાં અત્યાર સુધીનો સૌથી મોટો ફેરફાર કર્યો છે. SIPRI ના રિપોર્ટ અનુસાર, ભારતે પોતાના ઓછામાં ઓછા 12 પરમાણુ શસ્ત્રોને ઓપરેશનલ તૈયારી એટલે કે એક્શન મોડમાં તૈનાત કરી દીધા છે. આનો અર્થ એ છે કે ભારતના આ પરમાણુ હથિયારો હંમેશા સેનાના યુદ્ધ જહાજો, સબમરીન અથવા સૈન્ય પ્લેટફોર્મ પર હુમલા માટે એકદમ સજ્જ સ્થિતિમાં છે. ચીન અને પાકિસ્તાન તરફથી સરહદો પર વધી રહેલા જોખમોને કારણે આ પગલું ભરાયું છે.
દાયકાઓ પછી સૌથી મોટું સુરક્ષા કવચ
અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે ભારત શાંતિના સમયમાં પોતાના પરમાણુ હથિયારો અને મિસાઈલોને અલગ-અલગ ગુપ્ત જગ્યાઓ પર રાખે છે. પરંતુ હવે ભારતે શસ્ત્રોને લોન્ચિંગ સિસ્ટમ્સ સાથે જોડી દીધા છે. આ નવી સિદ્ધિના કારણે જો કોઈ શત્રુ દેશ ભારત પર હુમલો કરવાની હિંમત કરશે, તો ભારત સેકન્ડોની અંદર જ વળતો પરમાણુ હુમલો કરવાની તાકાત ધરાવે છે.
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન ક્યારથી શરૂ થશે?: હવે માત્ર બે કલાકમાં પહોંચાશે અમદાવાદથી મુંબઈ, જલ્દી જાહેર થશે બજેટ ફ્રેન્ડલી ભાડું
ભારતની સમુદ્રી શક્તિમાં મોટો વધારો
જાન્યુઆરી 2026 સુધીમાં ભારત પાસે કુલ 190 પરમાણુ શસ્ત્રોનો સંગ્રહ છે. ભારતે મિસાઈલોને ખાસ સુરક્ષિત કન્ટેનર એટલે કે કેનિસ્ટરમાં રાખવાની ટેકનોલોજી અપનાવી છે. આ સિવાય ભારત પાસે પરમાણુ મિસાઈલ લઈ જઈ શકે તેવી 2 અદ્યતન સબમરીન છે, જેના નામ 'આઈએનએસ અરિઘાટ' અને 'આઈએનએસ અરિદમન' છે. આ બંને સબમરીન સતત સમુદ્રના પેટાળમાં રહીને પેટ્રોલિંગ કરે છે. ભારતની 'પહેલા ઉપયોગ નહીં' (No-First-Use) નીતિ હોવા છતાં, આ સબમરીન શત્રુના હુમલા બાદ સેકન્ડ-સ્ટ્રાઈક કરવા માટે ભારતનું સૌથી મોટું રક્ષણ કવચ છે.
પાકિસ્તાન કરતાં ભારત ઘણું આગળ
પાકિસ્તાન પાસે ભલે 170 પરમાણુ હથિયારો હોય, પરંતુ તેમાંથી એક પણ હથિયાર અત્યારે ઓપરેશનલ તૈનાતીમાં એટલે કે એક્શન મોડમાં નથી. રિપોર્ટ દર્શાવે છે કે ભારત તેના પાડોશી પાકિસ્તાન કરતાં ઘણી વધુ ઝડપે તેના પરમાણુ કાર્યક્રમનો વિસ્તાર કરી રહ્યું છે. વૈશ્વિક અશાંતિ વચ્ચે ભારતે પોતાની ત્વરિત પરમાણુ પ્રતિસાદ ક્ષમતાને વધારીને દુશ્મનોને કડક અને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે.





