વાસ્તુશાસ્ત્રમાં ઘરના મુખ્ય પ્રવેશદ્વારને અત્યંત મહત્વનું માનવામાં આવે છે કારણ કે ત્યાંથી જ ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. મોટાભાગના લોકો ઘરની સજાવટ અને ગંદકી રોકવા માટે મુખ્ય દ્વાર પર Doormat એટલે કે પાયદાન રાખતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે પાયદાનનો રંગ અને દિશા તમારી પ્રગતિ અને સુખ-શાંતિ પર સીધી અસર કરે છે? વાસ્તુ મુજબ જો યોગ્ય દિશામાં સાચા રંગનું પાયદાન રાખવામાં આવે તો તે નકારાત્મકતાને રોકીને ભાગ્યના દ્વાર ખોલી શકે છે.
પશ્ચિમ દિશા માટે વાદળી કે ગ્રે રંગ
વાસ્તુ મુજબ પશ્ચિમ દિશાનો સંબંધ શનિ ગ્રહ સાથે છે, જે જીવનમાં સ્થિરતા લાવે છે. જો તમારા ઘરનું મુખ્ય દ્વાર પશ્ચિમ દિશામાં હોય તો તમારે કાળા, વાદળી અથવા Grey રંગના પાયદાનનો ઉપયોગ કરવો જોઈએ. આ રંગો ઘરમાં પ્રવેશતી નકારાત્મક ઉર્જાને શોષી લેવામાં અને સુરક્ષા પ્રદાન કરવામાં મદદરૂપ સાબિત થાય છે.
પૂર્વ દિશામાં ભૂલેચૂકે ના રાખશો કાળો રંગ
પૂર્વ દિશા એ સૂર્યદેવની દિશા છે, જે જીવન અને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત ગણાય છે. આ દિશામાં મુખ્ય દ્વાર હોય તો લાલ, નારંગી અથવા સોનેરી એટલે કે Golden રંગનું પાયદાન રાખવું ઉત્તમ મનાય છે. આ રંગો ઉર્જાના પ્રવાહને તેજ બનાવે છે. યાદ રાખો કે પૂર્વ દિશાના પ્રવેશદ્વાર પર ક્યારેય પણ કાળા રંગનું પાયદાન ના મૂકવું જોઈએ, કારણ કે તે સૂર્યની ઉર્જામાં અવરોધ પેદા કરી શકે છે.
ઉત્તર દિશા અને કુબેર દેવની કૃપા
ઉત્તર દિશાને બુધ અને ધનના દેવતા કુબેરની દિશા માનવામાં આવે છે. જો તમારું ઘર ઉત્તરમુખી હોય તો ક્રીમ અથવા હળવા વાદળી રંગનું પાયદાન પસંદ કરવું જોઈએ. આ રંગો ઘરમાં શાંતિ જાળવી રાખે છે અને આર્થિક સમૃદ્ધિના નવા માર્ગો ખોલે છે. તે શુદ્ધતા અને પ્રગતિનું પ્રતીક માનવામાં આવે છે.
દક્ષિણ દિશામાં શક્તિ અને સ્થિરતા
માન્યતા મુજબ દક્ષિણ દિશા મંગળ અને રાહુ ગ્રહથી પ્રભાવિત હોય છે. આ દિશામાં જો મુખ્ય દ્વાર હોય તો લાલ કે નારંગી રંગના પાયદાનનો ઉપયોગ કરવો શુભ ફળ આપે છે. આનાથી પરિવારમાં આંતરિક શક્તિ જળવાઈ રહે છે અને ઘરના સભ્યોના આત્મવિશ્વાસમાં વધારો થાય છે.
વાસ્તુના આ સરળ નિયમોનું પાલન કરીને તમે તમારા ઘરના મુખ્ય દ્વારને ઉર્જાવાન બનાવી શકો છો, જે અંતે સુખ અને સમૃદ્ધિમાં પરિણમે છે.





















